Bazi - 9 books and stories free download online pdf in Gujarati

બાજી - 9

બાજી

કનુ ભગદેવ

9 - બ્લેકમેઈલરની નાગચૂડ....!

બપોરના બે વાગ્યા હતા.

ડ્રોંઈગરૂમમાં અમીચંદ, મહેશ અને રાકેશ બેઠા હતા.

ગોપાલ પોતાના રૂમમાં હતો અને સારિકા પણ પોતાના શયનખંડમાં આરામ કરતી હતી.

તેઓ ગોપાલ તથા વંદનાના લગ્નની ચર્ચા કરતા હતા.

ટેલિફોનની ઘંટડીના અવાજથી તેમની વાતોનો ક્રમ તૂટી ગયો.

‘ હલ્લો...અમીચંદ સ્પીકીંગ...!’ એણે રિસીવર ઊચકતાં કહ્યું.

‘ મિસ્ટર અમીચંદ, હું ઈન્સ્પેકટર વામનરાવ બોલું છું.’ સામે છેડેથી વામનરાવનો પરિચિત સ્વર તેને સંભળાયો.

‘ બોલો, સાહેબ!’

‘ દેવગઢ રોડ પરથી એક સ્ત્રીનો મૃતદેહ મળી આવ્યો છે.

‘ હા...તો...?’ કહેતાં કહેતાં અમીચંદના ધબકારા વધી ગયા. કારણ કે એ મૃતદેહ બીજા કોઈનો નહીં, પણ ગાયત્રીનો છે, તે વાતની એને ખબર હતી.

‘ મિસ્ટર અમીચંદ, મૃતદેહ એકદમ સડી ગયો છે. ચહેરો એટલોબધો વિકૃત થઈ ગયો છે કે ઓળખી શકાય તેમ નથી. એ મૃતદેહ ગાયત્રીદેવીનો જ હોઈ શકે છે એવી મને શંકા છે.’

‘ શું...?’

‘ હા...તમે થોડી તકલીફ લઈને પોસ્ટમોર્ટમ સેન્ટરે આવો...!’

‘ ભલે...અમે આવીએ છીએ...’ કહીને એણે રિસીવર મૂકી દીધું.

‘ એ કમજાત શું કહેતો હતો પિતાજી...?’ મહેશે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોતાં પૂછ્યું.

‘ તારી મમ્મીનો મૃતદેહ પોલીસને મળી ગયો છે મહેશ...!’ કહીને એણે તેને ફોન પર થયેલી વાતચીતની વિગત જણાવી દીધી.

ત્યારબાદ ગોપાલ તથા સારિકાને લઈને તેઓ પોસ્ટમોર્ટમ સેન્ટરે પહોંચી ગયા.

વામનરાવે મોર્ગમાં લઈ જઈને તેમને ગાયત્રીદેવીનો મૃતદેહ બતાવ્યો.

ચારેય મૃતદેહોનું નિરિક્ષણ કરવા લાગ્યા. ચહેરા પર જંગલી જંતુઓએ ઠેકઠેકાણે છેદ કરી નાખ્યા હતા. શરીર એકદમ ફૂલી ગયેલું હતું. માથાના વાળ વીખરાયેલા હતા. શરીર પર આભુષણના નામે નાકની ચૂંક પણ નહોતી.

‘ આ મારી પત્નિ ગાયત્રીનો મૃતદેહ નથી ઈન્સ્પેકટર સાહેબ...!’ છેવટે અમીચંદ બોલ્યો.

‘ તમે બરાબર નિરીક્ષણ કર્યું છે!’ વામનરાવે પૂછ્યું.

‘ હા...’

‘ તમે શું કહો છો મિસ્ટર અમીચંદ...?’

‘ આ મારી મમ્મીનો મૃતદેહ નથી સાહેબ...!’ મહેશ બોલ્યો.

‘ આપે નાહક જ અમને હેરાન કર્યા! રાકેશે કહ્યું.

‘ તમને જાણ કરવાની અમારી ફરજ હતી મિસ્ટર રાકેશ!’ વામનરાવ રૂક્ષ અવાજે બોલ્યો, ‘ તમે ગાયત્રીદેવીના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી એ તો તમને યાદ જ હશે ?’

‘ હા...’

વામનરાવે સારિકાને પૂછવું નકામું લાગ્યું કારણ કે એ પણ મૃતદેહને ઓળખતી હોવાની ના પાડી દેશે એની તેને ખબર હતી.

અલબત્ત, મૃતદેહ ગાયત્રીદેવીનો જ હતો, એ વાતમાં તેને રજા માત્ર પણ શંકા નહોતી. પરંતુ અમીચંદ વિગેરે શા માટે એને ઓળખવાની ના પાડે છે, એ તેને નહોતું સમજાતું.

‘ પિતાજી...!’ સહસા ગોપાલ અમીચંદને ઉદ્દેશીને બોલ્યો, ‘ આ મૃતદેહ મમ્મીનો જ હોય એવું મને લાગે છે.’

‘ શું ગધેડાને તાવ આવે એવી વાત કરે છે...?’ અમીચંદે તેનું વડકું ભરતા કહ્યું, ‘ આ તારી મમ્મીનો મૃતદેહ નથી.’

વામનરાવ ઝડપથી ગોપાલ પાસે પહોંચ્યો.

‘ મિસ્ટર ગોપાલ, આ મૃતદેહ તમારી મમ્મીનો છે એવું તમે કેવી રીતે માની લીધું.?’

‘ મારું મન કહે છે ઈન્સ્પેકટર સાહેબ, કે આ મૃતદેહ મારી મમ્મીનો છે!’ ગોપાલ મક્કમ અવાજે બોલ્યો.

મહેશ અને રાકેશ મનોમન ધૂંધવાઈને ગોપાલને ખાટી-મીઠી ભાંડતા હતા.

‘ ઈન્સ્પેકટર સાહેબ, ગોપાલનું માથું ભમી ગયું છે...! સુજાતાના અવસાન પછી એ ખૂબ જ નર્વસ થઈ ગયો છે.’ અમીચંદે વાત વાળવાનો પ્રયાસ કરતાં કહ્યું.

‘ મિસ્ટર ગોપાલ, તમે ક્યારેય તમારા મમ્મીને આ સાડી પહેરેલી હાલતમાં જોયાં હતાં...? બરાબર ધ્યાનથી જુઓ...એકદમ નવી અને કીમતી સાડી છે.’

‘ ના, ઈન્સ્પેકટર સાહેબ...!’ ગોપાલ નકારાત્મક ઢબે માથું હલાવતાં બોલ્યો, ‘ આ સાડી, કદાચ મારા ભરતપુર ગયા પછી ખરીદીને પહેરી હોય એ બનવાજોગ છે.’

પછી સહસા કંઈક વિચારીને વામનરાવની આંખોમાં ચમક પથરાઈ ગઈ.

‘ ઠીક છે...હવે તમે જઈ શકો છો...’

અમીચંદ વિગેરે ચાલ્યા ગયા.

એ સાંજે વામનરાવ, નાગપાલ પહોંચી ગયો.

એણે તેને બધી વિગતો જણાવી દીધી.

‘ હૂં...’ એની વાત સાંભળ્યા પછી નાગપાલે પાઈપમાંથી એક લાંબો કસ ખેંચીને હૂંકાર કર્યોં, ‘ તો એ મૃતદેહ ગાયત્રીદેવીનો છે, એની તને પૂરી ખાતરી છે ખરું ને...?’

‘ હા, નાગપાલ સાહેબ...!’ વામનરાવ મક્કમ અવાજે બોલ્યો, ‘ પોસ્ટમોર્ટમના રિપોર્ટ મુજબ એની ઉંમર સાંઠથી પાંસઠ વર્ષની છે...શ્વાસ રૂંધાઈ જવાને કારણે તેનું મોત નીપજ્યું છે, અર્થાત્ એના નાક પર હથેળી દબાવીને તેનું ખૂન કરવામાં આવ્યું છે. ખૂન આઠ દિવસ પહેલાં એટલે કે મેં અમીચંદના બંગલાની તલાશી લીધી, એના બે દિવસ અગાઉ થયું છે.’

‘ તારું અનુમાન એકદમ સાચું છે વામનરાવ! બધી કડીઓ તપાસ્યા પછી હું પણ એવા જ પરિણામ પર આવ્યો છું કે એ મૃતદેહ ખરેખર ગાયત્રીદેવીનો જ છે! ખૂન પણ એ લોકોએ જ કર્યું છે...! પરંતુ તેમને ખૂની પૂરવાર કરી શકાય એવો કોઈ પૂરાવો આપણી પાસે નથી. આપણે હાલ તુરંત કોઈ રીતે તેમને ખૂની પુરવાર કરી શકીએ તેમ નથી. તેમ છતાંયે તેઓ શા માટે એ મૃતદેહને ગાયત્રીદેવીના મૃતદેહ તરીકે કબૂલ નથી કરતાં ? ક્યા કારણસર તેને ઓળખવાની ના પાડે છે. એ મને નથી સમજાતું.’

‘ તેઓ કદાચ પોલીસના લફરામાં ફસાવા નથી માંગતા એવું મને લાગે છે.’

‘ બનવાજોગ છે...ખેર, શું તું કાયદેસર રીતે એ મૃતદેહને ગાયત્રીદેવીના મૃતદેહ તરીકે પૂરવાર કરી શકે તેમ છે ?’

‘ હા...’

‘ કેવી રીતે...?’

‘ ગાયત્રીદેવીએ જે બ્લાઉઝ પહેર્યું હતું. એ બ્લાઉઝ પર મોડર્ન ટેઈલર, દિવાનચોકનું લેબલ છે. મોડર્ન ટેઈલરના સંચાલક પાસેથી એ બ્લાઉઝ કોણે સીવડાવ્યું હતું, તે આપણને જાણવા મળી શકે તેમ છે. હું ત્યાં તપાસ કરવા માટે ગયો હતો. પરંતુ એને ઘેર કોઈકનું મરણ થઈ ગયું હોવાને કારણે બે દિવસથી તેની દુકાન બંધ છે.’

‘ તો તારે એના ઘેર જોઈતું હતું...?

‘ નાગપાલ સાહેબ, એક તો એનું ઘર દેવગઢમાં છે ઉપરાંત એના ઘરમાં મરણું થઈ ગયું હોવાથી મને ત્યાં જવાનું યોગ્ય નથી લાગ્યું. પરમ દિવસે એની દુકાન ઉઘડશે ત્યારે તપાસ કરી લઈશ.’

‘ વારૂં, ગાયત્રીદેવીના મૃતદેહનું હવે શું કરવાનું છે ?’

‘ એના અંતિમસંસ્કાર પોલીસ જ કરશે...! વિધિની ક્રૂરતા તો જુઓ નાગપાલ સાહેબ! ત્રણ ત્રણ દિકરાઓ હોવા છતાં પણ ગાયત્રીદેવીના મૃતદેહનો બિનવારસી તરીકે પોલીસને અંતિમસંસ્કાર કરવા પડે છે...!’ વામનરાવે ઉદાસ અવાજે કહ્યું.

નાગપાલ ધીમેથી માથું હલાવીને રહી ગયો.

  • ***
  • અમીચંદ ક્રોધભરી નજરે રાકેશ સામે તાકી રહ્યો હતો.

    એના કપાળ પર માનસિક તાણને કારણે ત્રણ-ચાર કરચલીઓ પડી ગઈ હતી.

    ‘ મારી વાત ખોટી હોય તો કહો...’ રાકેશ તીવ્ર અવાજે બોલ્યો, ‘ આપણે જીવતા હોવા છતાં પણ મમ્મીનાં અંતિમસંસ્કાર પોલીસે કર્યો...આ સારું નથી થયું પિતાજી...!’

    ‘ તારા હાથેથી ગાયત્રી મૃત્યુ પામી, એ શું સારું થયું હતું. મૂરખ...?’ અમીચંદે રોષભેર બોલ્યો.

    ‘ મેં કંઈ જાણીજોઈને મમ્મીનું ખૂન નહોતું કર્યું.’

    ‘ જે થઈ ગયું છે, એને ભૂલી જા રાકેશ...!’

    ‘ પિતાજી...આપણે મમ્મીનો મૃતદેહ સ્વીકારીને આપણા હાથેથી જ તેના અંતિમસંસ્કાર કર્યા હોત તો શું નુકસાન થાત...?’

    ‘ નુકસાન ન થાત તો લાભ પણ શું થવાનો હતો ? હજુ સુજાતાના અંતિમસંસ્કાર કર્યાને આજે ત્રીજો દિવસ છે. આજે જો ગાયત્રીનાં અંતિમસંસ્કાર કરત લોકો શું વિચારત ?’

    રાકેશ એક ઊંડો નિ:સાસો નાખીને રહી ગયો.

    અમીચંદ માનસિક સંતુલન જાળવી રાખવા માટે એક સિગારેટ સળગાવીને ધીમે ધીમે તેના કસ ખેંચવા લાગ્યો.

    સહસા ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી.

    અમીચંદે સિગારેટના ઠૂંઠાને એશ-ટ્રેમાં પધરાવીને રિસીવર ઊંચક્યું.

    ‘ હલ્લો...અમીચંદ સ્પીકીંગ...!’ એણે કહ્યું.

    ‘ મને ખબર છે અમીચંદ...?’ સામે છેડેથી બ્લેક ટાઈગરનો પૂર્વપરિચિત સ્વર તેને સંભળાયો, ‘ તે ગાયત્રીદેવીના મૃતદેહને ઓળખીને સૌથી મોટી ભૂલ કરી છે...! તેં તારા કુટુંબને કામદાના ચક્રવ્યૂહમાં ફસાવી દીધું છે એમ જ માની લે! ઈન્સ્પેકટર વામનરાવે તમને ખૂની પૂરવાર કરવાનું બીડું ઝડપ્યું છે! તારા કુટુંબ વામનરાવે તમને નહીં, પણ બબ્બે જલ્લાદો પડી ગયા છે. એક તો ઈન્સ્પેકટર વામનરાવ અને બીજો સી.આઈ.ડી. વિભાગનો ચીફ ઈન્સ્પેકટર નાગપાલ...! તેઓ તારા કુટુંબનો ભાંડો ફોડીને જ જંપશે...! તું કોઈનેય તારું મોં બતાવવાને લાયક નહીં રહે! હવે ગોપાલને પણ સાચી હકીકત જણાવી દેવાનો વખત આવી ગયો છે.’

    ‘ એટલે...?’

    ‘ એટલે એમ કે જ્યારે ગોપાલને ખબર પડશે કે તું શયતાનને પણ સારો કહેવડાવે તેવો નરાધમ છો, તે સુજાતાને ઝેર આપીને મારવાનો પ્રયાસ કર્યો હતો...તેં એની મા ગાયત્રીદેવીનું ખૂન કર્યું છે, ત્યારે સાચી હકીકત જાણ્યા પછી એ વંદના સાથે કોઈ કાળે લગ્ન નહીં કરે...!’

    ઈશ્વરને ખાતર એવું કરીશ નહીં બ્લેક ટાઈગર...! નહીં તો મારા કર્યાકરાવ્યા પર પાણી ફરી વળશે...! કરોડીમલ મારી પોતાની પણ હરરાજી કરી નાખશે. મારા પર દયા કર...!’ અમીચંદ રડમસ અવાજે બોલ્યો.

    ‘ ચૂપ...કમજાત...! તારા જેવા શયતાનને હું કદાપી માફ નહીં કરું! તને બરબાદ કરવો એ જ મારો હેતું છે!’

    ‘ હું તને ચૂપ રહેવાની કિંમત આપી શકું તેમ છું.’

    ‘ શું આપીશ ?’

    ‘ મારી પાસે ચાર લાખ રૂપિયા છે...!’

    ‘ હું પાંચ લાખથી એક રૂપિયા પણ ઓછો લેવા નથી માંગતો.’ અમીચંદના ચ્હેરા પર લાચારીના હાવભાવ છવાઈ ગયા.

    ‘ બોલ, મંજૂર છે...!’

    ‘ હા...’

    ‘ એ જ વખતે સામે છેડેથી સંબંધ વિચ્છેદ થઈ ગયો.

    અમીચંદ રિસીવર મૂકીને કપાળ પર વળેલો પરસેવો લૂંછવા લાગ્યો.

    સહસા મહેશ ડ્રોંઈગરૂમમાં પ્રવેશ્યો.

    ‘ બ્લેક ટાઈગરનો ફોન હતો પિતાજી...?’ આવતાવેંત એણે પૂછ્યું.

    ‘ હા...એ કમજાત આપણને ક્યાંયના નહીં રહેવા દે એવું મને લાગે છે.’ કહીને અમીચંદે બ્લેક ટાઈગર સાથે થયેલી વાતચીત વિગત તેને જણાવી દીધી.

    એની વાત સાંભળ્યા પછી મહેશ તથા રાકેશ જડવત્ બની ગયા.

    તેમની સમજવા-વિચારવાની શક્તિ જાણે કે હણાઈ ગઈ હતી.

    બીજે દિવસે સાંજે...

    અમીચંદના કુટુંબના દરેક સભ્યો ડ્રોંઈગરૂમમાં બેઠાં હતા.

    સહસા બંગલાના કંપાઉન્ડમાં પોલીસની જીપ આવીને ઊભી. રહી તો ગોપાલને બાદ કરતાં બાકી બધાના ચ્હેરા પરથી નૂર ઊડી ગયું.

    થોડી પળો બાદ ઈન્સ્પેકટર વામનરાવ ડ્રોંઈગરૂમમાં પ્રવેશ્યો.

    ‘ આવો ઈન્સ્પેકટર સાહેબ...!’ મહેશ ઊભો થઈને તેને આવકાર આવતાં બોલ્યો.

    વામનરાવ સૌના ચહેરા પર હાવભાવનું બારીકાઈથી અવલોકન કર્યું.

    પરંતુ કોઈનામાંય તેની સાથે નજર મેળવવાની હિંમત નહોતી.

    ‘ મિસ્ટર અમીચંદ...!’ વામનરાવના ગળામાંથી ઘૂરકાટ નીકળ્યો.

    એનો ઘૂરકાટ સાંભળીને સારિકા પરસેવે રેબઝેબ બની ગઈ. ચ્હેરો કાપો તો લોહી ન નીકળે એવો થઈ ગયો.

    મહેશ ક્રોધથી સળગતી નજરે તેની સામે જોયું.

    એ પોતાની જાત પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવા લાગી.

    ‘ બોલો ઈન્સ્પેકટર સાહેબ...!’ અમીચંદે સ્મિત ફરકાવીને અંધારામાં ખોટો સિક્કો ચલાવવાનો પ્રયાસ કરતાં કહ્યું, ‘ ગાયત્રી, સરોજ અને ગુડ્ડીનો પત્તો લાગ્યો...?’

    ‘ ગાયત્રીદેવીનો પત્તો મળી ગયો છો!’

    ‘ ખરેખર...?’ અમીચંદે ખુશ થવાનો શાનદાર અભિનય કર્યો, ‘ ક્યાં છે એ...?’

    ‘ શું ખરેખર મમ્મીનો પત્તો લાગી ગયો છે ઈન્સ્પેકટર સાહેબ ?’ મહેશે ઉતાવળ અવાજે પૂછ્યું.

    ‘ અમને અમારી મમ્મી પાસે લઈ જાઓ ઈન્સ્પેકટર સાહેબ!’ રાકેશ વ્યાકુળ અવાજે બોલ્યો.

    ‘ જો કાયદો મારા હાથમાં હોત તો હું ગોપાલને બાદ કરતાં તમને બધાને ગાયત્રીદેવી પાસે જ પહોંચાડી દેત મિસ્ટર રાકેશ! અત્યારે જ પહોંચાડી દેત...! પળનો ય વિલંબ ન કરત!’ વામનરાવે એક એક શબ્દ પર ભાર મૂકતાં કહ્યું.

    ગોપાલને બાદ કરતા બાકી બધાના માથા પર જાણે કે વીજળી ત્રાટકી. વામનરાવે સાચી હકીકતની ખબર પડી ગઈ છે, એ વાત તરત જ તેઓ સમજી ગયા. એક વાર યમદૂતના હાથમાંથી બચી શકાય છે, પરંતુ વામનરાવની ચુંગાલમાંથી બચી શકાય તેમ નથી!

    પરંતુ આ તો દાનવના દિકરા હતા.

    તરત જ તેમણે પોતાની જાત પર કાબૂ મેળવી લીધો.

    ‘ ઈન્સ્પેકટર સાહેબ, તમે શું બકો છો એનું તમને ભાન છે...?’ મહેશ ઉત્તેજીત અવાજે બોલ્યો.

    ‘ મહેશ...!’ ગોપાલ વચ્ચેથી જ બોલી ઉઠ્યો, ‘ તું નાહક જ ઈન્સ્પેકટર સાહેબ પર નારાજ થાય છે! એમણે કોઈ ખોટી વાત તો કહી નથી. માત્ર એટલું જ કહ્યું છે કે જો કાયદો તેમના હાથમાં હોત, તો તેઓ આપણને મમ્મી પાસે પહોંચાડી દેત! કદાચ કોઈકે મમ્મીનું અપહરણ કરી લીધું છે અને ઈન્સ્પેકટર સાહેબ અપહરણ કરનારાઓને હજુ સુધી નથી પકડી શક્યા...!’ એણે વામનરાવને ઉદ્દેશીને કહ્યું, ‘ ઈન્સ્પેકટર સાહેબ, મમ્મી ક્યાં છે...? અપહરણ કરનારાઓ અમારી પાસેથી શું ઈચ્છે છે ? અમે તેમને છોડાવવા માટે કોઈ પણ કિંમત ચુકવી શકીએ તેમ છીએ...!’ કહેતાં કહેતાં એનો અવાજ ગળગળો થઈ ગયો.

    ગોપાલની ગાયત્રીદેવી પ્રત્યેની લાગણી જોઈને વામનરાવનું હૈયું ભરાઈ આવ્યું. એ આગળ વધી, ગોપાલના ખભા પર હાથ મૂકીને ગંભીર અવાજે બોલ્યો, ‘ મિસ્ટર ગોપાલ, મને કહેતા ખૂબ જ દું:ખ થાય છે કે તમારી મમ્મી આ દુનિયામાં નથી રહી.’

    ‘ શું...?’ ગોપાલ એકદમ હેબતાઈ ગયો. વળતી જ પળે એની આંખોમાંથી અશ્રુધારા નીકળી પડી, ‘ ના, ઈન્સ્પેકટર સાહેબ...એવું બને જ નહીં...તમે...ખોટું બોલો છો...’

    ‘ હું સાચું જ કહું છું મિસ્ટર ગોપાલ! ગાયત્રીદેવીનું ખૂન થઈ ગયું છે....ખૂનીઓએ શ્વાસ રૂંધીને તેમનું ખૂન કર્યું છે...!’ એણે અમીચંદે, મહેશ અને રાકેશ સામે આગ્નેય નજરે જોતાં કહ્યું તે દિવસે તમે જે મૃતદેહને ઓળખ નહોંતા કરી શક્યા, એ મૃતદેહ વાસ્તવમાં ગાયત્રીદેવીનો જ હતો!’

    ‘ શું...?’ ગોપાલના રડમસ અવાજનો અચરજનો સૂર હતો.

    ‘ હા, મિસ્ટર ગોપાલ! એ વખતે તમે તો એ મૃતદેહ ગાયત્રીદેવીનો હોવાથી શક્યતા દર્શાવી હતી, પરંતુ તમારા કુટુંબીઓએ તમારી વાતને કાપી નાંખી હતી.’

    ગોપાલના ચહેરા પર આશ્ચર્યમિશ્રિત વેદનાના હાવભાવ છવાઈ ગયા.

    ‘ આ લોકોએ તમારી વાતને શા માટે કાપી નાખી, એની તમને ખબર છે મિસ્ટર ગોપાલ ?’

    ‘ ના...’

    ‘ એટલા માટે કે ગાયત્રીદેવીનું ખૂન તમારા પિતાજી અને બંને ભાઈઓએ જ કર્યું છે!’

    ગોપાલના મગજ જાણે કે વિસ્ફોટ થયો. આ વાત કબૂલ કરવા માટે એનું મન તૈયાર નહોતું થયું. એક પતિ પોતાની પત્નિનું ખૂન કરી શકે છે. પરંતુ દિકરા માનું ખૂન નથી કરી શકતા!’

    ‘ શટઅપ...ગેટ આઉટ...’ રાકેશ જોશી બરાડ્યો, ‘ મિસ્ટર વામનરાવ...અમે ધારીએ તો તમારા પર માનહાનીનો દાવો કરી શકીએ તેમ છીએ. અમે અમારી મમ્મીનું ખૂન કર્યું છે, એવો કોઈ પૂરાવો છે તમારી પાસે...? કે પછી એમ ને એમ દોડ્યા આવ્યા છો...? ખૂન હોવાના પૂરાવાની વાત તો એક તરફી રહી, એ મૃતદેહ અમારી મમ્મીનો હતો, એવો પણ કોઈ પૂરાવો તમારી પાસે નથી.’

    ‘ મિસ્ટર રાકેશ...હું કંઈ એમ ને એમ અહીં નથી આવ્યો. એ મૃતદેહ ગાયત્રીદેવીનો જ હતો. એમણે પહેરેલાં બ્લાઉઝ પરથી આ વાત પૂરવાર થઈ ગઈ છે. એ બ્લાઉઝ ગાયત્રીદેવીએ જ દિવાનચોકમાં આવેલા મોર્ડન ટેઈલરમાં સીવડાવ્યું હતું. તમે મૃતદેહ ગાયત્રીદેવીનો છે, એ વાત જાણતા હોવા છતાં પણ ઓળખવાની ના પાડી દીધી, અને મેં એ મૃતદેહને ગાયત્રીદેવીના મૃતદેહ તરીકે પૂરવાર કરી બતાવ્યો, એ જ રીતે એક ને એક દિવસ હું તેના ખૂનીઓને પણ શોધી કાઢ્યા. તમે ગાયત્રીદેવીનું ખૂન કર્યું છે, એ વાત મારા પગ પકડીને કબૂલ કરશો...તમે તેમના મૃતદેહને દેવગઢ રોડ પર શેરડીના ખેતરમાં ફેંકી આવ્યા હતા. હું કંઈ ઓફિસમાં ટેબલ પર ટાંટીયા લાંબા કરીને નથી બેસી રહેતો સમજ્યા ?’

    સૌ એકદમ ડધાઈ ગયા.

    શાંત વાતાવરણમાં માત્ર ગોપાલનાં ધ્રુંસકાનો જ અવાજ ગુંજતો હતો. એને વામનરાવની વાત સાચી લાગતી હતી. પરંતુ ગાયત્રીદેવીનું ખૂન અમીચંદ, મહેશ તથા રાકેશ કર્યું હતું. એ વાત કોણ જાણે કેમ હજુ પણ એના ગળે નહોતી ઉતરતી.

    ‘ મિસ્ટર અમીચંદ...! તમારે મારા પર માનહાનિનો દાવો કરવો હોય તો અત્યારે જ કરી શકો છો...! તમે ગાયત્રીદેવીનાં ખૂની છો...અત્યારે મારી પાસે ભલે તમારી વિરુદ્ધ કોઈ પુરાવો ન હોય, પરંતુ હવે પછી હું જ્યારે પણ આવીશ ત્યારે, પૂરાવાઓ લઈને જ આવીશ...અને હું અહીંથી જઈશ, ત્યારે એકલો નહીં જઉં...! હું તમને પણ ધરપકડ કરીને મારી સાથે લઈ જઈશ! તમારા લોકોની શયતાનિયત જોઈને કોણ જાણે કેમ મને એવું લાગે છે કે સુજાતાએ આપઘાત નથી કર્યો... તમે લોકોએ એનું પણ ખૂન કર્યું છે!’

    ગોપાલના મોંમાંથી ચીસ નીકળી ગઈ.

    વામનરાવ તરત જ ત્યાંથી રવાના થઈ ગયો.

    ડ્રોંઈગરૂમમાં વિસ્ફોટ પછીની શાંતિ પથરાઈ ગઈ હતી.

  • ***
  • ‘ જોરાવર...!’ અમીચંદ ચીસ જેવા અવાજે બોલ્યો, ‘ તારુ માથું તો નથી ભમી ગયું ને ?’

    ‘ આપ મારી વાત સમજવાનો પ્રયાસ શા માટે નથી કરતાં સાહેબ ? વામનરાવની જિંદગી આપણા સૌનું મોત છે...! અને એનું મોત, એ આપણી જિંદગી છે દગી છે!’

    ‘ આ વાત હું કબૂલ કરું છું જોરાવર...! એ માણસ નહીં, પણ જાદુગર છે! એ ખૂબ જ હોંશિયાર અને ચાલાક છે. તેને આપણાં બધા કરતૂતોની ખબર પડી ગઈ છે. એ જાણે તેની નજર સામે જ બન્યું હોય તે રીતે વાત કરે છે. એના જેવા ખતરનાક માણસને મારવાનું કામ તું સહેલું માને છે..? એ ઊંઘમાં છે એમ તું માને છે ? ના, જોરાવર...! જે માણસ આટલું બધું જાણે છે, તો પછી તારે વિશે પણ બધું જાણતો જ હશે.’

    ‘ આપની વાત સાચી છે સાહેબ! એ નાલાયક મારે વિશે બધું જ જાણે છે! એ આ શહેરમાં આવ્યો છે. ત્યારથી જ મારા માણસો બિઝનેશ બંધ કરીને બીજા શહેરમાં ચાલ્યા ગયા છે.’

    ‘ એટલા માટે જ તો કહું છું. કે વામનરાવને મારી નાખવાની વાત ભૂલી જા!’

    ‘ તો હવે શું કરવું છે સાહેબ...? મારી મતિ તો એકદમ મૂંઝાઈ ગઈ છે. મને કંઈ જ નથી સમજાતું. એણે ગોપાલ સામે આડાઅવળી વાત કરીને આપણી યોજના પર પાણી ફેરવી દીધું છે.’

    ‘ એ કમજાત પાસેથી મેં આવી આશા નહોતી રાખી જોરાવર!’ અમીચંદ નંખાઈ ગયેલા અવાજે બોલ્યો.

    ‘ સાહેબ...ગોપાલની સામે આ બધી વાતો કરવી, તે એની યોજનાનો જ એક ભાગ હોય એ બનવાજોગ છે.’

    ‘ શું...?’ અમીચંદે ચમકીને પૂછ્યું.

    ‘ હા, સાહેબ...એવું બની શકે છે!’

    ‘ તારી વાત સાચી છે જોરાવર! જરૂર આમ જ બન્યું છે...! એ કમજાત જરૂર કોઈક ચાલબાજી છે...! એ કદાચ ગોપાલને વિશ્વાસમાં લઈને આપણો ભેદ જાણવા માગે છે...! પરંતુ હું કંઈ કાચી માટીનો નથી! આપણે ગોપાલની સામે આડાઅવળી કોઈ વાત નહીં કરીએ.’

    ‘ એક વાત કહું સાહેબ ?’

    ‘ બોલ...’

    ‘ આપ ગોપાલને થોડા દિવસ માટે બહારગામ મોકલી દો...’

    ‘ ના જોરાવર...’

    ‘ કેમ...?’

    ‘ જો આપણે ગોપાલને કામનું બહાનું કાઢીને બહારગામ મોકલીશું. તો નાહક જ એના વિચારોને વેગ મળી જશે. મારો સંકેત, જે વિચારોએ તેની નજરમાં અમને ખૂની બનાવ્યા છે, એ વિચારો તરફ છે...! કારણ કે સુજાતા અને ગાયત્રીદેવીના બનાવો એની ગેરહાજરીમાં બન્યા છે! હું ગોપાલને મારી પાસે જ રાખીશ જોરાવર...’ વામનરાવ સાથે મારે અંગત દુશ્મનાવટ હોવાથી એણે સુજાતા તથા ગાયત્રીના ખૂનોમાં મને સંડોવવાનો પ્રયાસ કર્યો છે.

    એ વાત તેના દિમાગમાં ઠસાડવાનો પ્રયાસ કરીશ!’

    જોરાવરે ધીમેથી માથું હલાવ્યું.

    દસેક મિનિટ બાદ તે ચાલ્યો ગયો.

    એ ગયો કે તરત જ મહેશ એના શયનખંડમાં પ્રવેશ્યો.

    ‘ પિતાજી...’ એ અમીચંદની સામે બેસતાં ગંભીર અવાજે બોલ્યો, ‘ મમ્મીના મૃતદેહની વાત લોકો જાણી ચૂક્યા છે. આપણી આબરૂ પર પાણી ફરી વળ્યું છે. લોકો દબાતી જીભે વાત કરે છે. કે ત્રણ ત્રણ પુત્રો હોવા છતાં પણ પોલીસે મમ્મીના અંતિમ સંસ્કાર કર્યા. અમુક લોકો તો એમ પણ કહે છે કે અંતિમ સંસ્કારનો ખર્ચ બચાવવા માટે આપણે જાણી જોઈને જ મમ્મીના મૃતદેહને ઓળખવાની ના પાડી હતી. તો કોઈક આપણને મમ્મીના ખૂની કહે છે. કહેવાનું તાત્પર્ય એટલું જ કે પોલીસની સાથે સાથે આપણે લોકોની નજરે પણ શંકાસ્પદ બની ગયા છીએ. જેટલાં મોં, તેટલી વાત છે! મારનારનો હાથ પકડી શકાય છે, પણ બોલનારની જીભ નથી પકડી શકાતી!’

    ‘ તારી વાત સાચી છે મહેશ! લોકોની નફરતભરી નજર આપણો પીછો કરે છે! આપણે ગાયત્રીનાં મૃતદેહને ઓળખીને તેનાં અંતિમ સંસ્કાર કર્યા હોત તો સારું થાત! પણ હવે શું થાય ?’

    ‘ આપણે મમ્મીના અસ્થિફૂલ વિધિસર ગંગા નદીમાં પધરાવવા જોઈએ...! મમ્મી મૃત્યુ પામ્યા છે, એ વાત આપણાં મિત્રો અને સગાં-વ્હાલાઓ સમક્ષ જાહેર કરી દેવી જોઈએ.’

    ‘ તને યોગ્ય લાગે તેમ કર! મારી પતિ તો એકદમ મુંઝાઈ ગઈ છે...!’ અમીચંદ થાકેલા અવાજે બોલ્યો. મહેશ ધીમેથી માથુ હલાવીને રહી ગયો.

  • ***
  • ‘ વામનરાવ પોતાના ફ્લેટના ડ્રોંઈગરૂમમાં બેસીને ગાયત્રીદેવીના ખૂનકેસની કડીઓ મેળવવાનો પ્રયાસ કરતો હતો.

    ‘ પરંતુ એ કડીઓના આધારે હજુ ખૂનીઓ પર પંજો ઉગામી શકાય તેમ નહોતું.

    રાતના સાડાદસ વાગી ગયા હતા. પરંતુ હજુ સુધી તે કોઈ નક્કર પરિણામ પર નહોતો પહોંચી શક્યો. એનું મગજ પ્રત્યેક પળે ગુંચવાતું જતું હતું.

    સહસા ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી.

    એણે રિસીવર ઊંચકીને કાને મૂક્યું.

    ‘ હલ્લો...ઈન્સ્પેકટર વામનરાવ સ્પીકીંગ!’

    ‘ વામનરાવ, હું નાગપાલ બોલું છું!’ સામે છેડેથી નાગપાલનો પરિચિત સ્વર તેને સંભળાયો.

    ‘ ફરમાવો નાગપાલ સાહેબ!’ વામનરાવના ચહેરા પર પ્રસન્નતારીભરી ચમક પથરાઈ ગઈ, ‘ શું કોઈ નવી વાત જાણવા મળી છે ?’

    ‘ હા...’

    ‘ શું ?’

    ‘ સરોજ અને ગુડ્ડીનો પત્તો મળી ગયો છે!’

    ‘ એમ...!’

    ‘ હા...’

    ‘ ક્યાં છે એ બંને...?’

    ‘ તેઓ નહેરૂ રોડ પર ચાંદની બિલ્ડીંગમાં બીજાં માળ પર ચાર નંબરના ફ્લેટમા રહે છે.!’

    ‘ થેક્યું નાગપાલ સાહેબ...!’

    ‘ અમીચંદના કેસમાં કઈ પ્રગતિ થઈ...?’

    ‘ ના, નાગપાલ સાહેબ...! ગાયત્રીદેવીનું ખૂન એ લોકોએ જ કર્યું છે, તેની મને ખાતરી છે. પરંતુ તેમને ખૂની પૂરવાર કરી શકાય એવો કોઈ સજ્જડ પૂરાવો હજુ સુધી મને નથી મળ્યો.’

    ‘ તું તારે પૂરી લગ્ન અને ઉત્સાહથી તારું કામ ચાલું રાખ! પ્રયાસો કરવાથી પૂરાવા તો શું, ભગવાન પણ મળી જાય છે. મારું કંઈ કામ હોય તો જરા પણ સંકોચ રાખવા વગર કહી દેજે.’

    ‘ જરૂર...’

    ‘ સારું, ત્યારે...’

    ‘ સામે છેડેથી સંબંધ કપાઈ ગયો.

    વામનરાવ રિસીવર મૂકીને શયનખંડ તરફ આગળ વધી ગયો.

  • ***
  • સરોજ પોતાના ફ્લેટના ડ્રોંઈગરૂમમાં બેસીને કોઈક ઊંડા વિચારમાં ડૂબી ગઈ હતી.

    ડોરબેલનો અવાજ સાંભળીને તેની વિચારધારા તૂટી.

    એણે પલંગ પર ગાઢ ઊંઘમાં સૂતેલી ગુડ્ડી સામે જોયું.

    પછી તે બારણાં તરફ આગળ વધી ગઈ.

    એણે સ્ટોપર નીચી કરીને બારણું ઉઘાડ્યું.

    વળતી જ પળે એના ચહેરા પર આશ્ચર્યમિશ્રિત અવિશ્વાસના હાવભાવ છવાઈ ગયા.

    બહાર મોતીલાલ ઊભો હતો...!

    આજે વર્ષો પછી એ પોતના પિતાજીનું મોં જોતી હતી.

    સરોજ પર નજર પડતાં જ એની આંખોમાં આંસુ ઘસી આવ્યા.

    ‘ પ...પિતાજી...!’ સરોજના મોંમાંથી આશ્ચર્યોદ્દગાર સરી પડ્યો.

    ‘ દિકરી... તું હજુ સુધી મારા પર નારાજ છો...? લગ્ન પછી એક વખત પણ મને મળવાનું તને યોગ્ય ન લાગ્યું...?’

    ‘ પિતાજી...!’ સરોજ તેને વળગીને ધ્રુસકાં ભરવા લાગી.

    મોતીલાલ સ્નેહથી તેના માથા પર હાથ ફેરવવા લાગ્યો.

    ‘ અરે...તું રડે છે શા માટે...? રડવાનું કામ તો કાયરનું છે...! તું તો ખૂબ જ બહાદુર છો સરોજ...!’

    સરોજ તરત જ પોતાની જાત પર કાબૂ મેળવી લીધો.

    ત્યારબાદ એ મોતીલાલને અંદર લઈ ગઈ.

    ‘ પિતાજી...હું અહીં છું, એ વાતની તમને કેવી રીતે ખબર પડે...?’ એણે પૂછ્યું.

    ‘ નાગપાલ સાહેબ પાસેથી જ આ વાત મને જાણવા મળી છે! તને શોધી કાઢવાનું કામ મેં તેમને સોપ્યું હતું.’ કહીને મોતીલાલે તેને બધી વિગતો જણાવી દીધી.

    ‘ ઓહ...’ સરોજ બબડી.

    ‘ સરોજ...સુજાતા અને ગાયત્રીદેવી મૃત્યુ પામ્યાં છે, એની તને ખબર છે ?’

    ‘ હા...આ બાબતમાં મેં અખબારમાં વાંચ્યું હતું.અમીચંદના કુટુંબ વિશે હાલમાં છાપાઓમાં કઈ સારા સમાચાર નથી આવતા!’

    ‘ જે કંઈ છપાય છે, તે સાચું જ છે દિકરી!’

    ‘ એટલા માટે જ તો મેં એ ખૂની કુટુંબને હંમેશને માટે છોડી દીધું છે પિતાજી...!’

    ‘ એ તેં સારું જ કર્યું છે...! નહીં તો શયતાનો એક દિવસ તને તથા ગુડ્ડીને પણ મારી નાંખત!’

    ‘ જી, પિતાજી...’

    ‘ ચાલ, દિકરી...હું તને તેડવા માટે જ આવ્યો છું.’

    ‘ ના, પિતાજી...હું અહીં જ બરાબર છું.’ સરોજે નકારાત્મક ઢબે માથું હલાવતાં કહ્યું.

    ‘ આ તું શું કહે છે દિકરી...?’

    ‘ પિતાજી...તમારી લાગણીની હું કદર કરું છું, પરંતુ મને માફ કરી દો...હું તમારી સાથે આવી શકું તેમ નથી.’

    ‘ ઓહ...તો એનો અર્થ એ થયો કે તેં મને માફ નથી કર્યો ખરું ને ? દિકરી, તેં મારી મરજી વિરુદ્ધ લગ્ન કર્યા, ત્યારે મારાથી ક્રોધમાં જે કંઈ કહેવાઈ ગયું, એ બદલ હું માફી માગું છું. પરંતુ મેં જે કંઈ કહ્યું હતું, તે માત્ર જીભથી જ કહ્યું હતુ. માનથી નહોતુ કહ્યું. મારે મન આજે પણ તું લગ્ન પહેલાંની જ સરોજ છો! દિકરી, તારું મોં જોવા માટે હું કેટલો તરફડ્યો છું, એની તને શું ખબર પડે ?’

    ‘ પિતાજી...!’ સરોજ વેદનાભર્યા અવાજે બોલી, ‘ હું ગુડ્ડીનો સોગંદ ખાઈને કહું છું, કે મને તમારા પ્રત્યે જરા પણ નારાજગી નથી. પહેલાં પણ નહોતી ને આજે પણ નથી. પરંતુ અત્યારે હું તમારી સાથે આવી શકું તેમ નથી. અલબત્ત, થોડાં દિવસો પછી જરૂર આવીશ એનું હું તમને વચન આપું છું.’

    ‘ શું હું ગુડ્ડીને મારી સાથે લઈ જઈ શકું છું ?’

    ‘ જરૂર...! જેટલો હક તમારો મારા પર છે, એટલો જ ગુડ્ડી પર પણ છે!’

    મોતીલાલે પોતાની આંખો લૂંછી નાખી.

    એના ચહેરા પર પ્રસન્નતાના હાવભાવ છવાઈ ગયા.

    ‘ તમે બેસો પિતાજી...હું તમારે માટે ચા બનાવી લાવું છું...’ કહીને સરોજ બહાર નીકળી ગઈ.

    મોતીલાલ પલંગ પર બેસીને સ્નેહથી ગાઢ ઊંઘમાં સૂતેલી ગુડ્ડીના માથા પર હાથ ફેરવવા લાગ્યો.

  • ***
  • અમીચંદ પોતાના શયનખંડમાં આમથી તેમ આંટા મારતો હતો.

    એના ચહેરા પર પારાવર બેચેની અને વ્યાકુળતાના હાવભાવ છવાયેલા હતા.

    વામનરાવે જે કંઈ કહ્યું છે, તે કરી બતાવીને જ જંપશે એવું તેને લાગતું હતું.

    આ વખતે તે પૂરાવાઓ લઈને જ આવશે અને ગાયત્રીના ખૂનના આરોપસર પોતાની ધરપકડ કરી લેશે.

    સહસા ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી.

    એ તરત જ ટેલિફોન-સ્ટેન્ડ પાસે પહોંચ્યો.

    ‘ હલ્લો...અમીચંદ સ્પીકીંગ...’ એણે રિસીવર ઊંચકીને કાને મૂકતાં કહ્યું.

    ‘ મિસ્ટર અમીચંદ...હું નરોત્તમ ઝવેરી બોલું છું.!’

    ‘ ઓહ...ફરમાવો સાહેબ...!’

    ‘ મિસ્ટર અમીચંદ, તમે ગોપાલ સાથે વાત કરી લીધી ?’

    ‘ ના, સાહેબ...!’ કહેતાં કહેતાં અમીચંદના કપાળ પર પ્રશ્વેદ બિંદુઓ ચમકી ઊઠ્યા.

    ‘ શું...? તો પછી ક્યારે કરશો...? જુઓ મિસ્ટર અમીચંદ હું હવે જેમ બને તેમ જલ્દીથી વંદનાના લગ્ન કરીને મારી જવાબ દારીમાંથી મુક્ત થવા માગું છું.’

    ‘ હું સમજું છું નરોત્તમ સાહેબ! પરંતુ અમારે ત્યાં જે દુ:ખદ બનાવો બની ગયા છે, એ તો આપ જાણતા જ હશો. અમારું કમનસીબ તો જુઓ...શેરડીના ખેતરમાંથી પોલીસને જે સ્ત્રીનો મૃતદેહ મળી આવ્યો હતો, અને જેને અમે નહોતાં ઓળખી શક્યા, એ મૃતદેહ વાસ્તવમાં મારી પત્નિ ગાયત્રીનો હતો.

    ‘ મને એ વાતની ખબર છે મિસ્ટર અમીચંદ!’

    ‘ ગાયત્રીનું તેરમું વીતી જવા દો. પછી હું ગોપાલ સાથે વાત કરી લઈશ. આપના કરતાંય મને વધુ ઉતાવળ છે.’

    ‘ કેમ...?’

    ‘ જુઓ, નરોત્તમ સાહેબ, હું જે હોય તે સ્પષ્ટ રીતે કહી નાખવામાં માનું છું. વાત એમ છે કે કરોડીમલ દેવું ચુકતે કરવા માટે મારા પર ખૂબ જ દબાણ કરે છે.’

    ‘ જે કંઈ કરવું હોય તે જલ્દી કરો...હું હવે બહુ રાઈ જોઈ શકું તેમ નછી.’

    ‘ ભલે નરોત્તમ સાહેબ...!’

    ‘ ઓ.કે...’ કહીને સામે છેડેથી સંબંધ વિચ્છેદ થઈ ગયો.

    પરંતુ એક વાતથી તે અજાણ હતો.

    બારણાં પાસે ઊભેલાં ગોપાલે તેની બધી વાતો સાંભળી લીધી હતી.

    અમીચંદે રિસીવર મૂકીને પીઠ ફેરવી.

    પછી દ્વાર પાસે ગોપાલને ઊભેલો જોઈને તે એકદમ ડઘાઈ ગયો.

    ‘ ગોપાલ, તું...?’ એણે અચરજભર્યા અવાજે પૂછ્યું.

    ‘ તમે કદાચ કોઈક સાથે મારા લગ્નની વાતચીત કરતા હતા ખરું ને ?’

    ‘ હા, ગોપાલ...’

    ‘ તમે કોની સાથે વાત કરતા હતા ?’

    ‘ નરોત્તમ ઝવેરી સાથે...! તેઓ પોતાની દિકરીના લગ્ન તારી સાથે કરવા માંગે છે!’

    ‘ શું...?’ જાણે અચાનક જ જમીનમાં કરંટ વહેવો શરૂ થયો હોય એમ ગોપાલ ચમક્યો.

    વળતી જ પળે એને વિચાર આવ્યો.

    પોતાના લગ્ન વંદના સાથે કરવા માટે ક્યાંક આ લોકોએ તો સુજાતાને નથી મારી નાખીને ?’

    બનવાજોગ છે કે આ લોકોએ એના ખૂનને આપઘાતમાં ફેરવી નાખ્યો હોય!

    પરંતુ એ કોઈ નક્કર પરિણામ પર ન પહોંચી શક્યો.

    ‘ તું શું વિચારે છે ગોપાલ ?’

    ‘ હું લગ્ન નહીં કરું પિતાજી...?’

    ‘ આ તું શું કહે છે દિકરા...?’

    ‘ હા, પિતાજી...હું સુજાતાને ભૂલી શકું તેમ નથી.’

    ‘ ગોપાલ, જો તારા લગ્ન વંદના સાથે નહી થાય તો આપણી હાલત ભિખારી જેવી થઈ જશે.’

    ‘ એટલે...?’

    જવાબમાં અમીચંદે કંપનીનું નુકસાન તથા આર્થિક હાલતની કંગાળતા વિશે તેને જણાવી દીધું.

    ‘ ના...આવું બને જ નહીં...!’ ગોપાલે અચરજમિશ્રિત અવિશ્વાસભર્યા અવાજે કહ્યું, ‘ તમે મજાક કરો છો...’

    ‘ હું મજાક નથી કરતો પણ સાચું જ કહું છું ગોપાલ...!’ અમીચંદે ગંભીર અવાજે બોલ્યો.

    ‘ ઓહ...’

    ‘ હવે તારો શું વિચાર છે ?’

    ‘ કઈ બાબતમાં...?’

    ‘ વંદના સાથે લગ્ન કરવાની બાબતમાં...! જો તું એની સાથે લગ્ન કરી લઈશ, તો નરોત્તમ આપણું તમામ દેવું ચુકતે કરી દેશે. એટલું જ નહીં, કંપનીને ફરીથી ધમધમતી કરવા માટે પચીસ લાખ રૂપિયા રોકડા પણ આપશે. આમેય, એની પાસે જે કંઈ છે, તે ભવિષ્યમાં તારું જ છે! તારે આ સોનેરી તક ન ગુમાવવી જોઈએ એમ હું માનું છું.’

    ‘ પિતાજી...તમે મને શું સમજો છું...?’ ગોપાલના અવાજમાં નારાજગીનો સૂર હતો.

    ‘ એટલે...?’

    ‘ હું પારકા પૈસાને કાંકરા સમાન માગું છું, હું કોઈ કાળે, ક્યારેય વંદના સાથે લગ્ન નહીં કરું!’

    ‘ ગોપાલ...’ અમીચંદ જોરથી બરાડ્યો.

    ‘ હા, પિતાજી...આ મારો અંતિમ નિર્ણય છે...!’ કહીને ગોપાલ ઝડપથી બહાર નીકળી ગયો.

    અમીચંદે ક્રોધથી દાંત કચકચાવ્યા.

    ***

    બીજા રસપ્રદ વિકલ્પો

    શેયર કરો

    NEW REALESED