પ્રોફેસર યશપાલ સ્મરણઅંજલિ Jagruti Vakil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રોફેસર યશપાલ સ્મરણઅંજલિ

અંધશ્રદ્ધામાં લપેટાયેલી ભારતીય પ્રજાની રુચિ વિજ્ઞાાન તરફ કઈરીતે વાળવી. આ દિશામાં સઘન કામ કરનારા કેટલાક બુદ્ધિજીવીઓમાં, કેટલાક શિક્ષકોમાં અને વિજ્ઞાાનીઓમાં પ્રોફેસર યશપાલનું નામ આગળ પડતું મૂકવું પડે.

પદ્મભુષણ અને પદ્મવિભૂષણ જેવા ભારતના ઉચ્ચ સન્માન વડે સન્માનિત એવા ડો.યશપાલનો જન્મ ૨૬ નવેમ્બર ૧૯૨૬ના રોજ પંજાબના ઝાંગ પ્રાન્તમાં થયો હતો. આજે આ વિસ્તાર પાકિસ્તાનમાં આવેલો છે.. બલુચિસ્તાનના ક્વેટા શહેરમાં ઉર્દૂ માધ્યમમાં શાળાકીય અભ્યાસ શરૂ કર્યો. નવ વર્ષના હતા ત્યારે ૧૯૩૫માં ભયાનક ભૂકંપમાં તેઓ અને પરિવાર માંડ બચ્યા. પિતા સરકારી નોકરિયાત હોવાથી જબલપુરથી મધ્ય પ્રદેશ ગયા. અંગ્રેજી અને હિંદીમાં શાળાકીય શિક્ષણ આગળ ધપાવ્યું. લાહોરની પંજાબ યુનિવર્સિટીમાં ભૌતિક વિજ્ઞાાનમાં સ્નાતકનો અભ્યાસ આરંભ્યો.બે વર્ષ પૂર્ણ થયા હતા ત્યાં ભારત-પાકિસ્તાનના ભાગલા પડતા તેઓ ભાગીને દિલ્હી આવી ગયા. કેટલાક શિક્ષકોએ દિલ્હી યુનિવર્સિટીમાં હંગામી પંજાબ યુનિવર્સિટી ઊભી કરી. બીજા વિશ્વયુદ્ધ બાદ નકામા પડેલા બંકરમાં ક્લાસરૂમ ઊભા કરાયા. એમાં બેસીને તેમણે અનુસ્નાતક સુધી અભ્યાસ કર્યો.

ટાટા ઇન્સ્ટિટયૂટ ઑફ ફંડામેન્ટલ રીસર્ચથી કારકિર્દીના શ્રીગણેશ કર્યા. વધુ અભ્યાસાર્થે અમેરિકા ગયા. મેસેચૂસેટ્સ ઇન્સ્ટિટયૂટ ઑફ ટેકનોલોજીમાં પીએચડી કર્યું. પાછા આવીને ઠેઠ ૧૯૮૩ સુધી આ સંસ્થા સાથે જોડાયેલા રહ્યા.અહીં તેઓ કોસ્મિક રેઝ(બ્રહ્માંડીય કિરણો) પર સંશોધન કરી રહ્યા હતા. તેઓ કાર્યરત હતા ત્યારે ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ ત્યાં આવી ચડયા. તેમણે જીજ્ઞાાસા કરી,કે મારે આપની કરી કરવાની રીત જોવી છે . યશ પાલ તેમને વેધશાળામાં લઈ ગયા અને કામગીરી સમજાવી.નહેરુજી નાના બાળકની જેમ બધું સમજવા પ્રયત્ન કરવા માંડયા. બ્રહ્માંડીય કિરણો પર તેમણે કરેલા સંશોધનની સમગ્ર વિશ્વમાં નોંધ લેવાઈ છે.

૧૯૭૨માં ભારત સરકારે અવકાશ વિભાગની સ્થાપના કરી. ૭૩માં અમદાવાદમાં સ્થપાયેલા સ્પેસ એપ્લિકેશન સેન્ટરમાં તેમને પ્રથમ નિર્દેશક નિયુક્ત કરવામાં આવ્યા. તેઓ ઉત્તમ વિજ્ઞાાની ઉપરાંત આમ લોકો સાથે સંવાદ સાધનાર, સંસ્થાના સંચાલક અને શિક્ષક હતા. બાળકો સાથે વાતો કરવી તેમને ખૂબજ ગમતી. દફતરનો બોજ હળવો કરવા માટે ભારત સરકાર દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી હતી. તેમાં તેમણે કહેલું કે દફતરના બોજ કરતાય વધારે ભારેખમ ન સમજાવાનો બોજ છે. બાળકોમાં સમજણનો ચસકો પેદા કરવાની જરૂર છે.. સવાલ પૂછવાની મોકળાશ આપવા માટે તેમણે ભાર મૂક્યો હતો.

તેઓ નાનામા નાના માણસને સમજાય એવી ભાષામાં વિજ્ઞાાન સમજાવવા પ્રયત્નરત રહેતા હતા.આ માટે તેમણે દૂરદર્શન પર ટર્નિંગ પોઇન્ટ નામનો કાર્યક્રમ શરૂ કર્યો હતો. અહીંથી તેઓ દેશભરમાં લોકપ્રિય બની ગયા.અટપટા વિજ્ઞાાનને સરળ શબ્દોના વાઘા પહેરાવ્યા. વિજ્ઞાાન લેખકોને પણ પ્રોત્સાહિત કરતા. ભારતમાં વિજ્ઞાાન પ્રત્યે અભિરુચિ પેદા કરવામાં તેમણે ખૂબ મોટું યોગદાન આપ્યું હતું.

વિજ્ઞાનીઓને રીમોટ સેન્સિંગ ટેકનોલોજી શીખવા માટે અમેરિકા જવાનો તેમણે ઇનકાર કરી દીધેલો. તેમનો તર્ક એ હતો કે આપણે અમેરિકા જઈને શીખીએ છીએ, પણ અમેરિકાના વિજ્ઞાાનીઓ ક્યાં જાય છે? તેઓ જાતે શીખે છે. તો આપણે શામાટે નહીં? તેમણે અને તેમના સાથીઓએ આ કામ જાતે પાર પાડવામાં સફળતા મેળવી. તેમનો આ સ્પિરિટ ભારતને વિજ્ઞાાન ક્ષેત્રે આગળ વધારવામાં ખૂબજ પ્રેરણાકારક રહ્યો.

મેઇક ઇન ઇંડિયાની વાત તેમણે દાયકાઓ પહેલા કરી હતી. તેમણે ભારતમાં સેટેલાઇટ ઇન્સ્ટ્રક્શન ટેલિવિઝન એક્સપેરિમેન્ટનો પાયો નાખ્યો, જે સેટેલાઇટ આધારિત સિસ્ટમ વિકસાવવામાં ખૂબ સહાયક બન્યો.૧૯૮૧-૮૨માં પ્લાનિંગ કમિશનના મુખ્ય સલાહકાર રહ્યા, ૮૪થી ૮૬ દરમિયાન ડિપાર્ટમેન્ટ ઑફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના ચેરમેન તરીકેનું પદ શોભાવ્યું. ૮૬થી ૯૧ દરમિયાન યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના ચેરમેન રહ્યા. યુએનમાં સેવાઓ આપી. એ ઉપરાંત બીજી અનેક સંસ્થાઓમાં પદો શોભાવ્યા.ભણતરને બોજારૂપ બનતું અટકાવવા માટે શું કરવું તેનું માર્ગદર્શન મેળવવા માનવ સંસાધન વિકાસ મંત્રાલયે યશપાલના અધ્યક્ષપદ હેઠળ શિક્ષણવિદ્દોની એક સમિતિ રચી હતી.યશપાલ સમિતિએ કરેલી ભલામણો આજની તારીખે ભાર વિહોણા ભણતરનો મૌલિક દસ્તાવેજ કહેવાય છે. એનસીઈઆરટીએ નેશનલ કરીક્યુલમ ફ્રેમવર્ક તૈયાર કરવા માટે એક પરિસંવાદનું આયોજન કર્યું હતું..

વિજ્ઞાાન અને શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન બદલ ભારત સરકારે ૧૯૭૬માં તેમને પદ્મભુષણ અને ૨૦૧૩માં પદ્મવિભૂષણ વડે સન્માનિત કર્યા. વિજ્ઞાનને પ્રોત્સાહન આપવા તથા લોકપ્રિય બનાવવા માટે યુનેસ્કોએ ૨૦૦૯માં કલિંગ પુરસ્કારથી નવાજેલા. ૨૦૦૭થી ૨૦૧૨ દરમિયાન તેઓ દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કુલપતિ હતા.જીવનના અંતિમ વર્ષોમાં તેઓ કેન્સરથી પીડાતા હતા. કિમોથેરાપી આપવામાં આવતા તેઓ કેન્સરમાંથી ઊગરી ગયા, પણ કિમોની આડ અસરથી ઊગરી શક્યા નહીં.

પ્રોફેસર યશપાલનું 24મી જુલાઈ 2017ના રોજ નોઈડામાં 90 વર્ષની વયે નિધન થયું હતું. તેમના શરીરનું એક પણ અંગ એવું નહીં હોય જે સમાજ માટે ન ઘસાયું હોય, જેણે દુનિયાની સેવા ન કરી હોય. આપણે આવા એકાધિક યશપાલની જરૂર છે.