Hello Sakhi Ri... : 8 MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Hello Sakhi Ri... : 8

હેલ્લો સખી રી..

અંક : ૮

જાન્યુઆરી, ૨૦૧૬

“વેલ્કમ ૨૦૧૬”

(સખીઓનું ઈ- સામાયિક..)

વિવિધ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


અનુક્રમણિકા

•આહ્‌વાનઃ કુંજલ પ્રદિપ છાયા

•વિસ્તૃતિઃ જાગૃતિ વકીલ

•વાંચે સખીરીઃ જાહ્‌નવી અંતાણી

•હેય! વ્હોટસેપ?ઃ ગોપાલી બુચ

•રૂગ્ણાંલયઃ ડૉ. ગ્રીવા માંકડ

•સૂર, શબ્દને સથવારેઃ સૌમ્યા જોષી

•સાતમી ઈન્દ્રીયઃ સ્મિતા શાહ ‘મીરાં’

•લૉ પંડિતઃ ર્શ્લોકા પંડિત

•નાની નિનિઃ કુંજલ પ્રદિપ છાયા

•અનુભૂતિઃ ડો. જીજ્ઞાસા ઓઝા

આહ્વાન

કુંજલ પ્રદિપ છાયા

ઈ-દ્બટ્ઠૈઙ્મ : કદ્બટ્ઠઙ્મીજ.ખ્તર્િેજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

આહ્વાન

કલ્પના કરો કે એક સવારે તમે ગાઢ નિંદ્રામાંથી જાગો અને તમને કંઈજ યાદ ન હોય. ભાષા, શબ્દો, સંબંધો, બનાવો કે પોતાની ઓળખ સુદ્ઘાં કશું જ ખ્યાલ ન રહ્યું હોય તો? જાણે કે કોઈ જુનાં મોબાઈલ ફોનનું ફેકટરી ફંકશન ઓપશન ક્લિક થઈ ગયું!

આવું બધાંજ સાથે દરરોજ થતું હોત તો? મેસેજ ડિલિટની જેમ, મેમોરી ક્લિયરપ ઉફ્ફ.. રોજ પૂછવાનું પોતાને જ કે હું કોણ છું? અરે! એનાં માટે પણ શબ્દો કે ભાષા તો આવડવી જોઈને? પી.કેનાં આમીર ખાનની જેમ કોનો હાથ પક્ડવો? કે બધું સમજાઈ જાય, આવડી જાય. મનુષ્ય જાતિને મળેલ શ્રેષ્ટ વરદાન સમું સ્મૃતિ વિસ્મૃતિ વચ્ચેનું સંતુલન કેટલું સુવ્યવસ્થિત છે. બિનજરૂરી બાબત આપોઆપ ભૂંસાઈ જાય અને કેટલીક બાબતો આજીવન કંડારાઈ જાય. ઈશ્વરનો ખૂબ આભાર માનવો રહ્યો કે આવું નથી થતું. અનંતકાળથી સૃષ્ટિનો વહિવટ અવિરત ધપે છે. હા, ક્યારેક અણબનાવો કે અજુગતું પણ ઘટે જ છે છતાંય કોઈ વિક્ષેપ વિનાં સનાતન રીતે પૃથ્વીને ફરતે નભોમંડળની ગતિ સદાય પ્રવર્તમાન છે.

તો, બદલાય છે શું? યુગ, સદી, વર્ષ, માસ, દિવસ, કલાક મિનિટ અને ક્ષણ સતત બદલાય છે. જેને સાક્ષીભાવે આપણે જીવંત પ્રસારણ સમાં નિહાળીયે છીએ. હોંશભેર વધાવીએ છીએ. નવા વર્ષને ઉલ્લાસ સાથે ઉજવીએ. સાથેસાથે વિતેલા વર્ષનાં યાદગાર સંસ્મર્ણો વાગોળીએ.

પર્યાવરણ દિવસને અનુલક્ષીને પ્રથમ સોપાન જુન, ૨૦૧૫માં શરૂ કર્યું. ત્યાર બાદ વર્ષાૠતુને માણી, જન્માષ્ઠમી ઉજવી, મહિલા સશક્તિકરણને અનુલક્ષીને પ્રગતિ સાધી, નવલાં નોરતાં માણ્‌યાં, ઝળહતો દિવાળી અંક રજુ કર્યો. ‘દિવ્યાંગ’ શબ્દને વધાવતાં વિશિષ્ટાંગ વિશેષાંક પ્રગટ કર્યો. જોતજોતામાં ‘હેલ્લો સખીરી’નો આઠમો અંક પ્રકાશિત થઈ રહ્યો છે નવવર્ષ ૨૦૧૬નાં પહેલા જ સોમવારે..!

‘વિસ્તૃતિ’માં ઉનાં ઉનની ગાથા વાંચો. ‘વાંચે સખીરી’ દ્વારા રાષ્ટીય સ્તરે જાણીતાં શોભા ડેનું પુસ્તક ‘સ્પિડપોસ્ટ’માં આલેખાયેલ સંતાન ઉન્નતિની વાચા વાંચો. ‘હેય! વ્હોટસેપ?’ લેખિકા, નાટ્‌યકાર અને એક વિજ્ઞાન શાસ્ત્રનાં અભ્યાસુ એવા સખી સાથેનો રસપ્રદ સંવાદ માણો.

શિશિર ૠતુ આમ તો સૌની માનીતી પણ સ્વાસ્થય અંગે સાવધાન રહેવા શાં પગલાં લેવા વાંચો ‘રૂગ્ણાંલય’. કવિશ્રી ગોપાલદાસ સક્સેના’નીરજ’નાં ૯૩માં જન્મદિનની શુભેચ્છા સહ એમનાં લખેલ યાદગાર ગીતોની મફેહિલ માણો ‘સૂર, શબ્દને સથવારે’. દીવો પ્રગટાવી ‘દિકરી બચાઓ’ની જુંબેશ કરીએ. વાંચો લાગણીશીલ લેખ સાતમી ઈન્દ્રીય. જુવેનાઈલ જસ્ટીસ એક્ટ ૨૦૦૦, બહુ ચર્ચિત મુદ્દા વિશે વિસ્તૃત ચર્ચા વાંચો, લૉ પંડિત. નાનકડી નિનિને અડછપનો ઓછાયો ક્યારેય નહીં લાગવા દે એનાં નાનીબા. નાની નિનિ વાર્તા શૃંખલા વાંચો. અનુભૂતિ લેખમાં કળાઓ પ્રત્યે અભિરૂચિ ખોરવાઈ તો નથી ગઈને? એવી ચિંતા વ્યક્ત થઈ છે.

તો પછી નવું શું છે? આ અંકમાં. શબ્દો? ભાષા? પ્રકાશિત માધ્યમ? લેખિકાઓ? જી, ના. નવતર કોઈ પ્રયોગ નથી. એજ સઘળું રાબેતું. બસ, નવું તો માત્ર કેલેન્ડર. નવું કેલેન્ડર? એથી વળી શું ફેર પડવાનો? અબૂધ બાળમાનસ અવસ્થાથી આ પ્રશ્ન ઘોળાયા કરે છે. ઠેકઠેકાંણે સંગીતનાં જોમ સાથે થતો થનગનાટ અને અમિરસને પ્રાધ્યાન્ય આપનાર પિરસાતી અનેક વાનગીઓ મધ સાથે મદહોશ થતું જોબન અને એક અનેરી વિલાસની વ્યાખ્યા અંકિત કરતું વાતાવરણ એજ શું ન્યુ યર પાર્ટિની નિશાની? સાવ એવું પણ નથી હોતું. શાળાઓ, કોલેજો અને અનેક નાનાંમોટાં રહેણાંક વિસ્તારોમાં નાને પાયે પણ સરસ સાંસ્ક્રુતિક કાર્યક્રમ યોજાતા હોય છે. ખાણીપીણી અને જલસા તો કરવાનાં જ ૩૧ ડિસેમ્બરની રાત્રે, એવો તો જાણે પંકાઈ ગયેલ નિયમ!

લોકો કેમ નવા વર્ષને ઉમંગભેર આવકાર આપતાં હશે?

તારીખિયું એકસામટું જગત આખાનું બદલાય એ કંઈ નાની સુની વાત છે, ખરી? નૂતન વર્ષનો પહેલો સુરજ સૌપ્રથમ આઈસલેન્ડમાં ઉગશે, પછી ન્યુઝીલેન્ડ ત્યાર બાદ ઓસ્ટ્રેલિયા. એ રીતે અવનીની ધરી ફરતે ભારતનો સૂર્યોદય અગિયાર કલાક મોડો થશે. એવી ગૂગલ માહિતી સૌએ મેળવી હશે.

વિશ્વભરમાં કેટલીય મિજબાની, મહેફિલો અને જશ્નનું આયોજન કરાયુ હશે! જે ક્ષણે ૦૦ઃ૦૦નો અંક ઘડિયાળમાં દેખાય એ ઘડિનો રોમાંચ જ અનેરો છે. સમયનો કાંટો એકમેકને મળે અને વર્ષાંક બદલાય.

જન્મોત્સવથી મરસિયાં સુધી જીવાતી હરેક પળ અલૌકિક રીતે યાદગાર હોય છે તોયે આ નવવર્ષનો ઉદ્‌ગમ સમયનો ઉમળકો અમાપ છે. જેમને ઉન્નયન પૂર્વક ઉજાણી કરી માણી લેવા આહ્‌વાન.

કુંજલ છાયા. ગાંધીધામ.

વિસ્તૃતિ

જાગૃતિ વકિલ

ઈ-દ્બટ્ઠૈઙ્મ : દ્ઘદૃિ૭૮૯૬જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

વિસ્તૃતિ

કુદરતની હુંફાળી ભેટ -ઊન

કુદરતી ૠતુ શિયાળો શરૂ થતા જ ઊનની યાદ આવવી સ્વાભાવિકજ છે. ગરમ કપડામાં ઠંડીનો સામનો કરવાની જે તાકાત રહેલી છે તેને કારણે આપણે સહુને ઊનના કપડાને પસંદ કરીએ છીએ. ભારતમાં ડીસેમ્બર-જાન્યુઆરીમાં આપણે સહુ શરીરને ઠંડીથી રક્ષણ આપવા જે ઊનને પસંદ કરીએ છીએ તેના વિશેની અવનવી વાતો કરવાનું જ આજે ઉચિત લાગ્યું....

આમ તો ઘેટાંનું ઊન વસ્ત્ર વણવા માટે સૌપ્રથમ ઈજીપ્તમાં થયો હોવાનું મનાય છે. બાર હજાર વર્ષ પહેલા માનવીએ પોતાના શરીરના આવરણ,દૂધ અને માસ મેળવવા ઘેટાં-બકરા પાળવાની શરૂઆત કરી હોવાનું મનાય છે. એ સમયે જંગલી ઘેટાંનું ઊન વાતાવરણની અસરથી આપોઆપ ઉતરી જતું. જેનો ઉપયોગ આદિવાસી લોકો શરીરને ઠંડીથી રક્ષણ આપવા કરતા હશે એવું માનવામાં આવે છે. યુનાની લોકો પોતાની ઢાલની અંદર ઊનમાંથી બનાવેલું જાડુ કવચ રાખતા, તો રોમન સૈનિકો છાતી પર ઊનમાંથી બનાવેલ બખ્તર પહેરતા. ઇતિહાસકાર પ્લિનીએ લખ્યું છે કે ઊન પર પ્રક્રિયા કરી બનાવેલા બખ્તર પર બંદુકની ગોળીઓ કે અગ્નિની અસર થતી નહિ. આ ઊનમાં કેરોટીન નામનું પ્રોટીનમાંથી બનેલું હોય છે. આ પ્રોટીન અને રેસમાં રહેલા પાણીને કારણે અસલી ઊનને આગની અસર થતી નથી.

રેયોનના રેસાને ૭૫ વખત મરડવાથી, વાંકો વાળવાથી તૂટી જાય છે. જયારે રેશમનો રેસો ૧૮૦૦ વખત મરડવાથી તૂટે છે. તેની સામે ઊનનો રેસો ૨૦૦૦૦ વખત મરડવાથી તૂટે છે. ઊનના રેસાને માઈક્રોનમાં માપવામાં આવે છે. એક માઈક્રોન એટલે એક ઈચનો ચાર કરોડમો ભાગ થાય છે. ઊનનો રેસો ૧૦ થી ૭૦ માઈક્રોન સુધીનો હોય છે.

સામાન્ય રીતે ગરમ વસ્ત્રો માટે ઘેટાંના ઊનનો ઉપયોગ થાય છે. વિશ્વમાં સહુથી વધુ ઊન ઓસ્ટ્રેલિયામાં આશરે ૧૭ કરોડથી વધુ ઘેટાં છે. વિશ્વમાં ઉત્પન્ન થતા કુલ ઊનના પોણા ભાગનું ઊન એકલું ઓસ્ટ્રેલીયા જ ઉત્પન્ન કરે છે. આમ તો શ્રેષ્ઠ ઊન મરીનો ઘેટાંનું હોય છે. જેના રેસા ખુબ બારીક હોય છે. દુનિયાના કુલ ઊનના ત્રીજા ભાગનું ઊન મેરીનો જાતિના ઘેટાં આપે છે. ઓસ્ટ્રેલિયા ઉપરાંત દક્ષીણ આફ્રિકા, રશિયા, અમેરિકા, ફ્રાંસ મોટા ભાગના યુરોપીય દેશોમાં મેરીનો જાતિના ઘેટાં જોવા મળે છે. આ ઘેટાં એક વર્ષે જેટલું ઊન આપે છે તેના દરેક રેસાને સાંકળવામાં આવે તો કુલ ૫૫૦૦ માઈલ લાંબી દોરી બની શકે. દર કલાકે ૨/૩ માઈલ લાંબ રેસા ઉત્પન્ન કરનાર મરીનો ઘેટાં ઊન ઉત્પન્ન કરનાર સહુથી ઝડપી ફેક્ટરી બની ગયા છે.

કાશ્મીર, તિબેટ, પમીરનાં ખીણ વિસ્તારમાં જોવા મળતી બકરીઓનું ઊન “પશમીના” ઊન મરીનો ઘેટાંના ઊન કરતાં પણ શ્રેષ્ઠ હોય છે.

ઘેટાંનું વૈજ્ઞાનિક નામ ઓવિસ સંસ્કૃતિના અવિ પરથી લેવાયું છે. ઊન શબ્દ પણ સંસ્કૃત ભાષાનાં “ઉર્ણ” શબ્દ પરથી ઉતરી આવેલો હોવાનું માનવામાં આવે છે. એક ઘેટાંની ચામડી પર પ્રતિ ચોરસ ઇચમાં ૬૦ હજારથી વધુ છિદ્રો હોય છે. તે દરેકમાં ઉગતો ઊનનો રેસો એક દિવસમાં ૦.૦૦૮ ઈચ જેટલો વધે છે. આશ્ચર્યની વાત તો એ છે કે ૫ મરીનો ઘેટાંના શરીર પરથી ઉતરાતા ઊનના રેસાને સાંકળવામાં આવેને તો આપણી આખી પૃથ્વી ઢંકાઈ જાય એટલી મોટી જાળ ગૂથી શકાય..!!!

દુનિયામાં સહુથી વધુ ઊનની ખરીદી કરનાર દેશ જાપાન છે, જયારે સહુથી મોટો વિક્રેતા દેશ ઓસ્ટ્રેલિયા છે. વિશ્વમાં ઊનનું સહુથી મોટું ગોડાઉન ઓસ્ટ્રેલીયાના સિડની શહેરમાં આવેલું છે, જે ૫૧ હેકટરમાં ૨૦ લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલું છે.

ઉનની વધતી જતી માંગને પહોચી વળવા હવે બજારમાં ઊનના કૃત્રિમ દોર પણ મળે છે જે પેટ્રોલિયમ પ્રોડક્ટ છે. જેની માંગમાં છેલ્લા ૫ વર્ષોમાં ૧૦૦% ઉછાળો આવ્યો છે જેનું કારણ તેની આવી વિશેષતાઓ છેઃ તે અન્ય દોર કરતા શરીરને વધુ હૂંફ આપવા સાથે ઊનની જેમ શરીરમાં ચીટકી ન રહેતા શરીરથી અલગ રહી ઠંડી સામે હૂંફ આપે છે. કુદરતી ઊન કરતાં વધુ સસ્તું અને વજનમાં હલકું હોય છે. આ બધી લાક્ષનીક્તાઓ હોવા છતાં કૃત્રિમ રેસા કરતા કુદરતી રેસા-ઘેટાંના ઊન જ ઉત્તમ છે. માનવજાતને કુદરત તરફથી ઘેટાંના ઊનના રૂપમાં મળેલ અણમોલ હુંફાળી ભેટ મળી છે. આમ,કુદરતી ઠંડીથી બચવા કુદરતના ઊનનો ઉપયોગથી માનવી શિયાળાની ૠતુને ઉતમ રીતે માણી શકે છે.

જાગૃતિ આર. વકીલ. ભુજ.

વાંચ સખી રી...

જાહનવી અંતાણી

ઈ-દ્બટ્ઠૈઙ્મ : દ્ઘટ્ઠરહદૃૈટ્ઠહંટ્ઠહૈજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

વાંચે સખી રી...

પુસ્તકનું નામઃ સ્પીડપોસ્ટ (શોભા ડે)

અનુવાદઃ સોનલ મોદી

પ્રકાશકઃ આર.આર. શેઠ એન્ડ કંપની, મુંબઈ - અમદાવાદ.

પુસ્તકો ખુબ વાંચ્યા. અને હમણાં હમણાં આ ’હેલ્લો સખીરી’માં પુસ્તકો વિશે થોડું ઘણું લખાયું પણ ખરૂં. પુસ્તકો વિશે લખવું પણ ખુબ ગમે. બસ, આમજ પુસ્તકોના ઢગલા પર બેસી રહું એમ થાય. પુસ્તકો વિશે લખવું એમ સહેલું થોડું છે! એક પુસ્તક વાંચીને એને ન્યાય આપવો ખુબ અઘરૂં છે. ઘણું મનોમંથન માંગી લે છે. દરેક પુસ્તક એક નવી જિંદગીનું દર્શન કરાવે છે. વાંચતા વાંચતા એના પાત્રો આપણા પોતાના થઇ જાય છે. અથવા તો એ પાત્રોમાંનું એક પાત્ર આપણે ખુદ બની જતા હોઈએ છીએ.

આ વખતે એક અનોખું પુસ્તક હાથમાં આવ્યું છે. ’સ્પીડપોસ્ટ’ - લેખિકા શોભા ડે, જેમણે પોતાના ૬ સંતાનોને ઉદેશીને લખેલા ૭૪ પત્રો છે.‘શોભા ડે’ નામ લઈએ એટલે એક એવી સ્વત્રંત નારીની છબી જ ઉપસે જે એક લેખિકા, ટી.વી. એન્કર, પત્ની, પુત્રી અને ૬ સંતાનોની માતાનો રોલ બખૂબી નિભાવે છે.

હવે અહીં સહુ વાંચકોને સહેજે પ્રશ્ન ઉદભવે કે શોભા ડે આ એક સ્વંતંત્ર નારી અને ૬ સંતાનોની માતા! અહીં પણ આપણે એમને સમજવા માટે એક વિશાળ દ્રષ્ટિકોણ રાખવો પડશે. પરંતુ એ ૬ સંતાનોમાં પ્રથમ લગ્નથી થયેલા બે સંતાનો આદિત્ય અને અવંતિકા, જેને બહુ નાની ઉમરમાં વિશાળ પરિવારને ભરોસે છોડીને લેખિકા ચાલી નીકળ્યા હતા. ઘર છોડયા પછી જેમની સાથે સહજીવન શરૂ કર્યું એ બંગાળી પતિ દિલીપ, એમની સાથે બે સંતાનોની ભેટ લાવ્યા હતા એ રણદીપ અને રાધિકા, જે ઉમરમાં આદિત્યથી મોટા હતા. અને ત્યારબાદ દિલીપ સાથેના સહજીવનની મહામુલી ભેટ એટલે અરૂંધતી અને આનંદીતા.

આમાં સાચું શું અને યોગ્ય છે કે નહિ એવી ચર્ચામાં ન પડતા આ પુસ્તકમાં પોતાના અને સામાન્ય રીતે કોઈ સ્ત્રી બીજાના સંતાનોને એક સમાન રીતે લાગણી કેવી રીતે પીરસી શકે, એ દ્રષ્ટિ રાખશું તો લેખિકાનો પત્રો લખવાનો ઉદેશ સાર્થક થયો ગણાશે. સ્ત્રી એક સ્ત્રી હોવા પહેલા એક "મા" છે એવી ઘણી સાબિતીઓ આ પત્રોમાં વાંચવા મળે છે. સ્ત્રીનું માતૃત્વ સભર હૈયું.. એ એક નખશીખ સ્ત્રીત્વની ઓળખ છે. આ પત્રો લાગણી, વેદના-સંવેદના, રૂપી શબ્દોથી ઉભરાય છે. ક્યાંક લેખિકા પોતાના બાળકોને કરેલા અન્યાય માટે ગુનાહિત લાગણી પણ અનુભવે છે અને કબુલ પણ કરે છે. અમુક પત્રો બધા જ બાળકોને ઉદેશીને લખ્યા છે અમુક પત્રો બાળકોના નામજોગ લખ્યા છે.

સામાન્ય રીતે એક સ્ત્રી માટે પોતાના પતિની આગલી પત્નીનાં બાળકો માટે થોડો પૂર્વગ્રહ હોય જ છે.. સ્ત્રી સહજ ઈર્ષ્યાને કારણે કદાચ આવું થતું હશે પણ એ ક્યારેય ૧૦૦% એ બાળકોનો સ્વીકાર કરી શકતી નથી. પરંતુ અહીં શોભાબહેને જયારે ઉલ્લેખ કર્યો ત્યારે જ ખબર પડે છે કે આ બાળકો એમના પતિનાં આગલા પત્નીના સંતાનો છે. એક જગ્યા એ તો રણવીરને એની (રીટા) મમ્મીનાં જન્મદિવસે જ એને પત્ર લખે છે અને યાદ પણ કરે છે. લેખિકાના વ્યક્તિત્વની એક નિખાલસ બાજુ છતી થાય છે. એક નારી - સ્ત્રી, જયારે છોકરી હોય છે ત્યારથી એનાં હૈયામાં માતૃત્વનું ઝરણું વહેતું જ હોય છે. અહીં શોભાબહેન પોતાના દરેક બાળકને આવા વહાલનાં ઝરણામાં ભીંજવતા દેખાય છે. ‘મા’ આવી જ હોય અને એને જ ‘મા’ કહેવાય નિષ્પક્ષ અને નિસ્વાર્થ પ્રેમ સદા તેના બાળકો પ્રત્યે વહાવતી રહે.

પ્રસ્તાવનામાં જ લેખીકાજી કહે છે, “આ પત્રો મારા અને આ બાળકોના સુખ - દુઃખ, હાસ્ય-સંતાપનાં સાક્ષી છે. ‘સ્પીડપોસ્ટ’ એટલે પ્રેમ, પ્રશ્નો અને યાદગીરીનો સંગ્રહ.” આ પત્રોમાં પોતાની નબળાઈ, દરેક બાળકોની આવડત હોશિયારી અને લાગણીનું આલેખન સુંદર રીતે થયું છે. એમના ઘરમાં રહેતા ડોગને અને ડરાઈવરને પણ મહત્વ આ પત્રોમાં અપાયું છે.

‘વાંચે સખીરી’નાં દરેક આર્ટીકલ લખતી વખતે મને એક મૂંઝવણ હમેશાં રહે છે કે પુસ્તકમાંથી શું લઉં, કેટલું લઉં કે જે વાંચીને તમને સૌને આ પુસ્તક વાંચવાની ઇન્ત્ઝારી વધે.

પોતાની પુત્રી અરૂંધતીને લખેલા એક પત્રમાં લેખિકા લખે છે, “છેલ્લા બે વર્ષમાં આપણા બંને વચ્ચે વખતોવખત અનેક વિષયો પર વાદ-વિવાદ થયો છે, વાતમાં કઈ ખાસ દમ ન હોય, પરંતુ તારી ફોન પરની લાંબી લાંબી વાત ચિતો, તારા કોમ્પુટરના વધુ પડતા ઉપયોગ માટે, તારા ટૂંકાટૂંકા સ્કર્ટ માટે ચણભણ થતી રહી છે.” દરેક માને એવું હોય છે કે પોતાના હોવા ન હોવાનો બાળકોને કોઈ ફર્ક નથી પડતો. અહીં લગભગ દરેક પત્રોમાં લેખિકા એવું મહેસુસ કરતા જોવા મળે છે. પોતે પોતાના બાળકોને કોઈ વાત માટે લડયા હોય પછી એમને થતો અફસોસ પણ ઘણા પત્રોમાં ખુલ્લા દિલે વર્ણવ્યો છે.

પોતાના સાવકા સંતાનો રણવીર અને રાધિકાને લખેલા એક પત્રમાં શોભાજી કહે છે, “તમારા પપ્પા સાથેનાં લગ્ન એટલે અમારા બંનેના બીજા લગ્ન, બંનેને આગલા લગ્નથી બે બે સંતાનો, તમારા ચારેયમાંથી એકેયે જાહેરમાં અમારા લગ્નનો વિરોધ કર્યોજ ન હતો! પણ રાધિકા રણવીરનાં મન શું ચાલતું હશે તેનો આછો પાતળો અંદાઝ મને આવતો હતો. મારે માટે પણ પરિસ્થિતિ વિચિત્ર હતી જ. આ નાનકડા ભૂલકા, જેમણે પોતાની વહાલી મા ગુમાવી હતી. તેમનાં પર શું વીતી હશે! આ આખી પરિસ્થિતિના મૂળમાં રહેલી હું મારી જાતને નિર્દોષ જ માનતી હતી. હું કેટલી મુર્ખ હતી! હું ફક્ત મારી લાગણીઓનું ઘર સાચવીને બેઠી હતી.” કેટલી નિખાલસ કબુલાત, હ્ય્દયને સ્પર્શી જાય છે હે ને!

દીકરી અવન્તિકા જયારે મોડેલિંગ કરવાનું નક્કી કરે છે ત્યારે પણ લેખિકા પોતે એક મોડેલ રહી ચુક્યા હોવા છતાં એના પર કોઈ નિર્ણય ઠોકી ન બેસાડતા એને જાતેજ નિર્ણય કરવાનું સોપે છે અને પત્રમાં કબુલ પણ કરે છે કે જયારે મેં તારી ઉમરમાં મારા માતાપિતા પાસે આ જ કામ માટે મંજુરી માંગી હોય ત્યારે હું તને એમ કરતા કેમ રોકી શકું. લેખિકાનાં વાણી વર્તનમાં ક્યાંય ભેદ દેખાતો નથી. જેવું વિચારે છે એવુ જ પોતાના સંતાનો આગળ વર્તન કરે છે. એટલેજ કદાચ ૬ સંતાનોને એકસુત્રે બાંધી શક્યા હશે.

આ પત્રોમાં આવું તો ઘણું છે જે આપણને આપણા સંતાનોને સમજવા માટે રસ્તો બતાવે. તો આ શોભા ડેના “સ્પીડપોસ્ટ”નો સોનલ મોદીજી એ અનુવાદ કરેલો છે જરૂર વાંચશો. તમને ગમશે જ એની મને ખાત્રી છે.

જાહનવી અંતાણી. વડોદરા.

હેય, વોટ્‌સ અપ?

ગોપાલી બુચ

ઈ-દ્બટ્ઠૈઙ્મ : ર્ખ્તટ્ઠઙ્મૈહ્વેષ્ઠરજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

હેય, વોટ્‌સ અપ?

યામિની વ્યાસ એટલે એક એવું સુમધુર વ્યક્તિત્વ જે પોતાની આગવી વિચારધાર અને અદભુત રજુઆતથી પોતાની આસપાસના વાતાવરણ ને જીવંત રાખે છે. સતત સ્ત્રી સંવેદનોને વાચા આપતી એમની સર્જનાત્મકતાનો વિશેષ પરિચય એમના ગીત, ગઝલ અને નાટકોમાં જોવા મળે જ છે. ચાલો, માણીએ એમની સાથેનું ચીટચેટઃ

ગોપાલીઃ સર્જન એ સર્જકનો આંતરનાદ છે. તમને એવું લાગ્યું છે?

યામિનીઃ હા, ચોકકસ જ લાગ્યું છે. ઘણીવાર એવું અનુભવ્યું છે કે અંદર કશુંક વલોવાયા કરે છે પરંતુ બહાર આવશે તો એની તીવ્રતા ઘટી જશે ત્યારે શબ્દો મદદે આવે છે. શબ્દો એવું અદ્‌ભૂત માધ્યમ છે કે આપમેળે એ આંતરનાદનું અવતરણ કરી દે અને સર્જકે એનો ઘાટ આપીને મનગમતા આકારમાં, મનગમતા પ્રકારમાં પરિવર્તિત કરવું પડે. એને મઠારીને, સુધારીને વારંવાર નવુ રૂપ આપે ત્યારે એક "ક્રુતિ"નું નિર્માણ થઇ શકે.

ગોપાલીઃ નાટ્‌યક્ષેત્રમાં પણ તમારૂં યોગદાન છે. મુખ્યત્વે ‘સ્ત્રી’ તમારા નાટકનો વિષય રહે છે. એવું શા માટે?

યામિનીઃ સ્ત્રી સંવેદનો સારી રીતે સમજી શકું છું એટલે એ વિષયને વધુ સ્પર્શી શકું છું. મિલીના ઘર તરફ હોય કે રણમાં ખિલ્યું પારિજાત હોય; દીપમાલા હોય કે સારિકા પંજરસ્થા; સંવેદનો એના કયાંય ઓછા નથી થયા.

રણમાં ખિલ્યું પારિજાત, ડેઝર્ટ ફ્લાવર વારિસ ડીરીની આત્મકથા આધારિત સ્ત્રી સુન્નતની વાત છે, આંખો અને હ્ય્ુદયના ખૂણાં ભીંજાય જાય એવી ઘટના છે, હું એવું માનું છું કે આનું નાટ્‌યરૂપ સ્ત્રી વધુ સારી રીતે આપી શકે.

એવું માનું છું કે ૨ કલાકનાં લેક્ચર કરતાં ૨૦ મિનિટ્‌સની ભજવણી કરીએ તો વધુ અસરકારક સાબિત થાય. એટલે મેં લખ્યા અને ભજવ્યા. એની ધારી અસર જોઈ. "બેટી બચાવો" "બળાત્કાર વિરોધી" "ઘરેલું હિંસા" "એઈડસ જાગ્રુતિ" " સ્વાઈન ફ્લ્યુ" "ઘરડાંઘર" જેવા વિષયો લઈ સામાજિક ચેતના અને સામાજિક જાગ્રુતિ માટે ઘણા નાટકો કર્યા. ફક્ત સ્ત્રી વિષય એવું નથી. "ગુજરાતી ભાષા બચાવો" પર્યાવરણ સુરક્ષા "કે "વીજળી બચાવો "અને "વીજ સુરક્ષા" અંગે પણ નાટકો તૈયાર કર્યા છે!

ગોપાલીઃ રોજીંદી ઘટમાળ વચ્ચે લેખન સાથે કેવી રીતે જોડઈ રહો છો?

યામિનીઃ ક્યાંકથી સમય ચોરવો પડે છે. કશુંક ગમતું કરવા માટે સતત સક્રિય રહેવુ પડે છે. કોઈવાર એવું ય બન્યું હોય કે, એક્ટીવા પર જતા હોઈએ, બ્લડ ટેસ્ટ કરતાં હોઈએ, રસોઈ કરતાં હોઈએ ત્યારે કોઈ વિચાર, કોઈ પંકિત મનમાં આવે, એને કાગળ પર ઉતારી ન લઈએ તો ભૂલી જવાય અને ફરી યાદ ન પણ આવે. એટલે મેં તો કયાં ક્યાં નથી લખ્યું? મસાલાનાં ડબ્બા નીચે રાખી મુકેલી ચબરખીમાં, લેબમાં ટેસ્ટીંગ કરતાં હેન્ડગ્લોવ્ઝ પર,એકટીવાની ડીકીમાં પડેલાં બીલની પાછળ!

નાટકનો કોઈ પંચ ફટકારી શકાય એવો સંવાદ અથવા તો આહ્‌ થઈ જાય એવી પંક્તિ! મળસ્કે ઉંઘ પણ ઉડાડી શકે કારણ અવતરણનો સમય કંઈ નક્કી થોડો હોય! સ્ત્રી છું એટલે અનુભવી શકું છું, પ્રસવ પીડાથી જરાય ઓછું નથી. પોતાના બાળકનાં જન્મ પછી માને ખુશી થાય એવી જ ખુશી અન્ય સર્જનથી પણ થાય જ છે.

ગોપાલીઃ તમારી આગેકુચમાં સોશ્યલ મિડીયાનો શું ફાળો?

યામિનીઃ અભ્યાસપૂર્ણ અને સાતત્યપૂર્વક જો સોશ્યલ મિડીયાનો ઉપયોગ કરીએ તો એ પણ પ્રગતિમાં અગત્યનો ભાગ ભજવી શકે, જોકે મેં તો ઘણો મોડો એનો ઉપયોગ શરૂ કર્યો. પરંતુ ઘણું શીખી શકાય,જાણી શકાય, સર્જન સાથે સર્જકનો પરિચય પણ થઈ શકે. એનું ઉત્તમ ઉદાહરણ અમારો વાર્તાસંગ્રહ "સ્ત્રીઆર્થ" એમાંથી અમે કેટલીય લેખિકાઓ એકબીજાને રૂબરૂ મળ્યા પણ નથી.... છતાંય પુસ્તકમાં સાથે છીએ!

ગોપાલીઃ સમાજ માટે કોઇ સંદેશ?

યામિનીઃ દરેકે પોતાની જાતને થોડા થોડા સમયે જોઈ લેવી જોઈએ... કે સહી સમય પર અને સહી ગતિમાં આગળ વધી રહ્યાં છીએને?

જો કોઈ એક સ્ત્રી આટલું કરી શકે તો બધી જ સ્ત્રી બધું જ કરી શકે. સાચુંને?

ગોપાલી બુચ. અમદાવાદ.

રૂગ્ણાલય

ડો. ગ્રીવા માંકડ

ઉીહ્વ : ુુુ.ર્રર્દ્બીીષ્ઠઙ્મૈહૈષ્ઠ.ર્ષ્ઠદ્બ

ઈ-દ્બટ્ઠૈઙ્મ : ૈહર્કજ્રર્રર્દ્બીીષ્ઠઙ્મૈહૈષ્ઠ.ર્ષ્ઠદ્બ

શિયાળામાં સારસંભાળ

સહુ પ્રથમ તો સર્વે વાચક મિત્રોને આ નવું કેલેન્ડર વર્ષ ૨૦૧૬ શુભ ફળદાયી, પ્રગતિકારક તથા સ્વાસ્થ્યવર્ધક બની રહે એવી મારી શુભકામના છે. સાથે સાથે હેલ્લો સખીરી ઈ-મેગેઝિન આપ નિરંતર વાંચતા રહો ને અમે સહુ આપને કંઇક ને કંઇક ઉપયોગી તેમજ રસપ્રદ માહિતી પીરસતા રહીએ.

આ વખતે પણ શિયાળો એકદમ જામી રહ્યો છે. જે લોકો ગરમ ચાદરમાંથી વહેલી સવારે બહાર ડોકિયું કરતા હશે એમને ખબર હશે કે શિયાળાની સવાર કેટલી ખુશનુમા હોય છે. અને જેમની તાસીર જ ઠંડી ન સહન કરી શકે એવી છે તો એમના માટે તો ધ્રૂજ્યે જ છૂટકો.

આમ શિયાળો એ ખૂબ સ્વાસ્થ્યવર્ધક રૂતુ છે. ભૂખ પણ વધારે લાગે અને પાચન પણ એટલું જ તંદુરસ્ત રીતે થઇ શકે. ઉપરાંત, માર્કેટમાં વિવિધ પ્રકારના શાકભાજી અને ફળો પણ મળી રહે જેથી ઘરમાં બનતી વાનગીમાં પણ વૈવિધ્ય જળવાઈ રહે. જેથી જેમને શિયાળો ગમતો હોય એમને તો મજા જ પડી જાય

જો શિયાળાનાં ૩-૪ મહિના દરમિયાન કેટલીક નીચે મુજબની જરૂરી કાળજી રાખીએ તો ખરેખર શિયાળાને પણ માણી શકાય એમ છે

દરરોજ સવારે ઉઠયા બાદ અને રાત્રે સુતા પહેલાં એક ગ્લાસ્સ હુંફાળું ગરમ પાણી પીવું. જોકે આ આદત શિયાળા સિવાય પણ દરેક રૂતુમાં લાગૂ પાડી શકાય એવી છે જે શિયાળા દરમિયાન વારંવાર થતા શરદી-ઉધરસ સામે પ્રતિકારક બનાવશે

ત્વચાને માફક આવે એ મુજબનું કોઈ યોગ્ય મોઇસ્ચરાઈઝર નાહ્યા બાદ તેમજ જરૂર પડયે લગાવી લેવું જેથી ત્વચા સુકી ન પડે

ત્વચા ગરમ પાણીમાં ન્હાવાથી રૂક્સ ન બની જાય એ માટે પાણીમાં ઓલીવ ઓઈલ ના ૨-૩ ટીપા નાખી શકાય

હોઠની સંભાળ માટે તેના પર ગ્લીસરીન કે માખણ લગાવી શકાય

તરસ ઓછી લાગે આમ છતાં દિવસમાં ૨-૩ લીટર જેટલી કુલ્લ માત્રામાં પાણી તથા અન્ય લિક્વિડ લેવું

બને એટલા વધારે શિયાળુ શાકભાજી, લીલા શાકભાજી તેમજ ફળોને આરોગવા

ઠંડી સામે રક્ષણ રહે એ માટે ખજૂર, કાટલું, મેથી પાક કે ગોળપાપડી જેવા તથા સૂંઠ,ગોળ અને ઘી ના લાડુ જેવા ગરમાવો આપી શકે એવા ખાદ્ય પદાર્થ આરોગવા

શિયાળામાં ખાસ કરીને કાન, માથું, પગના તળિયા અને છાતી ઢંકાયેલા રહે એ એકદમ અનિવાર્ય છે. માટે જેમને ઠંડી ઓછી પડતી હોય એલોકો પણ કાનમાં રૂ અને પગે મોજા પહેરેલ હશે તો ઠંડીની અસર ઓછી થઇ શકે

જેમને શરદી કે કફ સાથે ખાંસીની સમસ્યા રહેતી હોય તો ખાસ કરીને તુલસી, આદુ, ફુદીનો અને મરીનો લીંબુ નાખેલ ઉકાળો પીવો જે કફને વધુ જમા થતો અટકાવશે

ઉપરાંત, કફ સાથેની ખાંસીની સમસ્યા હોય તો છાતી પર નાગરવેલના પાનનો શેક કરી શકાય જે ફેફસામાં જમા થયેલ કફને ઓગાળીને બહાર કાઢવાનો રામબાણ ઈલાજ છે

નાના બાળકને શરદી થઇ હોય તો ચોખ્ખા રૂમાલ કે ટીસ્યુ વડે વારંવાર સાફ કરતા રહેવું

શિયાળામાં સવારે ઉઠીને ચાલવાના તથા કસરત કરવાના બે ફાયદા છે. એક તો કસરતને લીધે થોડું શરીર ગરમ થાય જેથી ઠંડી ઉડે અને એ બહાને વહેલા ઉઠવામાં અવરોધક આળસ પણ ઉડે.

ઘરમાં એકદમ નાનું બાળક કે વયોવૃદ્ધ હોય તો એમનામાં શરીરનું તાપમાન બહારના તાપમાનની સામે જળવાઈ રહે એવું શક્ય ઓછું બનતું હોય છે. માટે ઠંડી અસહ્ય હોય તો એ પરિસ્થિતિમાં તેમને ગરમ ધાબળામાં વીંટાળી દેવું આવશ્યક છે. જરૂર પડયે તો જો ઘરમાં હીટર વસાવેલું હોય તો થોડા સમય માટે એને ચાલુ કરીને રૂમ ગરમ કરી શકાય જેથી હૂંફ મળી રહે.

ડો. ગ્રીવા માંકડ. અમદાવાદ.

સૂર, શબ્દને સથવારે

સૌમ્યા જોષી

ઈ-દ્બટ્ઠૈઙ્મ : દ્ઘજટ્ઠેદ્બઅટ્ઠ૭૬૨જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

સૂર, શબ્દને સથવારે

સરળ સહજ શબ્દોમાં, ભાષાનું આભિજાત્ય જળવાય તે રીતે લખાયા હોય તેવા, ગહન સાહિત્યિક મૂલ્ય ધરાવતા હ્ય્દયસ્પર્શી ગીતો આજે બહુ જૂજ પ્રમાણમાં સાંભળવા મળે છે. કદાચ એટલેજ આજે પણ આપણને ચાળીસ, પચાસ, સાઠનાં દશકનાં એ અર્થસભર, મીઠા મધુર ગીતો સાંભળવા ગમે છે.

આજે આ વાત યાદ આવવાનું કારણ એ જ કે, હેલ્લો સખી રી.... ઈ મેગેઝીનનો નવવર્ષનો આ પ્રથમ અંક આપ વાંચી રહ્યાં હશો ત્યારે, ચોથી જાન્યુઆરીએ કવિશ્રી ગોપાલદાસ સક્સેના ’નીરજ’ પોતાની ઉમરના બાણુમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યાં છે. શિક્ષણ અને સાહિત્ય એમ બંને ક્ષેત્રે અનુક્રમે પદ્‌મશ્રી અને પદ્‌મભૂષણ જેવા દેશના સર્વોચ્ચ સન્માનથી જેમને નવાજવામાં આવ્યા છે એવા કવિશ્રી ’નીરજ’ની ઓળખાણ આપવી એ સૂરજને આયનો બતાવવા જેવું કામ છે.

૪ જાન્યુઆરી, ૧૯૨૫ના રોજ ઉત્તર પ્રદેશનાં ઈટાવા જિલ્લાના એક નાનકડા ગામ પુરાવલીમાં, સાધારણ સ્થિતિ ધરાવતા કુટુંબમાં જન્મેલા‘નીરજ’, માત્ર છ વર્ષની વયે જ પિતાને ગુમાવી બેઠેલા. અત્યંત સંઘર્ષમય સંજોગોમાંયે હાઈસ્કૂલની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરીને, પરિવારના ગુજરાન માટે કામે લાગી જનારા ‘નીરજે’ લાંબો સમય સામાન્ય ટાઈપીસ્ટની નોકરી કરતા કરતા પણ પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો અને હિંદી સાહિત્યના વિષય સાથે એમ. એ.ની ડીગ્રી મેળવી.

નાનપણથીજ કાવ્યસર્જનમાં રૂચિ ધરાવતા ’નીરજ’, અલીગઢની કોલેજમાં હિંદી વિભાગના પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા થયા તે પહેલાથી જ કવિસંમેલનો ગજાવતા થઈ ગયેલા. મુંબઈમાં તેમના એક સન્માન સમારંભ દરમિયાન જ તેમની રચનાઓ સાંભળીને આફરીન થઈ ગયેલા દિગ્દર્શક આર. ચંદ્રાએ તેમને પોતાની આગામી ફિલ્મ ’નયી ઉમર કી નયી ફસલ’ના ગીતો લખવા માટે આમંત્રણ આપ્યું! ’નીરજ’એ તેનો સ્વીકાર કરતા, તેમની કેટલીક પ્રારંભિક કાવ્યકૃતિઓનો આ ફિલ્મમાં સમાવેશ કરવામાં આવ્યો. ફિલ્મ તો ન ચાલી પણ ’નીરજ’ના લખેલા બધા જ ગીત ’હીટ’ રહ્યાં. એમાંયે રફીસાહેબે ગાયેલું ગીત ’કારવાં ગુજર ગયા, ગુબાર દેખતે રહે’ અત્યંત સફળ રહ્યું. રાતોરાત ’નીરજ’ એક સફળ ગીતકાર તરીકે હિંદી ફિલ્મ જગતમાં પ્રસ્થાપિત થઈ ચૂક્યા!

આમ તો ’નીરજ’ની ફિલ્મી ગીત લેખનની કારકિર્દી બહુ જ ટૂંકી રહી. પરંતુ મજાની વાત એ કે ૧૯૬૭થી ૧૯૭૨ એટલે કે માત્ર પાંચ જ વર્ષની કારકિર્દીમાં નીરજે લખેલા મોટાભાગના ફિલ્મી ગીતો સફળ રહ્યાં. સળંગ ત્રણ વર્ષ માટે એટલે કે ૧૯૭૦, ૧૯૭૧ અને ૧૯૭૨ માટે ’નીરજ’ને સર્વશ્રેષ્ઠ ગીતકાર તરીકેના ફિલ્મફેર પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા. જ્યાં એક તરફ, ગુરૂદત્ત, રાજ કપૂર, દેવ આનંદ જેવા કસબીઓએ ’નીરજ’ની પ્રતિભા પારખીને તેમની નવતર પ્રયોગશીલ, ઊંચુ સાહિત્યિક મૂલ્ય ધરાવતી રચનાઓને અદ્‌ભૂત રીતે કચકડે કંડારી. તો બીજી તરફ ખ્યાતનામ ગાયકોએ પોતાના સ્વર થકી તો એસ. ડી. બર્મન, શંકર જયકિશન, રોશન જેવા સંગીતકારોએ પોતાના સંગીત થકી ’નીરજ’ની પ્રતિભા દેશ-વિદેશમાં વિસ્તારી.

પાંચ વર્ષની અલ્પ કારકિર્દીમાં એકસો ત્રીસ જેટલા ગીતો ’નીરજે’ લખ્યાં. તેમાંના લગભગ બધાં જ ગીત સફળતા અને પ્રસિદ્ધીને વર્યા. બાલિશ અને છીછરા શબ્દોને બદલે ગહન વિચારો તેમજ ભાવ અને ઊર્મિની અત્યંત સરળ અને સાહિત્યિક અભિવ્યક્તિ એ ’નીરજ’ની કલમનું સશક્ત જમાપાસું હતું. ફિલ્મી ગીત લેખનની બધી જ વિદ્યામાં પારંગત એવા નીરજની પ્રયોગશીલતાનો આ એક નમૂનો જુઓઃ

‘ફૂલોં કે રંગ સે, દિલ કી કલમ સે, તુઝ કો લિખી રોજ પાતી...

કૈસે બતાઉં કિસ તરહ સે પલ પલ મુઝે તુ સતાતી

તેરે હી સપને લેકર મેં સોયા, તેરી હી યાદોં મેં જાગા

તેરે ખયાલોં મેં ખોયા રહા મેં જૈસે કી માલા મૈં ધાગા

બાદલ બિજલી ચંદન પાની જૈસા અપના પ્યાર

લેના હોગા જનમ હમેં કઈ કઈ બાર!

ઈતના મદિર ઈતના મધુર તેરા મેરા પ્યાર’

ઈતના મદિર, ઈતના મધુર તેરા મેરા પ્યાર, લેના હોગા જનમ હમેં કઈ કઈ બાર...

ગીતનું આ મુખડું છે, જે પાછળથી ગાવામાં આવ્યું છે, તેમ છતાં ગીતમાં જરા પણ રસક્ષતિ થતી નથી.

પહેચાન, પ્રેમ પુજારી, ગાઈડ, તેરે મેરે સપનેં, શર્મિલી, મેરા નામ જોકર, ગેમ્બલર જેવી મોટા બેનરની ફિલ્મોની સાથેસાથે “ચા ચા ચા” જેવી સાવ ઓછી જાણીતી ફિલ્મોમાં પણ નીરજે લખેલા મેઘધનુષી ગીતોના રંગો આજે પણ એટલા જ ચમકદાર જણાય છે. નીરજના લખેલા કેટલાક ગીતોની યાદી પર નજર ફેરવીએ તો, શોખિયોંમેં ઘોલા જાયે ફૂલોંકા શબાબ, લિખે જો ખત તુઝે, જૈસે રાધાને માલા જપી શામ કી, બસ યહી અપરાધ મેં હર બાર કરતા હૂં, ધીરે સે જાના ખટિયન મેં, મેઘા છાયે આધી રાત, દિલ આજ શાયર હૈ, જીવન કી બગિયા મહેકેગી, મેને કસમ લી, ફૂલોં કે રંગ સે દિલ કી કલમ સે,રંગીલા રે તેરે રંગ મેં, સુબહ ન આયી શામ ન આયી, વો હમ ન થે વો તુમ ન થે.... એકએકથી ચડે એવા આ સુમધુર ગીતો આજે પણ સંગીતચાહકોના હ્ય્દયમાં અનેરા સ્પંદનો જગાવી દે છે. પણ આ બધા યે ગીતોમાં શિરમોર સમાન ગીત છે, ’એ ભાઈ જરા દેખ કે ચલો!’

રાજ કપૂર જ્યારે પોતાની જિંદગીના સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એટલે કે ફિલ્મ ’મેરા નામ જોકર’ના ગીત-સંગીત વિશે નીરજ સાથે ચર્ચા કરી રહ્યાં હતા, ત્યારે નીરજે પોતાનું મંતવ્ય વ્યક્ત કરતા રાજ કપૂરને જણાવ્યું કે, સરકસના જોકરના મુખે, સરકસના મંચ પર જો કોઈ ગીત મૂકવાનું હોય તો એ કંઈક અલગ જ પ્રકારનું હોઈ શકે. રાજ કપૂર જેવા અભિનેતા જ્યારે જોકરનું પાત્ર ભજવી રહ્યાં હોય તો એમાં મામૂલી ઠઠઠા મશ્કરી કે હસી મજાકની વાત ન ચાલે. નીરજે પોતાની કલ્પનાશીલતાનો એક ઓર ઉત્કૃષ્ટ પરિચય આપતું ગીત લખ્યુંઃ એ ભાઈ જરા દેખ કે ચલો... આગે હી નહીં પીછે ભી... દાયેં હી નહીં બાંયે ભી... ઉપર હી નહીં નીચે ભી...

નીરજ જ્યારે રાજ કપૂર તેમજ સંગીતકાર બેલડી શંકર જયકિશનને આ ગીત બતાવવા ગયા ત્યારે શંકર જયકિશનને લાગ્યું કે આ તે કેવા શબ્દો?! આને બંદિશમાં કેમ ઢાળવા? ત્યારે નીરજે પોતે જાતે આ ગીતની ધૂન બનાવી અને સંગીતકારો સમક્ષ ગાઈ સંભળાવી. કમનસીબે એ સમયે ’મેરા નામ જોકર’ને લોકોએ સ્વીકારી નહીં, પરંતુ ’ફ્રીવર્સ લિબરે’ જેવી એકદમ નિરાળી શૈલીમાં લખાયેલું આ ગીત લોકજીભે ચડીને અત્યંત લોકપ્રિય બન્યું. ગીતના શબ્દો, ધૂન અને ખાસ તો, સરકસના માધ્યમથી જીવન દર્શન રજૂ કરવાનો વિચાર, બધું જ હટ કે કહી શકાય એવું. નીરજનાં શબ્દોની જાદૂગરી તો જુઓઃ

ગિરને સે ડરતા હૈ ક્યૂં,

મરને સે ડરતા હૈ ક્યૂં,

ઠોકર તુ જબ તક ન ખાયેગા, પાસ કિસી ગમ કો ના જબ તક બુલાયેગા,

જિંદગી હૈ ચીજ ક્યા નહીં જાન પાયેગા,

રોતા હુઆ આયા હૈ રોતા હુઆ જાયેગા...

સરળ શબ્દોમાં જીવનની કઠિન પરિસ્થિતિઓનો સહજ સ્વીકાર કરવાની શીખ આપે એવા આ ગીત માટે નીરજને સો સો સલામ!

સૌમ્યા જોષી

સાતમી ઈદ્ગિય

ભાર્ગવી પંડયા

ઈ-દ્બટ્ઠૈઙ્મ : હ્વરટ્ઠખ્તિટ્ઠદૃૈટ્ઠહઙ્ઘઅટ્ઠ૨૬જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

સાતમી ઈદ્ગિય

આવો દીવો કરીયે.

દુર્ગાપૂજાનાં ભરચક પંડાલમાં કાવ્યા નાનકડી ૠચાને લઇ દર્શન માટે આવી હતી. બહુજ ના પાડવા છતાં આજે જીદ કરી ૠચાએ .અને કાવ્યા નાનકડી અઢી વર્ષની દીકરીને લઈને પંડાલમાં પ્રવેશી. ગુલાલ કંકુના વાદળો વચ્ચે દેવી દુર્ગાની ભવ્ય મૂર્તિ શોભતી હતી. ઢોલ- નગારા, નોબત,શહનાઈ, શંખનાદો અને "જય મા’નાં પોકારોથી વાતાવરણ અદભૂત બની ગયું હતું. કાવ્યા ભાવવિભોર થઇ ગઈ. એની આંખમાંથી સતત આંસુ વહેતા હતાં... એનાં અતીતની, બાળપણની કેટકેટલી યાદો એના મનને ઘેરી વળી. મમ્મીની આંગળી પકડી પોતે અને પોતાનો ભાઈ દુર્ગાપૂજા માટે જતા અને ભાવવિભોર થઇ મમ્મીને પૂજા કરતી જોયા કરતા. લાલ સફેદ સાડીઓ માં શોભતી સ્ત્રીઓથી ઉભરાતું પંડાલ અને સ્તુતિઓના સ્વરોનું ગુંજન...

એક હડસેલો આવ્યો અને કાવ્યાની તંદ્રા તૂટી. ૠચા એનો હાથ છોડાવીને માતાની મૂર્તિ તરફ આગળ વધતી હતી. કાવ્યા એની પાછળ દોડી હજુ નજીક પહોંચે, એ પહેલા પંડાલમાં લાઈટ ગઈ .અંધારામાં શોરબકોર અને દોડાદોડી થઇ ગઈ. હજુ કંઈ જ સમજાય એ પહેલા લાઈટ આવી પણ ગઈ...

કાવ્યા હાંફળી ફાંફળી મૂર્તિ તરફ દોડી. જોર જોરથી રડવા અને ચીસો પાડવા લાગી. પંડાલમાં મોટું ટોળું એકઠું થઇ ગયું. ૠચા,પંડાલમાંથી ગાયબ હતી.

કોઈકે પોલીસને ફોન કર્યો. આજુબાજુ લગાડેલા સી.સી. ટીવી રેકોર્ડીંગ જોતાં ખબર પડી કે અંધારાનો લાભ લઇ કોઈ અજાણ્‌યો, મોઢા પર બુકાનીની જેમ ગમછો વીંટાળીને પોતાની ઓળખ છુપાવી હતી એવો માણસ, ૠચાને ઊંચકી પંડાલની એક બાજુ સરકી જતો દેખાયો...!

હવે પંડાલના બધા લોકો ચારે બાજુ ખોવાયેલી ૠચાને શોધતા હતા. બેહોશ જેવી થઇ ગયેલી કાવ્યાને સ્ત્રીઓએ સંભાળી લીધી. કોઈએ પાણી પીવડાવ્યું તો કોઈએ પંખો નાખ્યો. કાવ્યા જરા સ્વસ્થ થઇ એટલે એ પણ પંડાલની બહાર દીકરીને બુમો પાડવા લાગી.

સમય વીતતો હતો એમ કાવ્યાનો કંઠ સુકાતો હતો. કૈંક ખોટાની આશંકા માતાને તો પહેલા જ આવે .પાર્કિંગના એક ખૂણેથી અચાનક બુમાબુમ સાંભળી કાવ્યા એ તરફ દોડી. ત્યાં જઈને ત્યાનું દ્રશ્ય જોઇને રાડ પાડી જમીન પર ઢળી પડી. જોનારની નજરમાં અરેરાટી હતી. નાનકડી ૠચાને કોઈ નરાધમ એની સાથે દુષ્કૃત્ય કરી ગળે ટુંપો દઈ, મૃત હાલતમાં છોડી ફરાર થઇ ચુક્યો હતો... ’અરેરે, આતો માનવ કહેવા કે હેવાન...!!!

’આખું શહેર કમકમી ઉઠયું. અહીં કેટલાક પ્રશ્નો ઉઠે છે સાંપ્રત સમાજ સામે... શું હવે સ્ત્રીઓ માટે આ ધરતી સહેજ પણ સલામત નથી? કાવ્યા જેવી માતાઓએ સ્ત્રી સંતાનને જન્મ જ ન આપવો?

સ્ત્રી સંતાનોને બહાર ન લઇ જવી? સ્ત્રી એટલે કોઈ રમવાનું રમકડું છે કે રમીને ફેંકી દેવાય!

ધારોકે એ પુરૂષ ગુનેગાર પકડાશે તો શું? એને સજા થશે? અને થશે તો કેવી સજા થશે? એ વ્યક્તિએ આચરેલી ક્રુરતાને ધ્યાનમાં લેવાશે કે માફી અને દયાની વાતો થશે! કોણ કોની રોટલી શેકીને લાભ લેશે? રાજકારણ, મીડિયા, સામાજિક સંસ્થાઓ, જાતિવાદ, કોમવાદ...!!! એ નાનકડી ૠચા કે એના જેવી અનેક બાળકીઓ પર વધતા અત્યાચારોને શી રીતે રોકી શકીશું .. એ જ તો મોટો સવાલ છે.

અહીં એક વાત મનમાં ઘૂંટાય છે; સ્ત્રી સશક્તિકરણના સાચા પગલા આપણે લઇ રહ્યા છીએ ખરાં?

સ્ત્રીઓના હ્ય્દયમાં કુંઠિત થઇ પડેલી શક્તિને જ જાગૃત કરવી પડે. એને દ્રઢપણે સમજાવવું પડે કે માત્ર વ્રત, તપ, પૂજન કે આધિનતા એ સ્ત્રીનો ધર્મ નથી. સમય આવ્યે ત્રિશુલ ઉપાડવું એ ધર્મ છે. અનાદી કાળથી સ્ત્રીઓની શક્તિનું પ્રભુત્વ સ્વીકારાયું જ છે. વેદો પુરાણોમાં રામ -કૃષ્ણ કે શંકર, કે બીજા દેવોએ સ્ત્રીને ઉચ્ચ સ્થાન પર સ્વીકારી છે. તો હવે સ્ત્રીનું સ્થાન આટલું નિમ્ન કક્ષાનું કેમ? શું હવે આ સમય નથી સ્ત્રીનું માન કે સ્થાન સાચવવાનો!

કદાચ વિદેશી આક્રમણ વખતે સ્ત્રીઓને ઘરમાં રહેવાની ફરજ પડી હશે. અથવા દાબમાં રાખવાની એક પ્રથા ચાલુ થઇ હશે જેનાથી સ્ત્રીઓનું સ્થાન અને માન બંને ઘવાયા. આઝાદી મળી ત્યાર પછી પણ અને કેળવણી અને સજાગતા વધવા છતાં સ્ત્રીઓ પ્રત્યેની નજર અને નજરીયો બંને બદલવામાં આપણે નિષ્ફળ નીવડયા. ઘરેલુ હિંસા અને ભ્રૂણ હત્યા રોકવાની રીતસર જેહાદ ચલાવવા છતાં સદંતર નાબુદ તો થયું જ નહીં ઉપરથી આવી ભયાનક ઘટનાઓ રોજ ઘટે અને આપણે જાણેકે ટેવાતા જઈએ છીએ.

આ સંવેદનશીલતાને જ જગાડવાની જરૂર છે બીજું કૈંજ કરવાને બદલે . સ્ત્રીઓને સ્વમાન, અને પુરૂષ બાળકોને સ્ત્રીઓનું સન્માન ગળથુથીમાં સંસ્કાર સ્વરૂપે આપવાની જવાબદારી આપણી સહુની છે. ચાલો, સહુ પોતપોતાના ઘરથી જ આની શરૂઆત કરીએ. ચાલો, દીવો કરીએ.

’અંધકારો હરાવી ચાલ દીવો કરીએ. આવરણો હટાવી ચાલ દીવો કરીએ. વિસ્તરી જાય અજવાળું આ આકાશ સુધી, બંધનો ફગાવી ચાલ દીવો કરીએ.’

ભાર્ગવી પંડયા

લૉ પંડિત

શ્લોકા પંડિત

ઈ-દ્બટ્ઠૈઙ્મ : જરર્ઙ્માટ્ઠટ્ઠહઙ્ઘૈંજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

લૉ પંડિત

હાલમાં દિલ્હી નિર્ભયા રેપ કેસનો એક બાળ આરોપી ત્રણ વર્ષની સજા બાળ સુરક્ષા ગૃહમાં ભોગવીને છૂટી ગયો તે ખુબ જ ચર્ચામાં છે, બધા જ જાણે છે કે સૌથી હિન કૃત્ય બાળકે જ કરેલું, તેણે પણ એ વાત સ્વીકારી છે અને તેમ છતાં તેને એડલ્ટને સજા થાય તેવી સજા ન થઈ, ત્યારે આપણે પણ જાણીએ કે શું છે જુવેનાઈલ જસ્ટીસ(કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડરન) એક્ટ,૨૦૦૦.

જુવેનાઈલ એટલે કે બાળક, આ કાયદાનો હેતુ એવો હતો કે, દરેક બાળકને સમાન ન્યાય મળે, તેમના હક્કોનું રક્ષણ થાય અને બાળકને તેમણે કરેલી ભૂલોનું પુનરાવર્તન ન થાય તે રીતે પોતાની જાતને સુધારવાનો મોકો મળે, તેના માટે જુવેનાઈલ જસ્ટીસ બોર્ડની રચના કરવામાં આવી જેના અંતર્ગત જુવેનાઈલ દ્વારા થયેલ ગુનાઓ અથવા તેના ઉપર થયેલ ગુનાઓની છણાવટ કરવામાં આવે.

જુવેનાઈલ જસ્ટીસ(કેર એંડ પ્રોટેક્શન એક્ટ ઓફ ચિલ્ડરન) એક્ટ,૨૦૦૦માં કલમ-૨માં વ્યાખ્યાઓમાં દર્શાવ્યા પ્રમાણે જુવેનાઈલ એટલે કે બાળક એટલે “જે વ્યક્તિને ૧૮ વર્ષ પુરા ન થયા હોય તે.

ઘણી વખત એવું પણ બને છે કે આ કાયદાનો આધાર લઇને અક્ષ્મ્ય ગુનાઓમાં પણ ૧૮ વર્ષ ન થયા હોય તેવી વ્યક્તિ બચી જાય છે. હાલમાં જ નિર્ભયા રેપ કેસનો જુવેનાઈલ આરોપી ગુના સમયે ૧૮ વર્ષ ન થયેલ હોવાથી ફક્ત ૩ વર્ષની સજા બાદ છૂટી ગયો અને તેના પડઘા દેશ આખામાં પડયા કે, ખરેખર કાયદાની દેવી આંખે અંધ જ છે, પણ આ કાયદામાં સજાની જોગવાઈ મહતમ ૩ વર્ષ જ છે. ત્યારબાદ દેશ આખામાં વિરોધનો વંટોળ ફૂંકાયો અને તેથી આ કાયદામાં સુધારા માટેનું બીલ પસાર થશે કે અક્ષ્મ્ય ગુનાઓ જેવા કે, રેપ અને મર્ડરમાં ૧૬થી ૧૮ વર્ષ નાં બાળક ને મહતમ ૭ વર્ષની સજા થઇ શકે.

આ કાયદાની બીજી મહત્વની વાત એ છે કે, આ કાયદા અંતર્ગત ઓબ્ઝર્વેશન હોમ, શેલ્ટર હોમ અને સ્પેશીયલ હોમની રચના કરવામાં આવે છે. કોઈપણ બાળકની હિલચાલ શંકાસ્પદ લાગે અથવા તો કોઈનાં દ્વારા ખબર પડે તો તેવા બાળકને ઓબ્ઝર્વેશન હોમમાં રાખવામાં આવે છે અને તેના પર દેખરેખ રાખવામાં આવે છે તથા તેની સુધારણા માટે પ્રયત્નો કરવામાં આવે છે. આ કાયદા હેઠળ જુવેનાઈલ સામે કેવા પ્રકારનાં ઓર્ડર થઈ શકે તે કલમ-૧૫માં અને કેવા ઓર્ડર ન થઇ શકે તે કલમ-૧૬માં દર્શાવેલું છે. કલમ-૧૫ પ્રમાણે, જુવેનાઈલને અલગ અલગ ગ્રુપ કાઉન્સેલીંગ તથા તેનાં જેવી જ બીજી પ્રવૃતિઓ માટે આદેશ આપી શકાય, સામાજિક કામગીરી કરવા આદેશ આપવો આ ઉપરાંત અમુક ઓર્ગેનાઈઝેશનને તેના ઉપર ધ્યાન રાખવા આદેશ આપી શકાય. કલમ-૧૬ પ્રમાણે, જુવેનાઈલને ફાસીની અથવા તો આજીવન કેદની સજા ન થઇ શકે. જો તેણે ૧૬ વર્ષ પૂર્ણ કર્યા હોય તો પણ મહત્તમ ૩ વર્ષની સજા થઇ શકે.

જુવેનાઇલ જસ્ટીસ (કેર એન્ડ પ્રોટેકશન ઓફ ચિલ્ડરન) એકટ ર૦૦૦ સુધારો ૨૦૦૬ હેઠળ લાંબા સમય તેમજ ટુંકા સમય માટે સંભાળ અને રક્ષણ માટેની જરૂરીયાતવાળા બાળકોને ચીલ્ડરન હોમ્સ ખાતે તથા કાયદા સાથે સંઘર્ષ વાળા બાળકોને ઓબ્ઝર્વેશન હોમ ખાતે ૧૮ વર્ષની ઉંમર સુધી પ્રવેશ આપવામાં આવે છે. એ જ રીતે કાયદા સાથે સંઘર્ષ વાળા બાળકો અને બાળાઓને તેઓને માટે સ્થપાયેલ અલગ અલગ સ્પેશીયલ હોમમાં જુવેનાઇલ જસ્ટીસ બોર્ડના આદેશ દ્વારા મોકલી આપવામાં આવે છે.

આ ઉપરાંત આ કાયદા હેઠળ એવું પણ ઠરાવવામાં આવે છે કે ગુનેગાર જુવેનાઈલ છે કે નહિ, આ કાયદાની કલમ-૪૯ અંતર્ગત એવી તપાસ કરાવી શકાય છે કે જે તે ગુનેગાર જુવેનાઈલ છે કે નહિ અને જો જુવેનાઈલ હોય તો તેની સામેની કાર્યવાહી જુવેનાઈલ જસ્ટીસ બોર્ડ દ્વારા ચલાવવામાં આવે છે. કોઈ એક ગુનામાં જુવેનાઈલ તથા બીજાઓ સામે એક સરખી કાર્યાવાહી ન કરી શકાય, જુવેનાઈલ સામેની કાર્યવાહી અલગ જ ચાલે. બાળક પાસે ભીખ મગાવનાર અથવા તો તેની સાથે ક્રુર વ્યવહાર કરનાર વ્યક્તિને ૩ વર્ષ સુધીની કેદની સજા તથા દંડ બંને થઇ શકે છે.

આમ, આ કાયદા હેઠળ બાળકનાં સંરક્ષણ માટે અનેક પ્રયાસો થાય છે અને હાલના સંજોગો પ્રમાણે કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે જેની પશ્ચાદવર્તી અસર નહિ લાગુ પડે એટલે કે જે દિવસે સુધારા બિલ પાસ થાય ત્યારબાદનાં જ કેસને આ સુધારો લાગુ પડશે.

શ્લોકા પંડિત. અમદાવાદ.

નાની નિનિ

કુંજલ પ્રદિપ છાયા

ઈ-દ્બટ્ઠૈઙ્મ : ોહદ્ઘાટ્ઠઙ્મટ્ઠિદૃજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

નાની નિનિ

દિકરી એટલે પાવની..

નાનીબા સાથે મોટાં માસીબા પણ રોકાવા આવવાનાં છે એ સમાચાર સાથે નિનિ સ્કુલ તરફ નીકળી. ઘરે પહોંચીશ ત્યાં સુધી તો પહોંચી આવ્યાં હશે એ ખબર હતી એટલે હોંશથી પાછી વળી. ધસમસતાં ઝરણાંનાં વેગ જેવી નિનિ મોટાં માસીબાને જોતાં વેંત વળગી પડી. કિશોરાવસ્થાને ઉંબરે ઊભેલ અબૂધ નિનિને ક્યાં ખબર હતી કે મોટાં માસીબા માળા કરે છે એમને અડયા વિના આઘે રહીને જ રામ - રામ કરવાનાં હતા!

મોટાં માસીબાઃ અરે ઓ નાનકી.. આ જો તારી છોકરીની છોરીએ તો મને અભડાવી. હવે મારે હવેલીએ જવા સારૂં નહાવું પડશે ભરશિયાળે.

મોટાં માસીબાની બૂમ આખા ઘરમાં ગૂંજી. એમણે બપોર સ્નાન કર્યું. નિનિને એનાં ઓરડામાં જઈને કપડાં બદલી જમવા બેસવા માટે તૈયાર થવાનો આદેશ થયો. આવેલ મહેમાનનાં રૂપમાં મોટાં માસીબા નહાઈને બહાર આવે એ પહેલાં નિનિને જમાડીને લેશન કરવા ફરી એનાં કમરામાં મોકલી દેવાઈ. આ બધું શું ચાલે છે એની નિનિને કંઈ જ ગમ ન પડી. એ તો રડમશ ચહેરે નાનીબા પાસે ગઈ.

મોટાં માસીબા એટલે નાનીબાનાં મોટાં બહેન. ઘણાં વખતે એઓ નાનીબાનાં ઘરે લાંબા રોકાણની ચાળે આવ્યા હતાં. એકાદ દિવસ નિનિનાં ઘરે પણ રોકાશે એમ નક્કી થયું હતું. જે દિવસે નિનિનાં ઘરે આવ્યા એ દિવસે જ નિનિને રજસ્વલા અવસ્થા છે એ જાણીને મોટાં માસીબા એ પોતાનાં જુનવાણી અને રૂઢીચૂસ્ત વિચારોનો પ્રહાર આદર્યો.

મોટાં માસીબાઃ છોરીને કે આરામ કરે. ફેરફૂદરડી કરતી ક્યાં ચાલી આ?

નાનીબાઃ મોટીબેન ઈ ભણવા જાય છે.

મોટાં માસીબાઃ તે ઈ બહુ ભણીને માસ્તરીયાણી બનશે?

નાનીબાઃ બનેય ખરી..! કાં તો મોટી કચેરીની સાહેબ પણ બને..

મોટાં માસીબાઃ તે ભલેને બનતી! પણ ઈને ક્યો કે ત્રણ - ચાર દિ રજા રાખતી જાય નિશાળે..

વડિલોની વાત અટકે એ પહેલાં નિનિ વચ્ચે જ ખાબકી.

નિનિઃ એમ કેમ રજા રાખાય માસીબા? કેટલું લેશન જાય ખબર છે? કોઈ નોટસ પણ ન આપે પછી તો. અને જો બધી છોકરીઓ આમ રજા રાખતી થઈ જાય તો શાળાઓ કેમ ચાલે?

આભડછેટનાં વાતાવરણથી અજાણ નિનિએ પહેલાં તો સચિન ટેન્ડૂલકરની બેટીંગની જેમ ધૂંવાધાર દદીલો કરવાનો પ્રયત્ન કર્યો.

નાનીબાઃ નિનિ તું તારૂં ટ્‌યુંશન જા. રાતે વાત કરજે.

આંખો કાઢીને નાનીબાએ વાત ટૂંકાવી. નાનીબાએ આપેલ સંસ્કાર અને ઉછરણીને તાબે થઈ નિનિ ચૂપ થઈ ગઈ. જાણે કે યુદ્ઘ વિરામ થયો. નાનીબા સાથે વાત કર્યા વિના જ નિનિ વિલા મોંઢે ચૂપચાપ પાછલા બારણેથી જ ટ્‌યુશન જાતી રહી.

ઘરનાં પુરૂષવર્ગની એ સમયે હાજરી નહોતી. બંન્ને વડિલ માજી બા અને નિનિનાં મમ્મી એકલાં પડયાં. નાનીબા એ મોટાં માસીબાને ઠાવકાઈથી વાત માંડી. એવામાં નિનિનાં મમ્મી બંન્ને માટે ચા બનાવવા ગયાં.

નાનીબાઃ જો મોટીબેન, હવે આપણાં વાળો આ જમાનો નથી રહ્યો કે વહૂ - દિકરીઓ મહિનાનાં ચાર ચાર દિ ખૂણો પાળે. દૂનિયા બહુ આગળ વધી છે. જો આ ટેબલેટ મને નિનકુ એ મારા સાઠમાં જન્મ્દિવસે ભેંટ આપ્યું. મનેય તે કોમ્યુટર આવડવા માંડયું છે. બોલો..

મોટાં માસીબાઃ એમ? હરિ હરિ.. તે ઈ હાથમાં જાલીને વળ્યા દિ.. માળા ફેરવાનું મૂકી દીધું છે તે?

હવે તો મોટાં માસીબા જરા હળવા થયાં હોય એમ નાનીબાનું ટેબલેટ તરફ તાકીને જોવા લાગ્યાં. એમને નાનીબા એ ભજનો સંભળાવ્યા અને હરિ દર્શન પણ ઓનલાઈન કરવાની એપ બતાવી.

નાનીબાઃ મોટીબેન, દિકરીઓને પણ આગળ વધવાનો એટલો જ મોકો અને મોકળું વાતાવરણ મળવું જોઈએ. આ જમાનો ગળાકાપ હરિફાઈનો છે. ભણતર પણ ખૂબ ઉંચું આવી ગયું છે. આપણાં વખત જેવું નથી કે શાળાંત કર્યું ને માવતર કહે તે ઘર જાલીને પરણી ગયાં.

મોટાં માસીબાઃ ભણવાની ક્યાં ના છે. પણ ધરમ તો પાળે..

જરા અકળાઈને મોટાં માસીબા તાડુક્યાં.!

નાનીબાઃ વિજ્ઞાન કહે છે કે એ સમયે સ્ત્રીઓને પૂરતો આરામ અને સ્વચ્છતાનું સંપૂર્ણ ધ્યાન રાખવું જોઈએ. જે બાબત આજની પેઢી યોગ્ય રીતે જાણે છે અને અમલ કરે છે. રહી વાત દેવ દર્શનની કે ધાર્મિક અડચણની તો એ તો આપણી દિકરીને આપણે એટલા સંસ્કાર આપ્યા જ હોય ને? શું સાચું શું ખોટું સૌ સમજતાં જ હોય છે બહેના..

*

નિનિનાં મમ્મીનાં હાથની મસાલેદાર ચા પીને બંન્ને ડોસીમાઓ સત્સંગમાં ઉપડયાં. સંદ્યા ટાંણે પરત આવ્યા ત્યારે નિનિ એનાં રૂમમાં લેશન કરતી હતી. એવામાં મોટાં માસીબા એની પાસે આવ્યાં. નિનિ જરા અચકાઈ. એનો ફ્રોક સંકોરીને ઉભી થતી હતી ત્યાં જ મોટાં માસીબા પડખે બેઠાં અને માથે હાથ ફેરવવા લાગ્યાં.

મોટાં માસીબાઃ નિન્કુ બેટા, તને આજે રડાવી એ માટે સોરી હો દિકરી.

મોટાં માસીબાનો બદલાયેલો સૂર સાંભળી નિનિને અચંબો થયો!

નિનિઃ વાંધો નહીં મોટાં માસીબા, વડિલો તો ટોકે નહીં તો છોકરાંઓ કેમ શીખે? મને પહેલીવાર આ તકલીફ થઈ હતી ત્યારે નાનીબા એ સમજાવ્યું હતું કે જેમ આપણને છી.. છી.. પી.. પી.. લાગે છે એજ મુજબ શરીરની પ્રક્રિયા છે. હા, દુખાવો થાય ત્યારે આરામ કરવો અને સ્વચ્છતા રાખવી એવું સમજાવ્યું હતું.

વળી, ડાહી નિનિએ ઉમેર્યું.

નિનિઃ છોરૂં કછોરૂં થાય માવતર કમાવતર ન થાય. તમારે સોરી ન કહેવાય હો બા..

મોટાં માસીબાઃ તું કાલે સવારે નિશાળ જવા જાગીશ એ પહેલાં જ હું નીકળી ગઈ હોઈશ. પરોઢે સવા પાંચની બસ છે મારે એટલે અત્યારે જ તને વહાલ કરવા આવી છું.

મોટાં માસીબાનાં આંખે ઝળઝળીયાં આવી ગયાં. એમણે નિનિને વહાલ કર્યું. એને હાથમાં વાપરવાનાં રૂપિયા આપ્યા. નિનિ રૂપિયા લઈને પગે લાગવા નમી એવામાં મોટાં માસીબ ફરી બોલ્યાં, “નિયાણીઓ પગે ન લાગે..”

નિનિ વળગી પડી એમને. દરવાજાની બારશાખની આડે ઉભીને નાનીબા અને નિનિનાં મમ્મી આ દ્રશ્ય નિહાળતાં ગળગળાં થઈ જોઈ રહ્યાં.

- કુંજલ પ્રદિપ છાયા

અનુભૂતિ

ડો. જીજ્ઞાસા ઓઝા

દ્ઘૈખ્તહર્ટ્ઠડટ્ઠ૪૨જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

અનુભૂતિ

શું આપણે કલાથી વિમુખ થઈ રહ્યાં છીએ ?

“માહ્યલાં એ કીધું વ્હાલા મનવા શીખને થોડી કલા,

મેં પુછ્‌યુ ભલા, આ વળી કઇ બલા?

કોમ્પ્યુટર ના ક્રેઝી અમે ફેસબૂકના ફેન,

કલા અમારૂંકામ નહીં, અમે તો સુપરમેન.”

મારા મનને મેં પ્રર્શ્ન પૂછ્‌યો શું આપણે કલાથી વિમૂખ થઇ રહ્યાછે. તો મારા મને જવાબ આપ્યો. કે, “ના” માહ્યલા માથી પ્રતિપ્રશ્ન ફેકાયો, કેમ?તો મારૂ ચંચળ ચિત્ત ચિત્તાની માફક દોડયુ. અરે યાર આપણે કલાકાર તો છીએ જ. આપણે મોબાઇલ પર ફટાફટ ગેમ નથી રમતા અને ફેસબુક અને વોટ્‌સ એપ્પ પર ચેટીંગ નથી કરતા? જેનુ કામ હોય તેને મસ્કા મારવા, કામવાળી પાસેથી કામ કઢાવવા તેની આગળ-પાછ્‌ળ નથી ફરતા? પડોશી પાસે થીચાર પાંચ બટાટા લેવા તેની ન ગમતી વાતનાં વખાણ કરવા, પતિદેવ પાસેથીપોકેટ્‌મની વધારવા શ્રીમાનને ‘માય ડીયર લવ’ બનાવવા આ બધી કલા જ છેને! આજના ક્રીએટીવ કીડઝ પણ કાંઈ ઓછાં નથી!સ્કોલર વિધાર્થી ની નોટ લેવા તેની આગળ - પાછ્‌ળ નથી ફરતા? મમ્મી પાસે નોટ લખાવી હોય તો બે-ત્રણ પપ્પીની લહાણી કરવી કલાની આલબેલ જ છે ને!

મેં મારા વિચારો પર જોર આપ્યું તો મને કંઇ કાચું કપાયા જેવું લાગ્યુ . કલા વિશે મારા માહ્યલાં માંથી પ્રતિધ્વ્નિ સંભળાયો થયું કે,

“હાથ માં મોબાઇલ રણ ઝ્‌ણે, નેણલા નેટ માં હોય

ફેસબૂક પર ફના થતા, ત્યાં કલા ક્યાં થી હોય?”

આ પ્રશ્ન પંક્તિ મને પુસ્તકાલય સુધી દોરી ગઇ અને ત્યાંકલા અને સાહિત્ય ના અધધધ .... પુસ્તકો જોઇ હુ તો ચકાચોંધ થઇ ગઈ . બે ત્રણ પુસ્તકોનુ મે વિહંગાલોકન કર્યુ તો લાગ્યું કે ખરેખર ફેસબૂક ન ફન્ડા માં ફીટ રહેનાર આ ફેન્ટાસ્ટિક બંદા કલા નો અર્થ જ નથી જાણતાં!!!! સૌ પ્રથમ તો મેં તેને સમજવા ની શરૂઆત કરી કલા એટ્‌લે શું ? સામાન્ય રીતે કલા એટલે આવડત પણ કલા એટ્‌લે કાલ ને ભેદી કાલ એટ્‌લે કે ભવિષ્ય ને શણગારવાની કુનેહ! કર્મ ને સિફ્ત થી લાવણ્‌ય માં ફેરવવાનીઆવડત એટ્‌લે કલા! કોઇ પણ વ્યક્તિનાં રસ, રૂચિ, આવડત, અનુભવ અને નિચોડનાં સમન્વયથી જન્મતું ક્રિએટિવ કિડ એટલે કલા!

ભૂતકાળને ઉવેખતાં ખબર પડી કે આજ્નો આપણો દેશ જે ભારત વર્ષ તરીકે ઓળખાતો હતો ત્યારે કલાથી કેટલો ધબકતો હતો!!! હસ્તકલા,લલિત્કલા,નાટ્‌યકલા ,નૃત્યકલા, ચિત્રકલા, અભિનય કલા અને માટીકામ.

આ કલાઓ આપણી સુંદરતા હતી! ભવ્ય વારસો હતો! ને આજે? આજે નટ બજાણીયા દ્વારા કરવામા આવતા ખેલ ખોવાઇ ગયા છે. મદારી છુમંતર થઇ ગયા છે. નૃત્યનાં નામે માત્ર ઊઘાડી કમરનાં લટકા જટકા જોવા મળે છે. ફિલ્મો ફલતુ થઇ ગઇ છે. અત્ર્ તત્ર સર્વત્ર કલાનો વેપલો શરૂ થઈ ગયો છે. છ્‌ડે ચોકે કલાનું વસ્ત્રાહરણ થઇ રહ્યું છે અનેક દુઃશાસન કલાનું ચીર ખેંચી તેને પીંખી રહ્યા છે અને કલાનું સંપૂર્ણપણે વ્યાપારીકરણ થઇ રહ્યું છે. કલાકાર બનવા આજે રસ, રૂચિ, આવડત કરતા પૈસાનું મહત્વ વધી ગયું છે. આના માટે કલાની હાટડી માંડી બેઠેલા કલાશિક્ષકોને હું ઓછા જવાબદાર નથી ગણતી.

ટેક્નોલોજીનો આડેધડ ઉપયોગ, અનિયમિત જીવનશૈલી, દેખાદેખી, કલાનું વ્યાપારીકરણ અને કલા ની વધતી જતી ખરિદકિંમતે કલાને પાંગળી બનાવી દીધી છે. કલા આજે રીબાઇ રહી છે. કલા આજે જીવવા માગે છે. કલા આજે ડુસકાં ભરે છે. કલા વલવલે છે મૃતપ્રાયઃ બનતી ક્લા વિનવણી કરે છે.

“કલા હ્ય્દય ઝંકૃતિ, કલા સુંદર સંસ્કૃતિ

કલા પરમ પ્રકૃતિ, અટ્‌કાવ એની વિકૃતિ.”

- ડો. જીજ્ઞાસા ઓઝા