Charitra ane Rastranirman - 3 - Last Part books and stories free download online pdf in Gujarati

ચારિત્ર અને રાષ્ટ્રનિર્માણ - 3 - છેલ્લો ભાગ

(3)

૭. નવી તાલીમ અથવા પાયાની કેળવણી

ગામડાંના બાળકોને ઘડીને નમૂનેદાર ગામવાસીનો બનાવવાનો આ કેળવણીનો આશય છે.... એ કેળવણી બાળકનાં મન તેમ જ શરીર બંનેના વિકાસ કરે છે; બાળકને પોતાની ભૂમિ સાથે જડી રાખે છે; તેને પોતાના તથા પોતાના મુલકના ભાવિનું ગૌરવભર્યું ચિત્ર બતાવે છે, અને તે ચિત્રમાં જોયેલું ભાવિ હિંદ રચવાના કાર્યમાં દરેક છોકરો કે છોકરી પોતે નિશાળે જતાં થાય તે દિવસથી જ પોતાનો ફાળો આપે એવી ગોઠવણ કરે છે

(એજન, પા. ૨૦)

૮. પ્રૌઢશિક્ષણ

(ગ્રામવાસીઓને) તેમને એ વાતનો પણ ખ્યાલ નથી કે પરદેશીઓની અહીં હકૂમત ચાલે છે તેનું એક કારણ તેમની પોતાની જ નબળાઇઓ કે ખામીઓ છે, અન ેબીજું એ પરદેશી અમલની બલાને કાઢવાને પોતાનું જે સામર્થ્ય છે તેનું તેમને ભાન નથી. તેથી આપણાં ભાઇબહેનોની કેળવણીનો સૌથી પહેલો હું એવો અર્થ કરું છું કે

મોઢાના બોલથી એટલે કે સીધી વાતચીતથી તેમને સાચી રાજકીય

કેળવણી આપવી.... આ મોઢાની કેળવણી સાથે જ લખવા વાંચવાનું ભણતર પણ ચાલે. આ કામમાં ખાસ આવડતની જરૂર છે.

૯. સ્ત્રીઓ

સેવાના ધર્મકાર્યમાં સ્ત્રી જ પુરુષની સાચી મદદગાર ને સાથી છે.

પુરુષને પોતાનું ભાવિ નિર્માણ કરવાનો જેવો ને જેટલો અધિકાર છે. તેવો ને તેટલો જ પોતાનું ભાવિ નક્કી ેકરવાનો હક

સ્ત્રીને છે.

સ્ત્રીને પોતાની મિત્ર કે સાથી ગણવાને બદલે પુરુષે પોતાને તેનો સ્વામી કે ધણી માન્યો છે.... મહાસભાવાદીઓની ફરજ એ છે કે તેઓ સ્ત્રીઓને પોતાના અસલ સંપૂર્ણ દરજ્જાનું ભાન કરાવે અને જીવનમાં પુરુષ સાથે સરખા દરજજાથી પોતાનો ભાગ લેવાનો તેમને કેળવીને લાયક બનાવે.

૧૦. તંદુરસ્તીના નિયમોની જાળવણી

હંમેશ શુદ્ઘ વિચારો કરવા ને મનમાંથી બધા મેલા ને નકામા વિચારો કાઢી નાખવા.

રાત ને દિવસ તાજામાં તાજી હવા લેવી.

શરીરના તેમ જ મનના કામની સમતુલા જાળવવી એટલે કે તેનો મેળ બેસાડવો.

ટટાર ઊભા રહેવું. ટટાર બેસવું અને પોતાના એક એક કામમાં સુઘડ અને સાફ રહેવું. વળી આ બધી ટેવો અંતરની સ્વસ્થતાના પ્રતિબિંબરૂપ હોવી જોઇએ.

તમારા જેવા તમારા માનવ બંધુઓની કેળવ સેવાને ખાતર જિવાય તે માટે ખાવાનું રાખો. ભોગ ભોગવવાને માટે જીવવાનું કે ખાવાનું નથી. તેથી તમારું મન ને તમારું શરીર સારી સ્થિતિમાં રહે ને બરાબર કામ આપે તેટલા પૂરતું જ ખાઓ. જેઓ આહાર તેવો આદમી.

તમે જે પાણી પીઓ, જે ખોરાક ખાઓ ને જે હવા લો, તે બધાં તદ્દન સ્વચ્છ હોય. વળી કેવળ પંડની ચોખ્ખાઇ રાખીને સંતોષ ન માનતાં તમારે પોતાને માટે જેટલી ચોખ્ખાઇ રાખો તે જ પ્રમાણમાં તમારી આજુબાજુના વાતાવરણને તેમ જ જગ્યાને એ ત્રિવિધ

ચોખ્ખાઇનો રંગ લગાડો.

૧૧. પ્રાંતિક ભાષાઓ

અહિંસાના પાયા પર રચાયેલા સ્વરાજની વાતમાં એ વાત આવી જાય છે કે આપણો એકેએક માણસ આપણી સ્વતંત્રતાની

લડતમાં પોતાનો સ્વતંત્ર સીધો ફાળો આપે. પણઆપણી આમજનતા

લડતનું એક એક પગથિયું જાણે નહીં અને તે દરેકમાં સમાયેલું રહસ્ય

પૂરેપૂરું સમજે નહીં તો સ્વરાજના ઘડતરમાં પોતાનો ફાળો કેમ આપશે ?

અને આમજનતાની પોતાની બોલીમાં લડતના એકેએક પગથિયાની બરાબર સમજૂતી નહીં અપાય તો એ બનવાની આશા કેમ રખાય ?

૧૨. રાષ્ટ્રભાષા

હિંદુસ્તાનભરમાં વહેવાર કરવાને માટે હિંદી ભાષાઓમાંથી એક એવી ભાષાની આપણને જરૂર છે જે આજે વધારેમાં વધારે સંખ્યાના લોકો જાણતા હોય ને સમજતા હોય અને બાકીના લોકો ઝટ શીખી શકે. આવી ભાષા બેશક હિંદી છે.... એ જ બોલી ઉર્દૂ લિપિમાં

લખાય છે ત્યારે તે નામે ઓલખાય છે. ૧૯૨૫ની સાલમાં કાનપુર

મુકામે ભરાયેલી બેઠકમાં મંજૂર કરેલા પોતાના નામાંકિત ઠરાવમાં

હિંદભરની. ....આ રાષ્ટ્રભાષા આપણે બધા તેની બંને શૈલીઓ સમજી

તેથા બોલી શકીએ અને તેને બંને લિપિમાં લકી શકીએ, તે રીતે શીખવી જોઇએ.

અંગ્રેજી ભણવામાં આપણે જેટલાં વરસ બગાડીએ છીએ તેટલા

મહિના પણ આપણે હિંદુસ્તાની શીખવાની તસ્દી ન લઇએ તો સાચે જ આમ જનતા પરના આપણા જે પ્રેમની વાતો આપણે ઠોક્યા કરીએ છીએ તે ઉપરનો હોવો જોઇએ.

૧૩. આર્થિક સમાનતા

રચનાત્મક કાર્યનો આ મુદ્દો અહિંસક પૂર્ણ સ્વરાજની મુખ્ય

ચાવી છે. પૈસાવાળાઓ પોતાનો પૈસો અને તેને લીધે મળતી સત્તા એ બંને આપમેળે રાજીખુશીથી છોડી દઇ સર્વના કલ્યાણને માટે બધાંની સાથે મળીને વાપરવાને તૈયાર નહીં થાય તો હિંસક તેમ જ ખૂનખાર

ક્રાંતિ અહિં થવા વિના રેહવાની નથી એમ ચોક્કસ સમજવું.

રાષ્ટ્રીય મહાસભામાં પૈસાવાળા મહાસભાવાદીઓ પણ છે. આ વિષયમાં પહેલું પગલું ભરીને રસ્તો તેમણે બતાવવાનો છે.

દરેક મહાસભાવાદીએ પોતાની જાતને એ સવાલ કરવાનો છે કે આર્થિક સમાનતા સ્થાપવામાં મેં શું શું કર્યું.

૧૪. કિસાનો

કિસાનો અથવા ખેડૂતોનું સંગઠન કેમ કરવું તેની મારી રીત જેમને જાણવી હોય તેમને ચંપારણની લડતનો અભ્યાસ કરવાથી લાભ

થશે. ચંપારણની હિલચાલ આમસમુદાયની એવી લડત બની હતી જે છેક શરૂથી માંડીને છેવટ સુધી પૂરેપૂરી અહિંસક રહી હતી. તેમાં એકંદરે વીસ લાખથીયે વધારે કિસાનોને સંબંધ હતો. એક સૈકાથી

ચાલતી આવેલી એક ચોક્કસ હાડમારીની ફરિયાદના નિવારણને માટે તે લડત ઉપાડવામાં આવી હતી.એ જ ફરિયાદને દૂર કરવાને પહેલાં કેટલાંયે હિંસક બંડો થયાં હતાં. ખેડૂતોને તદ્દન દબાવી દેવામાં આવ્યા હતા. અહિં અહિંસક ઇલાજ છ મહિનાના ગાળામાં પૂરેપૂરો સફળ

થયો. કોઇ પણ જાતની સીધી રાજકારણી ચળવળ કે રાજકારણના સીધા પ્રચારની મહેનત વગર ચંપારણના ખેડૂતો રાજકારણના બાબતમાં જાગ્યાં. પોતાની ફરિયાદ દૂર કરવામાં અહિંસાએજે કામ કર્યું ેતેની દેખીતી સાબિતી મળવાથી તે બધા રાષ્ટ્રીય મહાસભામાં ખેંચાય.

પાછલી સવિનયભંગની લડતોમાં તેમણે પોતાની તાકાતનો પૂરતો પરચો બતાવ્યો.

આ ઉપરાંત ખેડા, બારડોલી તથા બોરસદમાં ચાલેલી ખેડૂતોની

લડતનો અભ્યાસ કરવાથી પણ વાચકને લાભ થશે.કિસાન સંગઠનમાં સફળતાનીચાવી એ છે કે તેમની પોતાની અને તેમને સમજાતી હોય

તથા કઠતી હોય તેવી ફરિયાદો દૂર કરાવવાના કામ સિવાય બીજા કોઇ

પણ રાજકીય આશયથી તેમના સંગઢનનો દુરુપયોગ ન કરવો.

૧૫. મજૂરો

અમદાવાદના મજૂર મહાજનનો નમૂનો આખા હિંદુસ્તાને અનુસરવા જેવો છે. શુદ્ઘ અહિંસાના પાયા પર તેની યોજના થઇ છે.

પોતાની આજ સુધીની કારકિર્દીમાં પાછા પડવાનો એકે પ્રસંગ તેને આવ્યો નથી. કશીયે હોહા કે ધાંધલ અથવા કશો દેખાવ કર્યા વિના તેની તાકાત ઉત્તરોત્તર વધતી ગઇ છે. તેની પોતાની ઇસ્પિતાલ, મિલમજૂરોનાં છોકરાંઓ માટેની નિશાળો, મોટી ઉંમરના મજૂરોને ભણાવવાના વર્ગો, તેનું પોતાનું છાપખાનું, ને ખાદીભંડાર તે ચલાતે છે. ને મજૂરોને રહેવાને મારે ઘરો તેણે બંધાવ્યા છેે.

અમદાવાદના લગભગ બધા મજૂરો મતપત્રકોમાં નોંધાયેલા છે, અને ચૂંટણીઓમાં અસરકારક ભાગ લે છે. ...મહાજન કદી

મહાસભાના પક્ષાપક્ષીના રાજકારણમાં સંડોવાયેલું નથી. શહેરની સુધરાઇની નીતિ પર તે લોકોની અસર પડે છે, મહાજનને ફાળે સારી પેટે સફળ નીવડેલી હડતાળો છે.ને તે બધી પૂરેપૂરી અહિંસક હતી.

અહીંના મજૂરે ને મિલમાલિકોએ પોતાનો સંબંધ માટે ભાગે રાજીખુશીથી લવાદીને ધોરણે રાખ્યો છે. મારું ચાલે તો હું હિંદુસ્તાનની તમામ મજૂર સંસ્થાઓનું સંચાલન અમદાવાદના મહાજનને ધોરણે કરું.

(એજન, પા. ૩૨)

૧૬. આદિવાસીઓ

આ શબ્દનો અક્ષરશઃ અર્થ દેશના અસલ વતનીઓ થાય છે.

આદિવાસીઓની સેવા પણ રચનાત્મક કાર્યક્રમનું એક અંગ છે. એ વાતનો કોણ ઇનકાર કે આ જાતની બધી કેવળ માનવદયા પ્રેરિત સેવા નથી પણ સંગીન રાષ્ટ્‌સેવા છે અને આપણને પૂર્ણ સ્વરાજના ધ્યેયની વધારે ને વધારે નજદીક લઇ જાય છે.

૧૭. રક્તપિત્તના રોગીઓ

રક્તપિત્તના રોગીઓનાધામ તરીકે હિંદુસ્તાનનો નંબર મધ્ય

આફ્રિકાથી બીજો આવે છે. આપણામાંના સૌથી ચડિયાતા લોકોના જેવા જ આ રોગીઓ આપણા સમાજનું અંગ છે. આ રક્તપિત્તના રોગીઓ જેમની સંભાળ લેવાની સૈથી વધારે જરૂર છે, તેમને જાણી જોઇને તરછોડવામાં આવે છે.

હિંદુસ્તાનમાં જો સાચે જ નવજીવનનો સંચાર થયો હતો, તો

હિંદમાં એક પણ રક્તપિત્તનો રોગી કે એક પણ ભિખારી વણનોંધાયેલો કે સંભાળ વગરનો રહે નહીં.

૧૮. વિદ્યાર્થીઓ

હું જે શોધખોળ ચાલું છું તેમાં જોડાવાને મારી યુનિવર્સિટીમાં દાખલ થવાનું મારું તેમને કાયમનું નોતરું છે. તેમાં દાખલ થવાની શરતો આ રહી :

(૧) વિદ્યાર્થીઓએ પક્ષાપક્ષીના રાજકારણમાં કદી ન પડવું.

(૨) તેમણે રાજકીય હડતાળો ન પાડવી....વિદ્યાર્થીઓ વીરોની પૂજા ભલે કરે, તેમને તરફની પોતાની ભક્તિ પ્રગટ કરવાને તે વીરોના ઉત્તમ અંશોનું તેમણે અનુકરણ કરવું જોઇએ, હડતાળો ન પાડવી જોઇએ....કોઇ પણ હિસાબે જુદો મત ધરાવનારા વિદ્યાર્થીઓકે શાળાકૉલેજના અધિકારીઓ પર તેમણે જબરદસ્તી ન કરવી.

(૩) તેમણે બધાએ સેવાને અર્થે શાસ્ત્રીય રીતે કાંતવું જોઇએ.

કાંતવાનાં પોતાનાં સાધનો ને બીજાં ઓજારો તેઓ હંમેશ સ્વચ્છ, સુઘડ ને સારી સ્થિતિમાં તેમ જ વ્યવસ્થિત રાખે. બની શકે તો પોતાનાં હથિયારો, ઓજારો અથવા સાધનો જાતે જ બનાવવાનું શીખી લે.

અલબત્ત, તેમનું કાંતેલું સૂતર સૌથી ચડિયાતું હશે. કાંતણને લગતા બધા સાહિત્યનો અને તેમાં સમાયેલાં આર્થિક, સામાજિક, નૈતિક અને રાજકીય એ બધાં રહસ્યોનો તે સૌ અભ્યાસ કરે.

(૪) તેઓ પહેરવાઓઢવામાં બધે કેવળ ખાદી વાપરે, અને ગામડાંમાં બનેલી ચીજોને બદલે તેવી પરદેશી કે સંચાની બનેલી કદી ન વાપરે.

(૫) બીજા લોકો પર વંદે માતરમ્‌ ગાવાની કે રાષ્ટ્રધ્વજ રાખવાની જબરદસ્તી તેઓ ન કરે.

(૬) દિલમાં કોમવાદ કે અસ્પૃશ્યતાને પેસવા ન દે. બીજા દર્મોના વિદ્યાર્થીઓ અને હરિજનો પોતાનાં ભાંડુઓ હોય તેમ તેમની સાથે તેઓ સાચી દોસ્તી બાંધે.

(૭) ઇજા પામેલા પોતાના પાડોશીઓની મદદે વિદ્યાર્થીઓ તરત દોડી જાય. આજુબાજુનાં ગામોમાં સફાઇનું તેમ જ ભંગીકામ કરે અને તે ગામોમાં મોટી ઉંમરના સ્ત્રીપુરુષો તેમ જ બાળકોને ભણાવે છે.

(૮) હિંદુસ્તાનીનું આજે જે બેવડું સ્વરૂપ મુકરર થયું છે તે

મુજબ તેની બંને શૈલીઓ ને તેની બંને લિપિઓ સાથે તેઓ રાષ્ટ્રભાષા હિંદુસ્તાની શીખી લે.

(૯) વિદ્યાર્થીઓ જે જે નવું શીખે તે બધું પોતાની

માતૃભાષામાં ઉતારે અને દર અઠવાડીયે આસપાસનાં ગામડાંમાં પોતાનો વારો ફરવા નીકળે ત્યારે ત્યાં બધે લેતા જાય ને પહોંચાડે.

(૧૦) તેઓ કશું છૂપું ન કરે. જ કરે તે છડેચોક કરે. પોતાના એકેએક વહેવારમાં તેમનું વર્તન અણિશુદ્ઘ હોય. પોતાનું જીવન સંયમી ને નિર્મળ રાખે. કોઇ વાતથી ન ડરતાં નિર્ભય રહી પોતાના દૂબળા વિદ્યાર્થીબંધુઓના બચાવમાં તત્પર રહે, અને સરખાણો થાય ત્યારે પોતાના જાનને ભોગે અહિંસક વર્તનથી તેમને શમાવવાને તૈયાર રહે.

(૧૧) પોતાની વિદ્યાર્થી બહેનો સાથે તદ્દન સ્વચ્છ ને સભ્યતાનું વર્તન રાખે. વિદ્યાર્થીઓને મારી એવી સલાહ છે કે પોતાના અભ્યાસના સમયમાંથી એક વર્ષ તેમણે આને માટે ફાજલ પાડવું; હું એમ નથી સૂચવતો કે એકીવખતે અને આખું વરસ તેઓ આપે. અભ્યાસના આખા ગાળા પર તેઓ એ વરસ વહેંચી નાખે ને કટકે કટકે પૂરું કરે. તેમને જાણીને અચરજ થશે કે આ રીતે કાઢેલું એક વર્ષ ફોગટ નથી જતું. એ વખત દરમ્યાન કરેલી મહેનતથી દેશની આઝાદીની લડતમાં સંગીન ફાળો ભરવા ઉપરાંત તેમણે પોતાની માનસિક, નૈતિક તેમ જ શારીરિક શક્તિઓમાં કેટલીયે ઉમેરો કર્યો હશે.

સવિનયભંગનું સ્થાન

સવિનયભંગ ત્રણ જુદાં જુદાં કામ બજાવે છે :

(૧) કોઇક એક સ્થાનિક અન્યાય કે ફરિયાદનું નિવારણ કરવાને સવિનયભંગની લડત પૂરેપૂરી કામ આવે.

(૨) કોઇ એક ચોક્કસ અન્યાય કે ફરિયાદની કે અનિષ્ટની સામે તેને દૂર કરવાની બાબતમાં ખાસ કશી અસર પાડવાનો ઇરાદો રાખ્યા વિના તે અન્યાય કે અનિષ્ટનું સ્થાનિક પ્રજાને ભાન કરાવવાને અથવા તેના દિલ પર અસર કરવાને, કૂરબાની આપવાના આશયથી પણ કાયદાનો સવિનયભંગ થઇ શકે. મારા કાર્યની શી અસર થશે તેની ગણતરી કર્યા વિના, અને લોકો કદાચ કશીયે લાગણી નહીં

બતાવે તે હું બરાબર જાણતો હતો છતાં, ચંપારણમાં મેં કાયદાનો સવિનયભંગ કરેલો, તે આ જાતનો હતો.

(૩) રચનાત્મક કાર્યનો પૂરતો જવાબ ન મળે તો તેની અવેજીમાં ૧૯૪૧ની સાલમાં ઉપાડવામાં આવી હતી તે રીતે સવિનય

કાનૂનભંગની લડત ઉપાડી શકાય. તે લડત આપણી આઝાદીની સળંગ

લડતના ભાગ લેખે અને તેમાં ફાળો ભરવાના ઉદેશથી ઉપાડવામાં આવી હતી. છતાં વાણીસ્વાતંત્ર્યના ચોક્કસ મુદ્દા પૂરતી મર્યાદિત રાખવામાં આવી હતી. સવિનયભંગની લડત કોઇ એક મોઘમ હેતુ

માટે, જેમ કે, પૂર્ણ સ્વરાજને માટે ન થઇ શકે. લડતની માગણી

ચોક્કસ, સામા પક્ષને સ્પષ્ટ સમજાય તેવી, ને તેનાથી પૂરી પાડી શકાય

તેવી હોવી જોઇએ. આ પદ્ઘતિ જો બરાબર અમલમાં મુકાય તો આપણને ઠેઠ આપણા અંતિમ લક્ષ્ય સુધી જરૂર લઇ જાય.

અહીં ગણાયેલા પહેલા બે દાખલાઓમાં મોટા પાયા પરની રચનાત્મક પ્રવૃત્તિની જરૂર નહોતી ને હોય નહીં. પણ પૂર્ણ સ્વરાજની સિદ્ઘિ માટેની સવિનયભંગની લડત આપણી કરોડોની વસ્તીના રચનાકાર્ય માટેના સહકાર વિના કેવળ મોટી મોટી ને ખાલી બડાશોનું રૂપ લે છે ને તદ્દન નકામી બલ્કે નુકસાનકારક છે.

ઉપસંહાર

રચનાત્મક કાર્યક્રમ વિનાની સવિનયભંગની લડત હું લડવા જાઉં તો લકવાથી જૂઠો પડેલો હાથ ચમચો ઉપાડવા જાય તેના જેવું થાય.

પરિશિષ્ટ

પશુસુધારણા

ગોસેવા વિશે રચનાત્મક કાર્યક્રમમાં વધારવાનું લખો છો એ બરોબર લાગે છે.

સંદર્ભગ્રંથો

મહાત્મા ગાંધી : આત્મકથા ૦ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ ૦ સત્ય એ જ ઇશ્વર છે ૦ સંયમ અને સંતતિનિયમન ૦ સત્યાગ્રહાશ્રમનો ઇતિહાસ ૦ સો ટકા સ્વદેશી ૦ ખાદી શા માટે ?

૦ ગામડાંની વહારે ૦ પાયાની કેળવણી ૦ આરોગ્યની ચાવી ૦ શિક્ષણનું માધ્યમ ૦ રાષ્ટ્રભાષા વિશે વિચાર ૦ ગોસેવા

મહાદેવ દેસાઇ : બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ ૦ એક ધર્મયુદ્ઘ

બીજા રસપ્રદ વિકલ્પો