Sorthi Barvatiya - Part 3 (Baharvatiyo Rayde) books and stories free download online pdf in Gujarati

Sorthi Barvatiya - Part 3 (Baharvatiyo Rayde)

સોરઠી બહારવટીયા

ભાગ -૩

(બહારવટિયો રાયદે)


©COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti / NicheTech has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

નિવેદન

(પહેલી આવૃત્તિ)

સોરઠી સાહિત્યનું એક વિશેષ અંગ આજે સમેટાઈ જાય છે. માથા પરથી એક ગાંસડીનો બોજો નીચે ઉતારીને પ્રવાસી રાહતનો એક નિઃશ્વાસ નાખે છે. એક દસકાની અવધ નજીક દેખાય છે.

થોડાએકને અળખામણું, ઘણા મોટા સમુદાયનું આદરપાત્ર અને મને પોતાને તો પ્રિય કર્તવ્ય સમું આ બહારવટિયાનું ઈતિહાસ-સંશોધન બની શક્યું તેટલું સ્વચ્છ અને પ્રામાણિક બનાવવા હું મથ્યો છું. ઘણાઘણાઓએ મારી સહાયે આવીને બીજી રીતે દુષ્પ્રાપ્ય એવી નક્કર હકીકતો મને ભળાવી છે. એમાંના અમુક સહાયકોને તો હું ઇતિહાસના પાકા અભ્યાસીઓ માનું છું. આ બહારવટા-પ્રકરણમાં એક મહત્ત્વની ઐતિહાસિકતા ભરી હોવાથી તેઓની શ્રદ્ધાની હૂંફ કુતર્કોના થોડા સુસવાટોની સામે મને રક્ષણ આપી રહી છે. તેઓનાં કોઈનાં નામ અત્રે લખવાની મને મંજૂરી નથી કેમ કે બહારવટાપ્રકરણનું રાજદ્વારીપણું હજુ સમયદેવે સૌરાષ્ટ્રનાં દેશી રજવાડાંમાંથી ભૂંસી નથી નાખ્યું.

બે વર્ષો સુધી આ વિષય પર રજૂ થયેલા છૂટાછવાયા વિચારો તપાસીને, તેમ જ આને લગતું યુરોપી સાહિત્ય બન્યું તેટલું પચાવીને, મારી લાંબી મીમાંસા પણ અત્રે રજૂ કરી દઉં છું. એને હું વિચારશીલ આપ્તજનોની નજર તળેથી કઢાવી ગયો છું. તેઓએ મારી વિચારસરણી પર પોતાની વિવેકદૃષ્ટિની મોહર ચાંપી છે.

હું તો માત્ર એટલું જ સૂચવું છું કે કોઈ પણ એક યુગ અન્ય યુગને નરી પોતાની જ વર્તમાન વિચારણાની તુલાએ ન્યાયપૂર્વક ન તોળી શકે. ભૂતકાળના સંસ્કારોનું મૂલ મૂલવવા બેસતાં પહેલાં સર્વદેશીય, ઉદાર અને વિગતોમાંથી સાચો પ્રાણ તારવનારી દૃષ્ટિ જરૂરી છે. તે સિવાય તો યુગ એટલો વેગથી ધસે છે કે ગઈ કાલ અને આજ વચ્ચે પણ દૃષ્ટિભેદનાદરિયા ખોદાય છે; એટલે એ વેગીલી મનોદશાની સામે તો ભૂત-વર્તમાનનો કોઈ કલ્યાણ સંયોગ સંભવતો જ નથી. પણ અતીતનો અનુભવો-સંઘરો જેઓને મન કંઈકેય ઉપકારક હોય, તેઓને આવાં ઇતિહાસ-પ્રકરણોમાંથી તેજસ્વી વર્તમાન સર્જાવવા માટે મહાન પ્રાણબળ જડી રહેશે. મારી ફરજ એવી એક દૃષ્ટિ આપીને વેગળા રહેવાની સમજી હું વિરમું છું.

રાણપુર : શ્રાવણ સુદ બીજ, ૧૯૮પ (ઈ. સ. ૧૯ર૯)

ઝવેરચંદ મેઘાણી

(ત્રીજી આવૃત્તિ)

‘બહારવટાંની મીમાંસા’ એ શીર્ષક હેઠળ જે ૮૦ પાનાંનો પ્રવેશક આગલી આવૃત્તિઓમાં મૂકેલ હતો, તેનો મેં ‘ધરતીનું ધાવણ’એ નામના મારા લોકસાહિત્ય પરના વિવેચનાત્મક લેખોના સંગ્રહમાં સમાવેશ કરી નાખીને આ પુસ્તકનો બોજો ઉતાર્યો છે. લોકસાહિત્ય વિશેનાં મારાં બધાં પુસ્તકોની સળંગ સમગ્ર સમજણને સારુ ‘ધરતીનું ધાવણ’ અને ‘લોકસાહિત્ય’ એ બે લેખકસંગ્રહો

• વાચકે જોવા જ જોઈશે.

• ૧૯૯૭ની સંકલિત આવૃત્તિ : ‘લોકસાહિત્ય : ધરતીનું ધાવણ.’

કાદુ મકરાણી, ગીગો મહિયો વગેરેના આમાં મુકાયેલા કેટલાક કિસ્સાઓમાં આધારભૂત અને ચોટદાર કેટલીક માહિતી આપનાર જે વ્યક્તિનો નામોલ્લેખ જાણીબૂજીને આગળ કર્યો નહોતો (કેમ કે તે વ્યક્તિને પ્રકટ થવાની અનિચ્છા હતી.) તેનું નામ અત્યારે આપી શકાય છે, કારણ કે એ હવે આ પૃથ્વી પર નથીઃ એનું નામ શંકરપ્રસાદ હરપ્રસાદ દેસાઈ.

થોડાએક મહિના પર અમદાવાદ હતો. એલિસબ્રિજ પર પગપાળો ચાલ્યો જતો હતો. એકાએક એક ભાઈએ મારી સાથે થઈ જઈને વાત શરૂ કરીઃ “મારે તમને ઘણા વખતથી કંઈક કહેવું છે. ‘સોરઠી બહારવટિયા’ ભાગ ત્રીજામાં રામા વાળાની વાત આવે છે તેમાં અમારું ગોંડનું... ગામ ભાંગ્યાનો ઉલ્લેખ છે. તે વખતે હું હાજર હતો. હું એ જ પટેલનો દીકરો. રાતે આવ્યા... મને રોક્યો... મારા હાથમાં દીવો લેવરાવી મને આખું ઘર બતાવવા લીધો સાથે. મને કહે કે, ‘બીશ મા; તને કોઈ નહિ મારે.’ મને એક જણ છરી મારવા આવેલો, તેને આગેવાને મનાઈ કરી દીધી, મને ગામમાં બીજે ઘેર લૂંટવા ગયા ત્યાંય સાથે લીધેલો; અને એક ઘરમાંથી ગલાલ હાથ આવ્યો તે લઈને મારે માથે-મોંયે લગાડતો.

બહારવટિયો બોલતો કે ‘છોકરા, તને તારાં માવતર તો કોણ જાણે કયે દી ગલાલે રમતો (લગ્નમાં) કરશે, આજ તો હું રમાડી લઉં !”

આ વાત કરનારનું નામ ભાઈ ઘુસાલાલ.

મોવર સંધવાણી અને વાલા મોવર સાથે પોતાના પિતાને કેવી રીતે ભેટો થયેલો તેની ફક્કડ ઘટના શ્રી ધનસુખલાલ મહેતાએ પોતાની આત્મકથા ‘આથમતે અજવાળે’માં આપી છે.

પિતા વઢવાણમાં એજન્સીના ડેપ્યુટી એજ્યેકેશનલ ઇન્સ્પેક્ટર હતા. બાળકોને પોતે આ પ્રમાણે વાત કરતા : “તે વખતે મોરનો ત્રાસ કાઠિયાવડમાં ઘણો હતો. એક વખત રાતના, બળદના સગરામમાં હું અને તમારી બા એક ગામથી બીજે ગામ જતાં હતાં. સ્ટેટ તરફથી અમારા રક્ષણ માટે એક સવાર મળતો તે સગરામ પાછળ રહેતો. અચાનક, બે ગામની વચ્ચે, ખેતરમાં તાપણાં જણાયાં, અને અમારા સગરામને એક પરિચિત આદમી લાગુ થઈ ગયો. સવારે તેમ જ સગરામવાળાએ મને ધીમે રહીને કહ્યુંઃ ‘સાહેબ, આવી બન્યુંઃ મોરની છાવણી લાગે છે.’ વસ્તુસ્થિતિ જોઈને મેં સગરામ ઊભો રખાવ્યો; કુંજાનું પાણી ઢોળી નાખીને કુંજો લઈને હું તે તાપણા ભણી જવા માંડ્યો. લાગુ પાડેલો આદમી પણ અજબ થઈ ગયો. હું તો સીધો એ તાપણા પાસે જઈને ઊભો રહ્યો. બહારવટિયાઓ વાળુ કરતા હતા. મેં તેમાંના એકને કહ્યું, ‘પાણી થઈ રહ્યું છે, અને મારી બૈરીને તરસ લાગી છે. આટલું ભરી આપશો ?’

ક્ષણભર તેમણે એકેકની સામું જોયું, અને પછી પાણી ભરી આપ્યું. પોતે જમતા હતા એટલે એમના ધર્મ પ્રમાણે એમાંના એકે કહ્યું, “ખાવા બેસશો ? પણ ખાવામાં તો માત્ર રોટલા, મીઠું અને લસણિયો મસાલો છે.’ મેં હા પાડી અને પહેલે જ કોળિયે મીઠાની ચપડી મોંમાં નાખી અને હું હસી પડ્યો. તેમનો સરદાર બોલી ઊઠ્યો, ‘તમે મને ઓળખો છો ?’ મેં જવાબ આપ્યો, ‘મોર અને વાલિયાને કોણ નથી ઓળખતું ? પણ હવે રજા આપો તો પાછો જાઉં, કારણ કે બહુ મોડું થઈ ગયું છે.’

મોર મને ભેટ્યો અને બોલ્યો, ‘કૃષ્ણલાલભાઈ, ભારે કરી હોં !તમે પણ પાકા નીકળ્યા. પણ અમારું મીઠું ખાધું એટલે આજથી આપણે દોસ્ત. હવે મુસાફરીમાં આવા સવાર-બવાર રાખતા નહિ. અમને બધી ખબર પડે છે. રાતના તમે નીકળશો એટલે મારા બે માણસ સગરામ સાથે થઈ જશે. છતાં જરૂર પડે તો આટલો બોલ કોઈને કહેશો તો કાઠિયાવાડમાં કોઈ બીજા બહારવટિયાની તાકાત નથી કે મોરના દોસ્તને લૂંટે.’

જયસુખલાલના જન્મ સમયે વાલિયો જાતે આવીને રૂમાલ અને સવા રૂપિયો આપી ગયો હતો.

શ્રી મૂળચંદભાઈ આશારામ શાહ મળે છે ત્યારે મોવર સાથે એમના પિતાને પડેલો પ્રસંગ સાંભળવા આવવા કહે છે.

જૂના સૌરાષ્ટ્રને ઉછંગે આળોટી ગયેલાં આ ગુજરાતી અમલદારકુટુંબોનાં દિલોમાં આજે પણ પડઘા ઊઠે છે - એ કાઠિયાવાડી અસલવટનાં.

૧૯૪૪ ઝવેરચંદ મેઘાણી

(પાંચમી આવૃત્તિ)

લેખકના અવસાન પછી બહાર પડેલા એમના પુસ્તક ‘છેલ્લું પ્રયાણ’માં બહારવટિયા રાયદેનું વૃત્તાંત મુકાયેલં. એ વૃત્તાંતનું વધુ યોગ્ય સ્થાન અહીં લાગવાથી ત્રીજા ભાગમાં ઉમેર્યું છે.

‘રસધાર’ની માફક આ કથાઓમાં આવતા દુહા-છંદોની અશુદ્ધિઓ શ્રી રતુભાઈ રોહડિયા અને શ્રી તખતદાન રોહડિયાએ તારવી આપી એ બદલ એમના આભારી છીએ. આ બે મિત્રોએ સૂચવેલી શુદ્ધિઓ ઉપરાંત બાકીના તમામ કાવ્યાંશોની અતિ ઝીણવટભરી ચકાસણી કરી આપવાનું પ્રીતિકાર્ય શ્રી મકરન્દ દવેએ પોતાની નાજુક તબિયતને ગણકાર્યા વિના કર્યું એ ‘સોરઠી બહારવટિયા’

અને ‘રસધાર’નાં સુવર્ણજયંતી સંસ્કરણોનું એક સંભારણું બન્યું છે.

તળપદા સોરઠી શબ્દો અને રૂઢિપ્રયોગોની અર્થસારણી ‘રસધાર’(ભાગ-પ)માં છે એ આ કથાઓના વાચકોને પણ ઉપયોગી થશે.

૧૯૮૧ જયંત મેઘાણી

બહારવટિયો રાયદે

(રાયદે બહારવટિયાનું આ વૃત્તાંત, સત્તર વર્ષે સાંગોપાંગ પ્રાપ્ત થયું જેથી મૂક્યું છે એમાં બહારવટાંની ઊજળી બાજુ છે અને નથી. પ્રસંગો રોમાંચક છે તથાપિ અનેક બહારવટિયાનાં વૃત્તોમાં પેસી ગયા હોઈ રૂઢિગત લાગે છે. ઝાઝો કાળ થયો એટલે આમાં જવામર્દીના વરખ પણ ચડ્યા હશે. પણ એક અણદીઠ પ્રદેશની પ્રજાનો, તેની ભાષાનો, અને તેના જીવન-પ્રશ્નોનો પરિચય મળે છેઃ તે માટે આ ચરિત્ર અત્રે ઉતાર્યું છે.)

કાઠિયાવાડમાં જામનગર તાબે તુંબેલ શાખાના ચારણોમાં ચોવીસ ગામ છે. માડી એમાંનું એક છે. માડી ગામને પાદર સાની નામે નદી છે. ગામ ફરતા ચાર જૂના કોઠા ને ગઢ છે.

માડી ગામમાં તુંબેલોનાં બે કુટુંબો રહે. એક બૂચડ ને બીજા ગામણા. ચારણ જેસો બૂચડ હતો. એની દીકરીને ગામણાઓના ઘરમાં દીધી હતી. દીકરાનું નામ ભાયો.

ભાઈ ભાયાને એક વાર સાસરવાસી બહેન મળી ગઈ, અને કહ્યું કે ‘મુકે હી ગામણા દુઃખ દિયેતા.” (મને આ ગામણા દુઃખ દે છે.)

ભાઈ ભાયો કહે, “આઉં હીન ઘડી પેકે કોઠણ લાઈ છંડાતો.” (હું આ ઘડીએ બાપુને તને તેડવા મોકલું છું.)

દીકરે જઈ બાપને કહ્યું, “આંઈ વીંજો, બાઈ કે કોઠીચો.” (તમે જાઓ, બહેનને તેડી લાવો.)

બાપ જેસોઃ “છડીદા ના તો કો કરીન્દા ?” (એ લોકો નહિ મોકલે તો શું કરશું ?)

ભાયોઃ “નારીન્દાસું.” (જોશું.)

તેડવા ગયેલ જેસાને ગામણાઓએ જવાબ વાળ્યોઃ “અસીંકે હિતે કમ આય. જો આંયજી ધી કે કોઠી વીંજો તો હી મેયું કર મીડે ? તે લાઈ છડીંદા ના.” (અમારે અહીં કામ છે. જો તમારી દીકરીને તેડી જાઓ તો આ ભેંસોને કોણ મેળે ? અર્થાત્‌ કોણ દોવે, દહીં-છાશ કરે ? માટે નહિ મોકલીએ.)

જેસાએ ઘેર આવીને પુત્રને કહ્યું, “તેં તો હી ધોરેમેં ધૂર ઉખાઈને !” (તેં તો મારાં ધોળામાં ધૂળ નખાવીને ?)

ભાયોઃ “કો ?” (શું)

“બાઈ કે છોડ્યા ના, ને મુકે પણ જીં તી કુછયા.” (બાઈને મોકલી નહિ ને મને પણ જેમતેમ બોલી ગયા.)

દીકરો તે ટાણે ભેંસ દોતો હતો. તે તાંબડી ફેંકી દઈ, તરવાર લઈ ગામણાને ઘેર પહોંચ્યો ને હાકલ મારીઃ “ભેણ, હલ, મોર થી, અને કેર ના ચીયેતો ? કીન્જી કંધરોટી મથે બોમથા ઇન !” (હાલ બહેન, આગળ થઈ જા. કોણ ના કહે છે ? કોની ગરદન પર બે માથાં છે ?)

“જિનજે મથેમેં રાઈ હુઈ હી હલો આડા ફીરણ.” (જેના માથામાં રાઈ હોય તે ચાલો આડા ફરવા.)

ભેંસો દોતા દોતા છ ગામણા ભાઈઓ પણ હથિયારો લઈ ઊઠ્યા, પણ ભાયાએ પડકાર્યા. તેઓ ઘરમાં ઘૂસવા ગયા. ભાયાએ એકને ફળીમાં, બીજાને ઓસરીમાં, ત્રીજાને ચૂલા પાસે ઠાર માર્યા. ત્રણ ભાગી ગયા. ભાયો બે’નને તેડી ઘર આવ્યો. એ ત્રણેય મરનારાઓની ખાંભીઓ માડીમાં છેઃ બે ફળીમાં ને એક ચૂલા પાસે.

પછી બાપ-દીકરે ગામ છોડ્યું, બાપ મૂઓ. ભાયાએ ગામણાઓને દંડ ભરી માફી માગી કસુંબો પાયો. દગો ન કરવા બંને પક્ષે માતાજીના સોગંદ લીધા. ભાયો પાછો માડીમાં આવીને રહ્યો.

એક દિવસ ભાયો પોતાના નેસમાં ખાતો હતો. તે ટાણે ગામમાં રહેતા જામ શાખાના ચારણો માંહેલો દેવો જામ આવ્યો. ભાયાએ કહ્યુંઃ “અચો અચો. હલ્યા હલ્યા. કોચી કોચી માની, ને ખીર, ને ગુણગાર વારી ચટણીઃ અય વઈ વીનો ખેંણકે.” (આવો આવો, હાલો હાલો. ગરમ ગરમ રોટલો ને દૂધ, ને લસણવાળી ચટણી છે. આવી જાઓ ખાવા.)

દેવો જામ કહેઃ “આંઉ હીન ઘડી માની ખઈ સિરાઈને અચાંતો.” (હું હમણાં જ રોટલા ખાઈ-શિરાવીને જ આવું છું.)

ખાઈ કરીને દેવા જામ પાસે બેસી ભાયાએ પૂછ્યુંઃ “કીં આવ્યા. કીં કમ આય ?” (કેમ આવ્યા ? શું કામ છે ?)

દેવો કહે, “હીં આંઈ જી તરાર ડિયો તો આંઉ હકડી બંધૂક ડિયાં.” (તમારી આ તરવાર મને આપો તો હું એક બંદૂક દઉં.)

ભાયાએ જવાબ વાળ્યોઃ “દેવા, હણે તોકે આંઉ કો ચાં ? બાયડીજાં મંમગોં ઉખેતો ! સરમાંઇ દો નાંઈ ! બંદૂક તો છોકરીઉં રખે, અને ભાયડા તરાર રખે. તું બો બો બંદૂકું રખેતો. નાહક ભાર ઉપાડી ઉપાડી મરી રીન્દો. બો બંદૂક તું વટે ઇન ને કીંય નાંઈ કરી સક્યો, હી તરારસે કો કરીન્દો ! અને પુંજી તરાર તો બાર મિથ્યા ગિની વઈ, અને બિયા બાર ગિન્દી.” (દેવા ! હવે તું બાયડીનાં માગાં કચ્છ તે શરમાતો નથી ? બંદૂક તો છોકરીઓ રાખે, મરદ તો તરવાર રાખે તું બબે બંદૂકો રાખે છે ને નાહક ભાર ઉપાડી મરી જઈશ. તારી પાસે બે બંદૂકો છતાં તું કાઈ ન કરી શક્યો, તો તરવારથી શું કરીશ ? ને મારી તરવાર તો બાર માથાં લઈ ચૂકી છે, બીજાં બાર લેવાની છે.)

દેવો કહે, “છપર વીંજું હુતે કમ અય, આંઈ હલો તો ઉતે વીનીચું.” (હું છપર ગામ જાઉં છું. કામ છે. તમે પણ સાથે ચાલો.)

ભોળો ભાયો પોતાની તરવાર લઈ દેવા સાથે ચાલ્યો. માડીથી દક્ષિણાદા થોડે ગયા ત્યાં દેવાએ પાછળ રહી જઈ ભાયાને બંદૂકે ઠાર કર્યો. સંવત ૧૯ર૯. ત્યાં આજે ભાયાની ખાંભી છે.

ભાયાની તરવાર લઈ દેવો ગામણાઓ પાસે આવ્યો. ગામણાઓએ જ એને આ કૃય સોંપ્યું હતું. બદલામાં એને એક સાંતીની જમીન ને હજાર કોરી ઇનામ દીધી. ભાયાની જમીન પિત્રાઈએ લઈ લીધી.

મરનાર ભાયાના ઘરમાં રાજબાઈ નામે કચ્છની ચારણી હતી. એને દેવી કામઈ સરમાં આવતાં તે સતી થાત, પણ બે દીકરી ને એક દીકરો હતાં તેને મોટાં કરવા પોતે દેહ રાખ્યો.

રાજબાઈનો દીકરો રાયદે પંદર વરસનો થયો. કામકાજ કરે નહિ. ભેંસો ચારવા જાય તો ઠપકા ઘેર લાવે. પરણાવેલા પુત્રને એક દિવસ રાજબાઈએ કહ્યું, “પુતર, તોફાન મ કર. હી ગોઠમેં પાણજો કોઈ નાય. ને હી જામજો ને ગામણેજો જોર અય. પણ મથે હીનજાં વેર આય. તો પાણને ધ્યાન રખણો ખપે. ને હી નાર હણે હી જામ વાઘોરેતા. કમ કજ કરીન્દો ના તો ખેન્દો કો!” (તોફાન કર નહિ. આ ગામમાં આપણું કોઈ નથી. જામ તેમ જ ગામણા ચારણોને આપણે માથે વેર છે. તો ધ્યાન રાખવું ઘટે. ને જો, જામ લોકો તો મારી નાખવાની ધમકી પણ મોકલે છે. કામ નહિ કર તો ખાઈશ શું ?)

રાયદે કહે, “નારીજ મા ! આંઉ થોડા ડી મેં હકડી ગુણ કુરીયુંજી ગિની અચીન્દો, પોય વેઠાં વેઠાં ખેન્દા સું. પોય કો ?” (જોજે મા, હું થોડા દિવસોમાં એક કોથળો કોરીઓનો ઉપાડી લાવીશ, પછી આપણે બેઠા બેઠા ખાશું. પછી શું છે ?)

રાયદેએ એક ટોળી કરી પીપરડી ગામ ભાંગ્યું. પકડાયો. જામનગર રાજની સજા પડી. જેલમાં ગયો. બેચાર વર્ષે છૂટીને ઘેર આવ્યો ત્યારે એને ખબર પડી કે પોતાની પરણેલી ઓરત બુધીબાઈને દેવા જામ ચારણે ખજુરિયાના ચારણ ગાંગા મૂજ વેરે પરણાવી દીધી છે.

રાયદેનું હૃદય ધમપછાડા કરવા લાગ્યુંઃ “હાય હાય, કો કરિયાં ! હણે જામ કે ફૂંકી ડિયાં, કે ઘૂમી ડિયાં !”

માએ સમજાવ્યોઃ “નાર રાયદે, હણે તું કીંય પણ કરીન્દો તો આંઉ મથો પછાડી મરી વિન્ની.” (હવે તું કાંઈ પણ કરીશ તો હું માથું પછાડી મરીશ.)

મા રોવા લાગી, એટલે રાયદેએ કહ્યું, “મ રો ! આંઉ કીંય ના કરીન્દો.”

ડોશીનો દેહ છે ત્યાં સુધી શાંતિ રાખવી એવું વિચારીને કાયદે શાંત બેઠો રહ્યો. પણ ચોરે ગયો ત્યાં ગામણા તેમ જ જામ ચારણો એને મેણાં મારવા ને ગાળો દેવા લાગ્યા. બોલાચાલીમાં દેવા જામે કહ્યું એક વાર, કે “હી ચોરો તોજા પેજો નાંય. ભજી વીન. નીકર મારી ઉખીન્દો. હકડી દારૂજી ચપટીજો ખરચ આય, જીતરો તોજા પેજે લાઈ ખપ્યો હીતરો તો લાઈ અપનો.” (ભાગી જા, નહિતર મારી નાખીશ. ચપટી દારૂનો જ ખરચ છે. જેટલો દારૂ તારા બાપને મારાવામાં જોયો હતો તેટલો જ તને મારવામાં જોશે.)

રાયદે કહેઃ “આંય મારીન્દા ને બીઆ માડુ કે હથ ન હુન્દા કીં ?” (તમે મારશો તો બીજા માણસને હાથ નહિ હોય, કેમ ?)

દેવો જામ કહેઃ “હથ હોય તો ગીન હી બંદૂક ને નીકર મું મથે બારવટે.” (હાથ હોય તો લે આ બંદૂક ને નીકળ મારા પર બહારવટે.)

આ તકરાર બીજાઓએ ઓલવી, પણ રાયદે વિચારી રહ્યો કે શું કરું? કાંઈ કરીશ તો મા મારી ઝૂરી ઝૂરીને મરશે, એમ વિચારી ગમ ખાઈ રહ્યો. પણ એક વાર ચોરે હજામત કરાવવા બેઠેલો ત્યાં એનું અપમાન થતાં, અરધી હજામતે એને ઉઠાડી મૂકતાં, એણે ઘેર આવીને માને કહ્યુંઃ “મા, હણે મુકે રજા ડિયો. મુસે હી સેન નાઈ થિન્દો. ને જો રજા મ ડિન્દી તો આંઉ મથો પછાડી મરી વીન્નો.” (મા, હવે મારાથી સહન નથી થતું; હવે મને રજા નહિ દે તો હું માથું પટકીને મરીશ.)

આ સાંભળ્યા પછી રાજબાઈના શરીરમાં આઈ કામઈ આવ્યાં, પોતે ધૂણ્યાં. પુત્રનો વાંસો થાબડ્યોઃ “વીંજ બેટા. રજા ડિયાંતી. પણ ધ્યાન રાખીજ. મુંજી કૂંખ લજાઈજ મા. ને માતાજી તોજી રક્ષા કરે. વીંજ લોઢેજા કમાડજો રીન્દો. આશિષ દિયાંતી.” (જા બેટા, પણ ધ્યાન રાખજે, મારી કૂખ લજવીશ નહિ. જા, માતાજી તારી રક્ષા કરે. ને તું લોઢાનાં કમાડ જેવો રહીશ. આશિષો દઉં છું. પણ કુંવારી જાન ન લૂંટજે, જે ગામ ભાંગ તેનું દૂધ ન ખાજે, મીઠામાં હાથ પડે તે ગામની લૂંટ મૂકી દેજે.)

બેટાને છાતીએ લીધો ત્યારે રાયદેએ પગે લાગી, રડતાં રડતાં ભાંગ્યાતૂટ્યા શબ્દો કહ્યાઃ “મા, માફ કરીજ. આંઉ કીં પણ આંયજી સેવા કરી નાંઈ સક્યો.” (મા માફ કરજે. હું તારી કાંઈ પણ સેવા કરી ન શક્યો.)

રાયદે ચાલ્યો ગયો તે પછી તુરત જ રાજબાઈ ઘરમાં અલોપ થઈ ગયાં. રાયદે અમરેલી જઈને લાન્સરમાં દાખલ થયો. ત્યાં વધીને દફેદાર બન્યો. ત્યાંથી એની બદલી રાજકોટ થઈ. ત્યાં પોતે કમાન્ડિંગ સાહેબનાં પડમ પાસે જઈ બેસતો ને વાતો કરતો. મડમે રાયદેને ભાઈ તરીકે માન્યો હતો. પણ રાયદે બેઠો બેઠો એક દિવસ વિચાર કરે છેઃ “આંઉં તો હીતે નોકરી કરાતો, પણ વેર તો હી ને હી રઈ વિયો.” (હું આંહીં નોકરી કરું છું, પણ વેર તો એમ ને એમ રહી ગયું.)

મડમે પૂછ્યુંઃ “ક્યા વિચાર કરતા હૈ, રાયદે?”

રાયદે કહે કે “મેરેકુ ગામ જાનાં હૈ.”

મડમ કહેઃ “કોના ગામ ?”

“હમારા માડી ગામ.”

“અચ્છા, તો જાવ. મેં સાબકો બોલકે રજા દિલાઉંગી.”

“યૂં નહિ.”

“તો ક્યું?”

“એ તુમારા જોટા દો, કારતૂસ દો, ઘોડો દો, ડ્રેસ દો, તો જાનાં હૈ.”

મડમ કહેઃ “અચ્છા, ભાઈ !”

મડમે રજા અપાવી, જોટાળી બંદૂક, કારતૂસ, ડ્રેસ, બધું અપાવ્યું, ને રાયદે તે પહેરી ઘોડેસવાર બની બારાડી તરફ ઊપડ્યો. ને રસ્તે એની ખોપરી બોલતી રહીઃ “આંઉ જડે દેવેકે, વજેકે, સામતકે, હી બધાય જામકે, મૂંજી બાયડી રાખીને વીઠો અય હી ગાંગે કે જડે ઘુમી ડિયાં, ફૂંકી ડિયાં, મારી ઊખ્યાં, તડે જ ઠીક ચોવાય. મુંજા પેજો મારીતલ કો જીરો રે તો તો આંઉ મુંજી માજે પેટ પાણો પડ્યો ચોવાઉં.” (હું જ્યારે દેવાને, વજાને, સામતને, એ બધા જામને તેમ જ મારી બાયડીને રાખી બેઠેલ ગગાને ફૂંકી દઉં, ત્યારે જ ઠીક કહેવાય. મારા બાપનો મારનાર કોઈ જીવતો હોય ત્યાં સુધી હું માને પેટ પાણો પડ્યો કહેવાઉં.)

માડી ગામમાં સંવત ૧૯૪૪ના આસો સુદ પૂનમને દિવસે ચાર વાગ્યે સાંજે પહોંચી તેણે દેવાના ભાઈને ઠાર માર્યો, દેવો ન જડ્યો, ઘોડાને ઉપાડ્યો. થોડે આઘે એક હરદાસ નામનો ચારણ મળ્યો. એના ખભામાં પાવલી જડેલી પટાવાળી ફૂમકિયાળી તરવાર હતી. હાથમાં ફરસી હતી, પગના જોડા ચરડ ચરડ બોલતા આવતા હતા. ઓળખ્યો, જોટાળી ચડાવીને સામી ધરી. હરસાદે હાથ જોડી કહ્યુંઃ “રાયદે, આઉં તો તોજો કુત્તો અયાં.”

રાયદે કહે, “ભેંસા ! ચારણથી, તરાર બાંધી માફી માગેતો! વીંજ કુતા ! દે ડે તરાર.” (હે નાલાયક ! ચારણ થયો છે, તરવાર બાંધી છે. ને માફી માગે છે ? ચાલ્યો જા કુત્તા ! દઈ દે તારી તરવાર.)

ત્યાંથી ખજુરિયા ગામે જઈ પોતાની સ્ત્રીને રાખનાર ચારણ ગાંગાને ખેતરમાંથી તેડાવી ઠાર માર્યો. ત્યાંથી રાતના દસ વાગ્યે બેહ નામના ગામે ગયો, ત્યાં માડીથી સામત જામ મહેમાન આવેલ તેથી વીરપાલ સંધિયાની ડેલીએ દાયરો જામેલો. ત્યાં જઈ ઘોડો ઊભો રાખ્યો ને સાહેબવેશે ત્રાડ પાડીઃ “ઇધર માળીવાલા સામત જામ આયા હૈ ?”

સામતે અવાજ પારખ્યો. ઘરમાં ઘૂસી ગયો. હવે ઘણાં માણસો વચ્ચે એને બંદૂકે શી રીતે મરાય ? એટલે ઘોડો ઉપાડી કહેતો ગયો કે “ધ્યાન રખીજ, આંઉ રાયદે, આંયકે રિબાઈ રિબાઈને મારણા આય.”

ચોથે દિવસે રાજકોટ પહોંચી પોતાની નોકરીએ ચડી ગયો. પણ જામનગરના રાજ્ય તરફથી ધગધગતી તપાસ થવા લાગી, તેથી પોતે પલટનમાંથી ફારેગ થઈ નીકળી ગયો ને થોડા દિવસ પોતાની બન્ને બહેનો પાસે પરોડિયા ગામે ને રાણ ગામે રોકાયો. પણ તપાસ ચાલુ હતી એટલે કંટાળીને વિચાર કર્યો કે નકામા પકડાઈને ભીંત હેઠળ દબાઈ જઈ મરવા જેવું છે, માટે હવે તો નીકળી જ પડું.

સંવત ૧૯૪પના ચૈત્ર માસમાં એણે દસ માણસોની ટોળી બાંધીઃ ચારણ ધાના ધરશન ભાથરનો, ચારણ પેથો ગ્રામડીનો, ચારણ સામત ભીડાનો, ચારણ વીરો ગ્રામડીનો, ચારણ જેસો પરોડિયાનો, વાઘેર રાજપાળ ને માણેક હરભમ ગોરવિયાના, વાઘેર હાડો વીરપુરનો, કાનગર બાવો ને રમજાન કુભાર રાણનો : ગ્રામડી જઈને મમાઈ માતાજીને પગે લાગી માગ્યું કે

“સામે પગલે મૉત દીજ.” (સામે પગલે મૉત દેજે, મા!)

ધોકે લઈ વેરી ધરે, દિયે તરારે તુંબેદ્ધ,

ગાલીએ છંદા ખેલ, સોંપ્યાં સોરઠિયે કે.

(વેરીઓ સામે ધોકા લઈને ધસવું અને તરવારો ઝીંકવી એ તુંબેલ ચારણોનું કામ છે. માણસોમાં બેસી વાતોના તુક્કા લગાવવા, છંદો ગાવા કે ગેલ કરાવવા, એ તો સોરઠિયા પરાજિયા વગેરે ચારણોને સોંપ્યું છે.)

વજીર હથે વલ્યાતમાં, કાયમ વીંજે કેસ,

ફાંકડા ફોજદાર કે, રણમેં ધીસે રાયદોે.

(વિલાયતમાં વજીરને હાથ રોજ મામલ પહોંચે છે. ફાંકડા ફોજદારોને રાયદે રણમાં સંહારે છે.)

હાકેમ હાલારજા, કંગાલ માડુજા કાર,

ઉન્જે ફાંદે મેં ફાર, રિસતી તોજી રાયદે.

(હાલારના હાકેમોના પેટમાં તારી ફાળ રહે છે, હે રાયદે.)

આંબરડી ઝોરી એકડી, દાત્રાણો ધોરે ડી, દેવડિયે કે દબિયો, રાતે ફુલેકાં રાયદે.

(એક દિવસે આંબરડી ગામ ભાંગ્યું, ધોળે દહાડે દાત્રાણું ભાંગ્યું. દેવાળિયાને દાબી દીધું, ને રાતે તું ફુલેકાં ફર્યો.)

ત્રાડ દિયે તુંબેલ, હલારમેં હલાય ના,

સુરો ચારણ છેલ, રફલે ધબે રાયદે.

બીજું વૃત્તાંત એમ મળે છે કે રાયદેએ ઘોડો, બંદૂક, ડ્રેસ વગેરે પલટનમાંથી નહિ પણ આ રીતે મેળવ્યાંઃ પોતે માની રજા લઈ ખંભાળિયા જાય છે. રસ્તે ‘ઘઈનો પુલ’ એ ઠેકાણે એક ઘોડેસવાર જમાદાર ટપાલ લઈને જતો હતો તે મળ્યો. રામ રામ કર્યા. જમાદારે પૂછ્યુંઃ “ક્યાં જાય છે ?”

“ખંભાળીએ ડોલા (તાબૂત) જોવા.”

“કેવો છો?”

“મકરાણી.”

ધઈ નદીના પુલ પાસે જમાદાર નીચે ઊતર્યા, રાયદેને પોતાનો ઘોડો ઝાલવા દીધો. જોટાળી બંદૂક ઝાડને થડે ટેકવીને પેશાબ કરવા ગયા.

“વાહ ! માતાજીએ હથોહથ દીધાં. જમાદાર, લ્યો રામ રામ !”

એમ કહેતો, રાયદે ઘોડી ચડી જોટાળી લઈને ભાગ્યો.

નગરની ગાદીએ વીભો જામ હતા. તેણે અમલદારોને તેડાવી સભા ભરી પોતે ભાષણ આપ્યું કે, તમે રાજપૂત થઈ ગામગરાસ ખાવ છો, સરકારી નોકર કહેવાવ છો ને ખાલી બગલૂસ (પટા) ગટર બાંધી ફોર છો, પણ એક રાયદેને હાથ કરી શકતા નથી, તેમ ઠાર કરી શકતા નથી, માટે મન બહુ રંજ થાય છે.

સભાસદો નીચું જોઈ ગયા. જામ સાહેબે, રાયદે ન કપડાંય ત્યાં સુધી અમલદારોના પગાર બંધ કર્યા.

રાયદેને ખેડૂતો રોટલા આપે છે એમ વિચાર કરીને ખંભાળિયા તથા કલ્યાણપરના અમલદારોએ દરેક ગામમાં નોટિસો ચોડી કે ખેડૂતોએ રોટલા ઘેરે ખાઈને જ સીમમાં જવું, કાંઈ અન્ન લઈ જવું નહિ.

થોડા દિવસ પછી ખંભાળિયા ગામે જઈ ત્રણ ગધેડાં ઊભાં રહ્યાં. તેને માથે છાલકાંમાં પંદર મણ લાડવા હતા ને સાથે એક ચિઠ્ઠી હતી. તેમાં લખ્યું હતું કે “હું ગરીબ ખેડૂતના રોટલા ઝૂંટતો નથી, ઓરતને લૂંટતો કે અડતો નથી, જાન લૂંટતો નથી, ખોટું બોલતો નથી, કોઈ માણસ પૈસાની ના કહેતો નથી, કાયલાપણું કરતો નથી, હું ખેડુના રોટલા ઝૂંટીને ખાઉં તો બહારવટું થાય નહિ તેની ખાતરી માટે આ લાડવા મોકલું છું તે સંભાળી લેજો. ને બીજું કાંઈ જમવા મન થાય તો કહેવરાવજો, મારી પાસે મીઠાઈ ઘણી છે. લિ. રાયદે.”

આ લાડવા એણે રાણ ગામમાં વળાવીને મોકલ્યા હતા.

પરિણામે અમલદારોએ ખેડૂતોને રોટલા સીમમાં લઈ જવાની છૂટ આપી.

“પૂના, સાગા, રામા ભા, સુણો, પાણજે પાનેલી જોરણી અય, ને ડીએજ જોરણી અય. ન જોરાં તો જોગમાયાજી દુવાઈ. હણે ભલે મુંજે પઠાણ મારી ઉખય.”

આ રીતે એક દિવસ રાયદેએ જ્યારે સાંભળ્યું કે પાનેલી ગામ પર તો ગોંડળ રાજનો એક પઠાણ ફોજદાર પચાસ પઠાણોને લઈ રાયદેને જેર કરવાનું બીડું ઝડપીને બેઠો છે કે રાયદે આવે તો ક-જગ્યાએ (ગુદામાં) બંદૂક મારી ઠાર કરું, ત્યારે તેણે સાથીઓ સમક્ષ પાનેલી ભાંગવાની - ને તે પણ દિવસે ભાંગવાની - પ્રતિજ્ઞા કરી.

એક દિવસ એક વાદી બહારવટિયાના રહેઠાણમાં આવ્યો ને રાયદેના રાસડા બોલવા લાગ્યો. બહારવટિયાએ એને ઇનામ આપીને કહ્યું કે “હી તોજો રાવણહથ્થો મુકે ડે, ને તોજો પોશાક પણ ડે.” પછી પોતે એ બધો પોશાક પહેરી રાવણહથ્થો લઈ, સાથીઓને કહ્યુંઃ “આંઈ બધા હણે ઘડીક રીતે વિયો તાં તો આંઉ હીન ઘડી અચાંતો. જરા પાનેલી વિનીચાં.” (તમે બધા થોડી વાર અહીં બેસો. હું જરા પાનેલી જઈ આવું.)

એમ વાદીવેશે શહેરની તરતપાસ કરી આવી અને ફોજદારને પણ મળી, રાયદે અહીં છે, સામે ડુંગરે બેઠો છે એવી ખબર પણ દઈ, પોતે રાતે પાછો આવ્યો અને ટોળી લઈ પાનેલી પર પડ્યો ને ફોજદાર એની પાર્ટી વગેરેને દબાવી દઈ કહ્યુંઃ “કો પઠાણ ! તું કો ચોતો વો, કે રાયદે અચે તો આંઉ ક-જગ્યાએ બંદૂકે મારી મારી ઉખ્યાં. ગીન હિન્જા ફલ.” એમ કરી બંદૂકોના ઘોડા ચડાવ્યા. બધાને પકડી પૂરી દીધા. પછી ગામ લૂંટ્યું. પછી પૂરેલાને છોડી કહ્યું કે, “ડૈ દયો હીન્જી બંદૂકું. ધીંગાણું કરણું આઈ ?” (દઈ દ્યો એમની બંદૂકો. ધીંગાણું કરવું છે ?)

પછી મોરનાં પીછાં લાવી, ફોજદારની પાછળ બ્રિચીઝમાં ખોસી મોરલો બનાવ્યો ને પીઠ ફેરવી ઊભો રાખી પછી કહ્યું, “હવે નીચે નમી નમીને કૂકડૂ કૂ બોલ ને પાછો ઊભો થઈને કુકડૂ કુ બોલ. જો બોલતો બંધ થઈ ગયો છે ને, તો પાછળથી બંદૂકે દઈશ.”

ફોજદાર તો ફાળમાં ને ફાળમાં “કુકડૂ કૂ, કુકડૂ કુ, કુકડૂ કુ,” એમ બોલતો નીચે નમતો તેમ જ ઊંચો થતો રહ્યો. પાછળ ઊભેલો રાયદે પોતાના સાથીઓને લઈ ચુપચાપ ચાલી નીકળ્યો. છેક બે ગાઉ નીકળી ગયા, ને અહીં ગોંડળની વાર આવી પહોંચી. તેને પણ ફોજદાર તો રાયદેની જ ટોળી સમજી “કુકડૂ કૂ” કરતો રહ્યો. પાર્ટીવાળા કહે કે “સાહેબ, આ શું કરો છો ?” સાહેબ શરમાઈ ગયા.

“સામત, પેથા, જેસા, સાંમા, સુણો,” એમ કહીને રાયદેએ સાથીઓને સમજ પાડીઃ “પાણ નામ લાઈ નીકળ્યા અયું, તો હણે પાણ વાંસે સત રાજજી ઘસતું ફિરેતીયું. તો હીનકે બીચારેકે હણે પાણ નોતરો દિયું, ભલે અચે. કારણ કે જો પાણ જીતીન્દા તો લક્ષ્મી કીર્તિ વધની; જો મરીન્દા તો વૈકુંઠ વીન્દા ને પાણજી કાયા અમર રિન્દી. હીનકે મારીન્દા તોય લાભ અય, પાણકે મારી ઉખે તોય લાભઃ કીં ભા, તો ચ્યોત ?” (આપણે તો નામ રહે માટે નીકળ્યા છીએ. આપણી પાછળ સાત રાજની ફોજો ફરે છે. તો આ બિચારાને નોતરાં દઈએ. ભલે આવે. કારણ કે જો આપણે જીતશું તો કીર્તિ ને લક્ષ્મી વધશે ને મરશું તો વૈકુંઠ જશું, ને આપણી કાયા કાંઈ અમર રહેવાની નથી. આ લોકોને મારશું તોય લાભ ને આપણને મારી નાખે તોપણ લાભ. કેમ ભાઈ, શું કહો છો ?)

સાથીઓએ હા પાડી, સહુ ઊપડ્યા. બરડાના ડુંગરમાં એક ગામ આવ્યું, ત્યાં પ્રાગડ વાશી (પરોડ થયું) ને એક ખેડૂત સાંતી લઈ નીકળ્યો, તેને પૂછ્યુંઃ “બોચવાળી ગામમાં કોઈ ઘસત આવી છે ?” ખેડુએ હા કહી. રાયદેએ એક ચિઠ્ઠી લખાવી એ ખેડુને દઈ ઘસતને પહોંચાડવા કહ્યું. ચિઠ્ઠીમાં લખેલું કે, તમે જેટલા સરકારની હરામની ખીચડી ખાવાવાળા મારી પાછળ ફોર છો ને ઠેકઠેકાણે કંગાળ પ્રજાને હેરાન કરો છો, ને ધમકાવી પૂછો છો કે રાયદે ક્યાં છે, તો હું જણાવું છું કે હું રાયદે આંહીં ચેકના ડુંગર પર છું, જેને મળવું હોય તે આવજો.

આમ પોતે જ્યાં જાય ત્યાં લાલ વાવટો ચડાવે, હોકો પીતો બેસે, ફૂલેકે ચડે, અને અછતો ન રહેતાં સામે ચાલી સંદેશા કહેવરાવે.

પછી એ સાતેક રાજની ફોજો સાથે ધીંગાણું થતાં ફોજો ભાગી, ત્યારે રાયદે બોલ્યોઃ

“ભેસા ભાઈ ડે જેડા ભાઈડા, થે ને ભજોતા, નીમક હરામ કરોતા? ડાઢીયું રખીયું ઈન, બંદૂકું ગાળીયું ઈન, ને ભજોતા ! તો સરમાઈન્દા નાઈ ! કોઈ રજપૂત ઈન, કોઈ મકરાણ ઈન, કોઈ પઠાણ ઈન, ને આંઈજો પાણી કિતે વ્યો ! મુકે તો આંઈ ગોંતીન્દા વા રાતે ને ડી ગોઠ ગોઠ ફિરન્દા વા, ને માડુકે પૂછન્દા વા કે રાયદે કિતે ઈન, ને આજ આંઈકે આંઉ મીળ્યો તો આંઈ તો મુલાકાત નાંઈ કરીન્દા ને ભજોતા ! હેડા કાયર બાયલા આંઇ હન્દા હેડી મુકે ખબર નાંઈ વઈ. નીખર આંઉ આંઇકે ન મીડ્યો હુન્દ. પણ હણે દાઢીઉં પડાઈ ઉખજા, બંદૂકું છડી દીજા.” (મરદો થઈને ભાગો છો ? દાઢીઓ રાખી છે ને બંદૂકો બાંધી છે, તોપણ ભાગો છો ? તમે તો મને ગોતતા હતા ને હવે મળ્યો છું ત્યારે ભાગો છો ? મને આવી ખબર હોત તો હું મળત જ નહિ. હવે દાઢી-ભૂછ પડાવી નાખજો વગેરે.)

રાજ્યે છેવટે પરોડિયે રહેતી એની બહેન માણસીબાઈ પર દબાણ કર્યું. પકડીને ખંભાળિયે લઈ ગયા. બહેન તો ન ચળી, પણ બનેવી ગળી ગયો. એને બાઈએ કહ્યુંઃ “અરે ભૂંડા ! અટાણે ખડા ખા છ?” લાચાર બહેને દસ દિવસની મુદત મેળવી. ભાઈને પરાડિયા ગામે બોલાવ્યો. રાયદે બહેનને ઘેર ગયો ત્યારે બહેને વિનવ્યો કે “હવે બસ થયું. હવે કાંઈ કરવું નથી. આપણા ચારણોને જેલમાં પૂર્યા છે. જામ સાહેબ અને રાઘવભાઈ વજીર કહે છે કે, રાયદે જો હથિયાર છોડે તો એને અમે કાંઈ નહિ કરીએ, ને એના ચારણને છોડશું.” એટલે રાયદેએ પોતાના જે સંબંધીઓ પુરાયા હતા તેમને છોડાવવા માટે શરણ જવાનું નક્કી કરી બહેનને કહ્યું, “ભેણ ! હણે તું દરેક અમલદાર કે ચોઈજ જે આંઉ કલ ધરમસાલામેં અચીન્દો. જેડી માતાજીજી મરજી.”

રાયદેને અભયવચન આપી માનપાનથી પોલીસ રસાલો લઈ જતો હતો. ત્યારે સીમાડે એક કાગડો બોલ્યો. બહારવટામાં પણ ગામ ભાંગવા જતી વેળા કાગડો બોલે ત્યારે રાયદે સાથીઓને પૂછતો કે “કાગડો કો કૂછેતો ?” (કાગડો શું બોલે છે ?) અને પછી એનો પોતાને મનમાં ઊગે તેવો અર્થ કરતો. એ રીતે અહીં પણ એણે કાગડાને બોલતો સાંભળી સાથીને પૂછ્યું કે “સામત, કાગડો કો કૂછેતો ?” સામત કહે, “કાગડો ચ્યેતો કે આજ ડી સુધી જે બાધુરી કઈ હીન જે મથે પાણી ફરી વ્યો ને હણે તુરંગમેં સડીસડી મરી રોન્દા.” (કાગડો કહે છે કે જે બહાદુરી કરી તેને માથે પાણી ફરી વળ્યું ને હવે જેલમાં સડી સડી મરી રહેશું.)

રાયદે કહે, “ના, કાગડો હીં કૂછેતો કે બધાય ઘેર અચના. પણ દગો થીન્દો. પણ વાંધો નાંય.” (ના, કાગડો અમે કહે છે કે બધા ઘેર આવશું પણ દગો થશે. પણ હવે વાંધો નહિ.)

છ મહિનાની સારી રખાવટ પૂરી થઈને રાયદે પર કામ ચાલ્યું; કાળા પાણીની સજા થઈ. એ અને સામત થાણાની જેલમાં જુદે જુદે ઠેકાણે જેલ ભોગવે છે. એક વરસ થઈ ગયું છે. એક વાર કામગીરીમાં રાયદે ને સામત ભેગા થઈ ગયા; ત્યાં કાગડો બોલ્યો. રાયદે કહે, “સામત, કાગડો કૂછેતો કે હીતેથી ભાજો તો આંઈ કે લાભ અય.” (કાગડો કહે છે કે અહીંથી ભાગી છૂટો તો તમને લાભ છે.)

સામત કહે, “હેડી સાતથરી જેલ પઈ અય. હાનમેં સે ભજણું કી?”

રાયદે : “ભજણો હીનમેં તો કી નાય.”

બંને જણાએ સંતલસ કર્યો. રાતે રાયદે જ પોતાની બરાક તોડી સામતને કાઢવા એના ખંડના છાપરા પર ચડ્યો ને ઉપલી બારીના સળિયા હચમચાવ્યા, પણ છાપરું આખું હાલી ઊઠ્યું. નળિયાં પડ્યાં; સંત્રીઓ સાવધ બન્યા. રાયદે તો મકાનના છાપરા પર હતો, નીચે ઊતરે નહિ, બહુ સમજાવી ઉતાર્યો, પૂર્યો; પછી જામનગર સાથે લખાણ કર્યું. ત્યાંથી આ બેઉને આંદામાન કાળે પાણીએ મોકલી દેવાની સૂચના આવી.

“હાલો, તમને પાછા જામનગર લઈ જવા છે ને ત્યાં પહોંચાડી છોડી દેવાના છે,” એમ કહીને બેઉ કેદીઓને વહાણમાં બેસારી કાળા પાણીના બેટમાં ઉતારી દીધા, ને ગોરા ઉપરીને એમનાં કાગળિયાં પણ સોંપ્યાં.

કેસનાં કાગળિયાં વાંચતાં સાહેબને માયા થઈ. રાયદેને પાસે બોલાવ્યો, ને એની વાતોથી સંતોષ થતાં તેને મુકાદમ બનાવ્યો ને સદરમાં હરવાફરવા છૂટ આપી, રાયદે તો કાળાં પાણીની વચ્ચે બેટમાં હરેફરે છે. એમાં એક દિવસ એવું બન્યું કે કેદીઓમાં કાંઈક કુસંપ થયો, તેમાં સામતને એક કેદીએ ગેરશબ્દો કહ્યા.

રાયદે શાંતિથી એ કેદીને પોતાની પાસે તેડાવી સમજાવવા લાગ્યોઃ “આંઈ કુલાઈ બન્જો તો ? હીતે તો પાણ હકડી ખાઈ જા ગલૂડિયા ચોવાયું. ને અસીકે દુઃખ હોયતો આંઇજે મદદ દેણી ખપે, ને આંઇકે દુઃખ હોય તો અસીંકે ભાગ ગીનણો ખપે. કારણ હીતે દુઃખ જી જગા ઇન હીતે મા, પે, કાકા, મામા, જી ચ્યો હી પાણ.” (તમે શીદ લડો છો ? આંહીં તો આપણે એક માનાં પેટ કહેવાઈએ. એકબીજાને દુઃખમાં મદદ કરવી જોઈએ. કારણ, અહીં તો મા, બાપ, કાકા જે કહીએ તે આપણે જ પરસ્પર છીએ.)

આવા ખામોશીના શબ્દોથી પણ છેડાઈ ઊઠીને એ કેદી તોફાને ચડ્યો એટલે રાયદેએ એને માર્યો; તેના પરિણામે રાયદેને અંધારી ખોલીની સજા થઈ.

પછી મઢમની કૃપા થઈ તેથી એ પાછો મુકદમ બન્યો ને એક વાર બજારમાં ચાલ્યો જતો હતો, ત્યાં કોઈક માણસને દુહો બોલતો સાંભળ્યો. દુહો તો આમ હતો

શેખપર સિંધવો કિયો,

રાયદે વડો રૂવાબ;

ધરણી લાગી ધ્રૂજવા,

ન ચડે નગર કે નવાબ.

કોઈક ઓળખીતો કેદી આ દુહો બોલ્યો તેથી રાયદેને ગઈ ગુજરી યાદ આવીઃ “અરે જીતવા ! આંઉ ઉકડે ડી નગર ને નવાબ જેડે કે ધ્રુજાઈન્દો વો, ને હિંદમેં હાક ફાટતી વી. ને અજ પરમેં જંજીર પઇ વઈ.”

એમ આ દુહાએ રાયદેના વિચાર ફેરવી નાખ્યા. એ દુહાએ મોટું બળ આપ્યું. હાલતાં ને ચાલતાં, ખાતાં ને પીતાં, એ જ દુહો યાદ આવવા લાગ્યો. એમાં સામત આવ્યો. બન્ને બેઠા; કારણ કે સામત પણ હવે છૂટો ફરતો હતો. એની સાત વર્ષની સજામાં હવે ફક્ત બે વર્ષ બાકી હતાં.

રાયદે કહે, “સામત ભા, હકડી ઘાલ ચાં, આંઈ તો ઠીક પણ આંઉ તો હીતે ને હીતે મરી વીન્નો ને કોઈ ચારણજે હથ પણ અડીન્દા ના.” (એક વાત કહુંઃ તું તો ઠીક પણ હું તો અહીં જ મરી જઈશ ને મારા શબને કોઈ ચારણના હાથ પણ નહિ અડે.)

સામત કહે, “ભલા માણસ, મરદ જેવો મરદ હવે નમાલી વાતો કરે છે ? શરમાતો નથી ? ને મરદ તો તુરંગમાં પણ પડે. ને આપણે કંઈ અધૂરું રાખ્યું છે ?”

રાયદે કહેઃ “મારે તો ભાગી જવું છે.”

“ક્યાં ?”

“આપણા દેશમાં. તારે આવવું છે ?”

સામતે કહ્યું કે “મારે તો હવે નથી આવવું, પણ તું બારાડીમાં જા તો મારે ઘેરે જઈને બધાને મારી વાત કહેજે.”

એમ કહેતો સામત હસવા લાગ્યો, એટલે રાયદે કહે “સામત, તોકે ઠેકડી લગેતી. પણ સાચી ઘાલ ચ્યાંતો. મરીં તો વીંજણો જ અય. હીતે મરણું નાય. ભલે દરિયેમેં મરું.”

બન્ને જુદા પડ્યા. રાયદે ભાગવાની જુક્તિ વિચારવા લાગ્યો. એક વિચાર સૂઝ્‌યો. હંમેશાં વહેલો ઊઠીને ગામમાંથી લાકડાના લાંબા કટકા ગોતીને તે લઈ ગામથી દૂર ભેગા કર્યા; પછી એકબીજાને જોડી બે ખાટલા જેવડું ત્રાપું બનાવ્યું ને થોડા દિવસનું ખાવાપીવાનું લીધું. પછી એક દિવસ સામતને કહ્યુંઃ

“જે માતાજી ! હણે ધ્યાન રખીજ ને ગરીબ થૈ સજા પૂરી કરી જ, આંઉ જોતો હણે માતાજીજી મરજી હી થિન્દો.”

બેઉ જણા ભેટ્યા. સાંજે રાયદેએ ત્રાપો દરિયામાં નાખ્યો, ને બંદર પર એક સંત્રી બંદૂક લઈ ટેલતો હતો તેની પાસે જઈ, ગળું પકડી, દબાવી મારી નાખ્યો; તેની બંદૂક લઈ ત્રાપા ઉપર નાખ્યો. સઢ ચડાવી રવાના થયો. પવન સારો એટલે સવાર થતાં ત્રાપો આગળ નીકળી ગયો, ને સામેથી એક વહાણ આવ્યું.

આ વહાણ રાયદેના વતનના બંદર સલાયાનું હતું. તેનો ખારવો આમદ હતો. આમદ વહાણ લઈ આંદામાન આવેલો ને બજારે રાયદે સાથે મેળાપ થયો હતો. સંતલસ કર્યા પ્રમાણે આમદ એક દિવસ વહેલો વહાણ ઉપાડી દરિયે જઈ થોભ્યો હતો.

રાયદેને વહાણમાં લીધો. વહાણને સાત સઢ ઉપર કાગડી ચડાવી મારી મૂકયું. એક રાતે કાઠિયાવાડના પિંડાર ગામને કિનારે રાયદેને ઉતારી વહાણ પાછું વળી ગયું. આંદામાનના તાર છૂટેલ તેથી તપાસ થતી હતી. રાયદે બંદૂક લઈ જંગલોમાંથી પસાર થવા લાગ્યો.

એક બહેન પાસે પરોડિયા ગામે ને બીજી બહેન પાસે રાણ જઈ આવીને રાયદે દ્વારકા પહોંચ્યો, થોડા વાઘેરોને લીધા જેનાં નામઃ ગોરવિયાળીનો રાજપાળ, મિયાણીનો ભીમો, મકવાણો, ગોરવિયાળીનો હરભમ માણેક, વીરપુરનો હાડો માણેક, ને ચારેક મુસલમાન કુંભારોઃ એમને લઈ બીજી વાર બહારવટે ચડ્યો.

ભાયાણી ભારથ કરે,

ખૂચડ બબે વાર;

તીખી ધાર તરવાર,

રગતે ડોળે રાયદે.

આ બીજા બહારવટામાં એક પછી એક ગામ રાયદે ભાંગતો ગયો, પણ બજાણા ગામના સીમાડે નારાડી વાવમાં ઉતારો કરી સાથીઓ હેમરાજ શેઠને ત્યાં સીધુંસામગ્રી લેવા ગયા, ને પાછા આવ્યા ત્યારે કહે કે હેમરાજને લૂંટીએ.

“કાગડો કો કૂછેતો ?” એમ કહી રાયદેએ કાગ-વાણી ઉકેલી. કહે કે “શુકન નથી, પંખી ના પાડે છે.” છતાં સાથીઓના આગ્રહથી દી આથમતે બજાણા પર પડ્યા. હેમરાજ શેઠને ઘેર ગયા, શેઠે આવકાર દીધો, કે બહાદુરને જોઈ હું ખુશ થાઉં છું.

“તુંને લૂંટવા આવ્યા છીએ.”

“ભલે.”

“તો બધી બાઈઓને ઓરડામાં પૂરી દે.”

લૂંટીને બહાર ચાલ્યા ત્યારે બહાર જઈ પેલા બે મુસલમાન કુંભારોએ કહ્યું કે હેમનો હાર ભૂલથી ગોખલામાં પડ્યો રહ્યો. એ બહાને પાછા જઈને એ કુંભારોએ બાઈઓની આબરૂ લીધી.

એથી રાયદે કંટાળ્યો. “હવે આ લોકો મારા ભેળા ન હોય.” આંબલાની ધાર નજીક સૂતા. ન ઊઠ્યા - તે દી ચડ્યો ત્યાં સુધી ! ઊઠેે છે ત્યાં તો ઘસતને આવી પહોંચેલી જુએ છે. ધીંગાણું કરતા કરતા પરોડિયાની નાળ્યમાં પહોંચી જાય છે. ત્યાં મછવો પડ્યો છે. ઠેકી ઠેકીને મછવામાં એક પછી એક જણ ચડે છે ને રાયદે પોતે વારને હટાવતો રહે છે. છેવટે પોતે કૂદ્યો, પણ વહાણની મીંદડી પગમાં વાગી. મછવો હાંકી ભાગ્યા, પણ મછવો તૂટેલ એટલે જખ્મી રાયદેને ઝોળીમાં ઉપાડી વાઘેરો કાંઠે કાંઠે ભાગ્યા. એનેે પહોંચાડવો હતો ગોંજ ગામે જેઠીજી દરબારને ઘેર. વાડીએ ગયા, પૂછ્યું, “દાજીબાઈ છે ? કહો કે ભાઈબંધ આવ્યા.”

ભાણેજ ઘેર પૂછવા ગયો. મામીએ જવાબ કહાવ્યો કે “ઘેર નથી.”

રાયદેએ સાથીઓને કહ્યુંઃ “જુવાનો ! પાણજી કજા અચી વઈ.” (આપણું મૉત આવી પહોંચ્યું.)

ચાલ્યા રસ્તે કાળો મહારાજ મળ્યો. ઘણી તાણ કરી પોતાની વાડીએ

લઈ ગયો.

વાઘેરો કહે, “ચાલ અમારી ભેળો ઓખે.”

“તમારું મોં નહિ જોઉં, જાવ.”

ગાડું જોડીને કાળે મહારાજે રાયદેને ગામમાં આણ્યો. સવારે ફળિયામાં પીપળે કાગડો બોલ્યો.

કાગડાની વાણી સાંભળીને રાયદેએ કહ્યુંઃ “કાળા મા’રાજ ! કાળી રાત છે, કાળો કાગડો છે, કાળાવડ ગામ છે, ચોથો તું કાળો મા’રાજ છે. હવે પાંચમું કાળું કામ કરીશ મા.”

સવારે કાળા મહારાજે રાયદેને જોયોઃ પગમાં જખમ છે, ચાર-છ મહિના અહીં રાખવો પડશે, ખબર પડશે તો હું મરી જઈશ, માટે હું જ ઇનામ લઉં.

રાયદેને અંદર પૂરી, તાળું મારી સલાયા પહોંચ્યો. મહમદખાં દફેદારને જઈ કહે કે “હું રાયદેને પકડાવું તો ?”

“તો તને ફોજદારની જગ્યા અપાવું.”

“ચાલો મારે ઘેર.”

ઘરમાં પડ્યો પડ્યો રાયદે બહાર રહેતી બ્રાહ્મણ બાઈને બોલાવે. બાઈ કહેઃ “નહિ આવું.”

“કાળો મા’રાજ ક્યાં છે ?”

“કાળું કામ કરવા ગયો છે.”

“ઉઘાડ.”

“નહિ ઉઘડે.”

“કાંઈક તોડવાની કોશ તો દે !”

“નથી. પણ આ લે આ હળનું છવડું.”

હળના છવડા વતી રાયદેએ ભીંત હેઠળ ખાડો પાડ્યો. બીજા ઓરડામાં જવા માટે વચલો કરો તોડ્યો. રાંધણિયામાં જવાનું ફાંકું પાડ્યું.

ઘસત આવી.

મહમદખાં દફેદાર ને જેશંકરભાઈ ઘસતના આગેવાન હતા, તેણે હાકલ કરીઃ “રાયદે, હથિયાર છોડ.”

“તમે પોતે આવો તો હથિયાર આપું.”

આડું ગાડું દેવરાવી મહમદખાં ખડકીમાં અંદર આવ્યા. રાયદે પાસે ત્રણ જ ભડકાનો દારૂ હતો. છરા-ગોળી કાંઈ નહોતું. પોતાનો પગનો તોડો તોડી નાખ્યો. તોડાના મકોડા બંદૂકમાં ભર્યા.

બંદૂક લઈને બાકોરા વાટે બાજુને રસોડે પેઠો. ત્યાંથી એક બંદૂક, ને બીજી મારી. અંદરથી દુહા ને છંદ બોલે. આંહીંથી પોલીસના ગોળીબાર ચાલે.

રોંઢે ઘસતે ઘર સળગાવ્યું તમારે રાયદેએ અંદરથી કહ્યુંઃ “કોઈ એમ ન કહેતા કે અમે રાયદેને માર્યો છે. હું જ જાઉં છું. રામ રામ.”

પોતે ત્રીજી વાર એટલે કે છેલ્લી વાર ભરેલી રાખેલી બંદૂક માથા સોંસરી ખાધી.

ઘર સળગી ગયા પછી થોડોક દી રહ્યો ત્યારે અંદર તપાસ કરી. મુવેલો રાયદે એમ ને એમ ઊભો હતો. ઘણા ફેર કર્યા, મુરદું પડ્યું.

મુરદું ઓળખવા રાયદેની બહેનોને બોલાવી.

બહેનો જોઈને કહે, “ના, હી આસાંજો ભા જ નાંય.”

“કાં ?”

“અસાંજો ભા તો પચીસ પચાસ માડુકે મારીને મરેઃ હી હરઈ હેઠ દબાઈને મરે ના.”

રાયદેનું પહેલું બહારવટું બાર વરસ ચાલ્યું, ને બીજું અઢી વરસ. કાળા મહારાજને જમાદારી મળી. અમુક વખતે જામ સાહેબે જમાદારી આંચકી લીધી. કહ્યું કે “તેં દગલબાજી કરીને ઘણી નાલાયકી બતાવી છે.”

કાળા મહારાજનો છોકરો મુવો. પોતે ગાંડો થઈ ગયો, ને મુવો ત્યારે ગરાસિયાઓએ કાળાવડમાં દેન પણ ન પડવા દીધો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED