Apramanikta - anarth taraf prayan books and stories free download online pdf in Gujarati

અપ્રમાણિકતા : અનર્થ તરફ પ્રયાણ.

અપ્રમાણિકતા:અનર્થ તરફ પ્રયાણ.
આજનો 21 મી સદી નો યુગ એટલે ફાસ્ટ ગણાતો યુગ, કારણ આજે ખૂબ ઝડપથી પરિવર્તન થઈ રહ્યુ છે. આજે પ્રત્યેક ક્ષેત્ર માં ખૂબ હરીફાઈ જોવા મળે છે. દરેકે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખબર નહિ કંઈ કેટલા સંઘર્ષો માંથી પસાર થવું પડે છે. ઠેકઠેકાણે થી અવાજો સંભળાય છે કે આજનો યુગ જ્ઞાનનો યુગ છે, એના વિના આ યુગ માં ટકવું કઠિન છે.
આજના યુગની બીજી એક વાત જે આપણને બધાને કોઈએ ને કોઈએ ક્યારેક ને ક્યારેક તો કહી જ હશે, અને તે વાત એટલે 'BE PRACTICAL' . પણ PRACTICAL થવું એટલે શું? આ વાત સમજવી જ અઘરી છે. સામાન્ય રીતે જોતા BE PRACTICAL એટલે સારી જ વાત લાગે, પણ હું આને અલગ રીતે જોઉં છું. આપણે ત્રણ ઉદાહરણો દ્વારા જણાવવા નો પ્રયાસ કરું છું.
1) મારા એક સરકારી શાળાના શિક્ષક મિત્ર એક દિવસ મારી પાસે આવ્યા. એમનો ચેહરો ઉદાસ દેખાતો હતો. મેં એમને પૂછ્યું કે આજે કેમ આપનો ચેહરો ઉદાસ દેખાય છે? તેમને જણાવ્યું કે તેઓ એક વિચિત્ર સ્થિતિ માં મુકાય ગયા છે. શું કરવું કાંઈ ખબર નથી પડતી. મેં કહ્યું વિસ્તારથી વાત કરો તો ખબર પડે. તેમને જણાવ્યું કે તેમની શાળામાં પરીક્ષા પૂર્ણ થયા પછી તેમણે બનાવેલ રીઝલ્ટ શાળાના આચાર્યશ્રી ને બતાવ્યું. તેમને જણાવ્યું કે વિદ્યાર્થીઓના માર્કસ તમારા જ વિષયમાં ઓછા છે, તમારે માર્કસ વધારવા પડશે. મારા મિત્ર એ કહ્યું કે વિદ્યાર્થીઓ એ જે પ્રમાણે લખ્યું છે એ પ્રમાણે જ માર્કસ છે, તેથી વધારવાનો પ્રશ્ન જ કઇ રીતે આવે? આ સાંભળીને આચાર્ય શ્રી અને અન્ય એક સ્ટાફ મિત્રનો પ્રતિઉત્તર આશ્ચર્ય પમાડે તેવો હતો. તેમણે કહ્યું કે તમારા એકલા ના કારણે આખી શાળાનું પરિણામ ખરાબ દેખાશે. મને કંઈ સમજાયું નહીં કે મારા લીધે કેમ ખરાબ દેખાશે? પછી કહ્યું કે મોટા ભાગના વિદ્યાર્થીઓને વાંચન લેખન જ નથી આવડતું, તો પછી ગણિત વિજ્ઞાન જેવા વિષયમાં માર્કસ કઈ રીતે આવે? વિદ્યાર્થીઓએ પુરવણીમાં કઈ લખ્યું જ નથી તો માર્કસ કંઈ રીતે આવે? સામેથી જવાબ આવ્યો કે અમે બધું જાણીએ જ છે પણ PRACTICAL બનવું પડે. તમે પણ PRACTICAL બનો.

2) મારા એક અન્ય તલાટી મિત્ર કે જેઓ નવા નવા જ તલાટી તરીકે નિમણૂંક પામ્યા હતા. તેમને એક વાત નક્કી કરી હતી કે હું હરામનો એકપણ રૂપિયો નહીં લઉં. મોટે ભાગે વ્યક્તિ શરૂઆતમાં કોઈ પણ નોકરી શરૂ કરે ત્યારે તે સારાં ઈરાદા સાથે જ શરૂઆત કરે છે.
મારા મિત્ર ના અનુભવની વાત કરું તો તેઓ એકવાર તાલુકામાં મિટિંગમાં ગયા. ત્યાં તેમને એક કવર આપવામાં આવ્યું, તેમાં શું હશે એ તો તમે સમજી જ ગયા હશો. તેમને જણાવવામાં આવ્યું કે તમારા ગામમાં અમુકે ક ગ્રાન્ટ ફારવવામાં આવી છે તેના 8% લેખે તમારો હિસ્સો. મારો મિત્ર અવાક થઈ ગયો.તેને એ પૈસા લેવાની તરત જ ના પાડી દીધી,અને પૈસા ના લીધા. ત્યારબાદ આવું જ બે ત્રણ વાર ફરી બન્યું. ત્યારે પણ તેમણે પૈસા ના જ લીધા. ત્યારે તાલુકા ઓફિસના કલાર્કે મારા મિત્રને જણાવ્યું કે તમે ભલે પૈસા નથી લેતા પણ બીજા અધિકારીઓ તમારા નામે પૈસા વહેંચી લે છે અને રેકોર્ડ માં તમારું જ નામ ચાલે છે,એટલે તમે પણ PRACTICAL બનો અને પૈસા લઈ લો.

3) હવે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં કામ કરતા એક ભાઈ ની વાત કરું. એ પહેલાં બીજી એક વાત જાણી લેજો કે આપણા ગુજરાતમાં ફિક્સ પગારમાં નોકરી કરવાની અને પાંચ વર્ષ પછી જ્યારે રેગ્યુલર માં આવો ત્યારે પૈસા આપ્યા વિના તમારું કામ ન થાય.
હવે પેલા ભાઈ ની વાત કરું તો એમના કોઇ સાહેબ ખાતાકીય કામ માટે એક મહિનાથી જિલ્લા કચેરીએ ધક્કા ખાતા હતાં. જિલ્લા કચેરી પર કોઈ યોગ્ય પ્રતિઉત્તર મળતો ન હતો. તેમના કામ પર કોઈ ધ્યાન આપતું ન હતું. કંટારીને તેમણે મારા મિત્રને તેમની આ તકલીફ વિશે વાત કરી. તેથી એ ભાઈ તેમની સાથે ગયા અને એ દિવસે કામ થઇ ગયું. પેલા સાહેબ ચકિત થઈ ગયા અને પૂછ્યું કે આ કેવી રીતે થયું? ત્યારે પેલા ભાઈ એ કહ્યું કે ખિસ્સા ગરમ કરવા પડે, ત્યારે કામ થાય. આમ રોજ રોજ ધક્કા ના ખાવાના હોય, PRACTICAL બનવું પડે.
ઉપરના ત્રણેય પ્રસંગોમાં PRACTICAL થવાની વાત છે. પણ અહીં જણાશે કે વાસ્તવમાં અહીં અપ્રમાણિકતા ના જ રસ્તે જવાની વાત છે. ધ્યાનપૂર્વક જોઈશું તો જણાશે કે જે લોકો પ્રામાણિકતાથી ચાલે છે, સાચા રસ્તે છે, નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવે છે એવા લોકોને જ સમાજ સલાહ આપશે. કહેશે કે ભાઈ આ બધું આજની દુનિયા માં આ બધું ના ચાલે. આજે તો જીવવું હોય તો PRACTICAL બનવું પડે. ધ્યાનપૂર્વક જોતા જણાશે કે આવા લોકો સમાજ માં કે પોતાના સહકર્મીઓમાં યોગ્ય માન પણ મેળવી શકતા નથી અને હાંસિપાત્ર બને છે.
ખોટા રસ્તે ચાલનારાઓ પોતે તો ખોટું કરતા જ હોય છે, સાથે સાથે બીજાઓને પણ ખોટું કરવા સૂચવે છે. તેઓને મારે એટલું જ કહેવાનું કે અપ્રમાણિકતા નો રસ્તો ચોક્કસ જ અનર્થ તરફ લઈ જશે. ટૂંકાગાર ના ફાયદા જોઈ આપણે ખોટું કરવા તૈયાર તો થય જઈએ છીએ પણ લાંબાગાળે તે વિનાશ ને જ નોંતરસે. જો એકાંત માં જઇ પોતાના આત્મા ને પૂછશો તો જણાશે કે લાંબાગાળે તે વિનાશ નું કારણ બનશે. એના ઘણા બધા ઉદાહરણો તમને ખબર હશે. આપણા વ્યક્તિગત સ્વાર્થ ખાતર ખોટું કરવું કે કરાવવું, પ્રામાણિકતાથી કામ કરનારને સહયોગ આપવાને બદલે તેને અળગો કરવો આ બધું અનર્થ તરફ લઈ જશે, કારણ કે સમય બધી જ નોંધ રાખે છે અને સમય આવ્યે જે તે કર્મનું ફળ મળે જ છે. પછી તે સારું હોય કે ખરાબ. તેથી જ કહું છું સમય છે ચેતી જજો.
વળી તમે કહેશો કે આજના સમય માં તો ખરેખર આ અઘરું જ છે. તો એટલું જાણી લેજો કે ખોટા કામ માં બધા જે રીતે ભેગા થઈ જાય , મનોરંજન માટે જે રીતે ભેગા થાય એ રીતે સારા કામ માટે પણ ભેગા થવાનો પ્રયત્ન કરજો. संघ शक्ति कलोयुगे. નવી શરૂઆત નો પ્રયાસ કરી જુઓ, સારા સંકલ્પને શક્તિ ભગવાન આપે જ છે.

બીજા રસપ્રદ વિકલ્પો