Anyay - 7 books and stories free download online pdf in Gujarati

અન્યાય - 7

અન્યાય

કનુ ભગદેવ

૭ : ખૂની કોણ...?

---વિશાળગઢ...!

---તોપખાના રોડ...!

---લેડી વિલાસરાય રોડની જેમ જ તોપખાના રોડ પર શહેરના શ્રીમંતોના ખૂબસુરત બંગલાઓની હારમાળા હતી.

---રાતનો એક વાગ્યો હતો.

---આવો જ એક રળિયામણો બંગલો---

---બંગલાના ફાટક પર સોનેરી અક્ષરો લખેલી એક નેઈમપ્લેટ જડાયેલી હતી.

---જયવદન ચુનીલાલ પંચાલ!

---શ્રીમતી સરોજ જયવદન પંચાલ!

આજુબાજુના બંગલાઓમાં રહેનારાઓ માનતા હતા કે આ એક આદર્શ દંપત્તિ છે.

તેઓ કોઈને હળતા-મળતા નહીં.

જયવદન વકીલ છે અને તેની હેડ ઓફિસ મંદારગઢમાં છે તથા ત્યાંથી તે મહિનામાં દસ-બાર વખત ઘેર આવે છે, એવું આસપાસમાં રહેનારાઓને જાણવા મળ્યું હતું આમેય શ્રીમંત માણસોને પોતાની આજુબાજુમાં કોણ કોણ રહે છે, એ જાણવાની ફૂરસદ નથી હોતી.

---બંગલાનો શયનખંડ!

---શ્રીમતી સરોજનો અવાજ...!

‘તો આપણી સ્કીમ પર અમલ શરુ થઈ ગયો ખરુંને?’

‘હા...એકને તો પરલોક પહોંચાડી દીધો છે. બાકીનાઓને પણ ધીમે ધીમે એક પછી એક રવાના કરી દઈશ.’ જયવદને કહ્યું.

‘વેરી ગુડ...!’ કહીને સરોજે હળવું હાસ્ય કર્યું.

---કોણ હતા આ સરોજ અને જયવદન?

---તેઓએ કોણે પરલોક પહોંચાડવાની વાત કરી હતી?

નાગપાલ પોતાની ઓફિસમાં રિવોલ્વિંગ ચેર પર બેસીને ધીમે ધીમે પાઈપના કસ ખેંચતો હતો. છેલ્લા અડધા કલાકથી તે આ રીતે પાઈપ ફૂંકતો દિલીપને સમજાવતો રહ્યો.

‘હવે કઈ જગ્યાએ ઝખ મારવા જવાનું છ્હે અંકલ?’ છેવટે દિલીપે કંટાળીને પૂછ્યું.

‘શું વાત છે પુત્તર! બહુ મોડું મોડું પૂછવાનું સૂઝ્યું?’ નાગપાલે મજાકભર્યા અવાજે કહ્યું.

‘અંકલ...તમે કલાકો સુધી લેકચર કરતા રહ્યા ને હું સાંભળતો રહ્યો.’

‘એમ...? તો પછી હવે તું બોલને હું સાંભળું છું. ચાલ, શરુ થઈ જા.’

‘હું શું ધૂળ શરુ થઇ જઉં? અહીં મારા દિમાગની તો કમાન જ ઢીલી થઈ ગઈ છે.’

‘તો તો પછી તું ડોક્ટર મહેતા પાસે ચાલ્યો જા.’

‘કેમ...?’

‘તેઓ તારા દિમાગની કમાન ટાઈટ કરી આપશે. મારું નામ આપજે એટલે ફીમાં પણ ફાયદો થઈ જશે.’ નાગપાલે હસતાં હસતાં કહ્યું.

‘હું એવા અર્થમાં કમાન ઢીલી થઈ ગયાની વાત નથી કરતો.’ દિલીપ મોં મચકોડતાં બોલ્યો, ‘માંડ માંડ આરામથી સીવ્સો વિતતા હતા ત્યાં વળી આ ભૂત-પ્રેતનાં ચક્કર શરૂ થઈ ગયાં. આની પહેલાંના કેસમાં પણ આપણને નમિતાનું ભૂત ભટકાયું હતું. આ ભૂત-પ્રેતોને તો કંઈ ધંધો જ નથી લાગતો? બદલો તેઓ લે અને હેરાન થવાનું આપણા ભાગે આવે! હું તો આ શશીકાંતના કેસ સાથે સંકળાયેલા તમામ માણસોને કહી દેવાનો છું કે તમારે જોઈએ તો સીડી પરથી પડો કે પછી પ્લેનમાંથી...! તમે ચીસો પાડો કે બરડા નાખો. પણ એમાં અમને શા માટે હેરાન કરો છો? સાલ્લાઓ...પોતે ય ક્યાંય જંપતા નથી ને આપણને પણ જંપવા ડેટા નથી! અને તમે દરેક કેસમાં મારું પૂંછડું જ શા માટે ખેંચો છો એ મને નથી સમજાતું. (નમિતા ખૂન-કેસ માટે વાંચો –પડછાયો)

‘ઓહ...તો તું પૂંછડું પણ રાખે છે એમ ને?’

‘પૂંછડું તો ઠીક, શિંગડા પણ છે તમારે જોવા છે?’દિલીપે ધૂંધવાયેલા અવાજે કહ્યું.

‘જરૂર...પણ હમણાં રહેવા દે...પહેલા હું ટિકિટ છપાવી લઉં. આમ કરવાથી એક કાંકરે ત્રણ પંખી મારશે. પહેલું, તારી ખ્યાતિ વધશે...બીજું, લોકોને ક્યારેય ન માણ્યું હોય તેવું મનોરંજન માણવા મળશે અને ત્રીજું, મને પૈસા મળશે,’ નાગપાલ સ્મિત ફરકાવતાં બોલ્યો.

‘અંકલ...’ દિલીપે મોં બગાડતાં કહ્યું, ‘જ્યારે જ્યારે તમે મૂડમાં હો ત્યારે ત્યારે કોણ જાણે કેમ મણે આપઘાત કરવાનું મન થાય છે.’ કહીને એ વાતનો વિષય બદલતાં બોલ્યો, ‘તો શું ખરેખર જ શશીકાંતનું પ્રેત હતું?’

‘કોણ...?’

‘એ જ કે જેનો ઉલ્લેખ મિસ્ટર બિહારીએ કર્યો હતો.’

‘મેં તો કંઈ એના ભૂતને જોયું નથી.’

‘અને બીજાની વાત પર તમને ભરોસો નથી.’ દિલીપનો અવાજ ગંભીર હતો.

‘આ વિશે તું પોતે શું માને છે?’ નાગપાલે એની વાત પ્રત્યે ધ્યાન આપ્યા વગર પૂછયું.

‘કમ સે કમ આ કેસમાં તો કોઈ ભૂત-પ=પ્રેતનું અસ્તિત્વ હોય એવું મને નથી લાગતું.’ દિલીપનો અવાજ મક્કમ હતો.

‘તો પછી બિહારીની વાતો...?’

‘એ તો ખોટી પણ હોઈ શકે છે. શશીકાંતના ખૂનકેસમાં સૌથી પહેલી શંકા આ ત્રણ પર જ જાય તેમ છે એ તો તમે જાણો જ છો! એટલે આ ભૂત-પ્રેતનાં ચક્કરમાં પડીને આપણે અવળે માર્ગે દોરાઈ જઈએ તથા સાચા ખૂની પર આપણું ધ્યાન ન જાય એ કારણસર બિહારીએ જ આ ભૂત-પ્રેતની વાત ઉપજાવી કાઢી હોય એવું મણે લાગે છે! આપણને મદદ કરવાને બદલે અવળે માર્ગે દોરી જતો હોય એવું પણ બની શકે છે.’ દિલીપે કહ્યું.

‘વેરી ગુડ...’ કોઈની વાતોથી ભરમાયા વગર પોતાની સ્વતંત્ર બુધ્ધિથી વિચારીને સાચી હકીકત શોધી કાઢે એણે જ કુશળ જાસૂસ કહેવાય.’ નાગપાલ બોલ્યો.

‘મને તો બિહારીની વાત પર એક પૈસા જેટલો પણ ભરોસો નથી. એ જે શશીકાંતના ભૂતની વાત કરે છે તે તદ્દન પાયા વગરની અને ઉપજાવી કાઢેલી હોય એવું લાગે છે.’

‘લે...આ પણ વાંચી લે...’ કહીને નાગપાલે, અજય પાસેથી મળેલા પત્રો દિલીપના હાથમાં મૂકી દીધા.

દિલીપે બધા પત્રો વાંચી નાખ્યા. પછી પત્ર લખનારની સહી જોઇને તે એકદમ ચમકી ગયો.

એ સહી શશિકાંતની હતી!!!

‘આ પત્રો શશીકાંતે લખ્યા છે?’ દિલીપે આશ્ચર્યથી પૂછયું.

‘લખવાની સ્ટાઇલ અને હેન્ડરાઈટીંગ તો શશીકાંતના જ છે!’ નાગપાલે ગંભીર અવાજે કહ્યું.

‘પણ...પણ...’ દિલીપ સહેજ ખચકાઈને બોલ્યો, ‘આવું કેવી રીતે બની શકે? શશીકાંત તો પંદર-વીસ દિવસ પહેલાં જ મૃત્યુ પામ્યો છે.

‘પુત્તર...!’ નાગપાલે સ્મિત ફરકાવતાં કહ્યું, ‘જો મૃત્યુ પામેલો માણસ સિગારેટ ફૂંકી શકતો હોય તો પત્ર ન લખી શકે?’

‘છતાં ય અંકલ, કોણ જાણે કેમ આ વાત મારે ગળે નથી ઉતરતી!’

‘તારે ગળે ભલે ન ઉતરતી હોય. પણ હું તો એણે ભૂત જ માનું છું.’ નાગપાલ બોલ્યો.

‘આવું તો તમે અગાઉ પણ ઘણી વખત કહી ચૂક્યા છો.’

‘અને ઘણી વાર આવા બનાવોને હું માણસના જ કાવતરા તરીકે પણ ઉઘાડા પાડી ચૂક્યો છું. ખેર, ભૂતપ્રેતની વાતને પડતી મૂકીને આપણે હવે શશીકાંતનું ખૂન કોણે કર્યું હશે એનો વિચાર કરવાનો છે.’

‘આ કેસમાં આપણે નિરાશ થવું પડશે એવું તમને નથી ન્લાગતું અંકલ?’

‘દિલીપ...મારી ડિક્ષનરીમાં નિરાશા નામનો શબ્દ નથી એ તું જાણે જ છે. નિરાશામાં જ આશા છૂપાયેલી છે સમજ્યો?’

‘તમે નિરાશાને ન જોઈ હોય તો કંઈ નહીં પણ મેં જરૂર જોઈ છે. એને ત્રણ આંખો, બે નાક, ચાર શિંગડા અને પૂરા બાર એટલે કે એક ડઝન પગ હોય છે.’ દિલીપે મજાકભર્યા અવાજે કહ્યું.

‘દિલીપ...’ હસવાનું બંધ કરીને એ બોલ્યો, ‘હું એકવાર જે કેસ હાથમાં લઉં છું તેને પૂરો કરીને જ રહું છું. પછી ભલે એ કેસ ગમે તેવો જટિલ અને અટપટો હોય! અને સાચી મજા તો આવા કેસમાં જ આવે છે.’

‘તમારી વાત સાચી છે અંકલ, પણ આ મામલામાં આપણે કંઈ જ કરી શકીએ તેમ નથી. આપણે ગુનેગાર પર હાથ મૂકી શકીએ એવો એક પણ પુરાવો એણે પોતાની પાછળ નથી રાખ્યો.’ દિલીપના અવાજમાં નિરાશા હતી.

‘બનાવના સ્થળેથી એકેય મુદ્દો નથી મળ્યો એમ કોણ કહે છે?’

‘તો શું ત્યાંથી કંઈ મળ્યું છે?’

‘મેં શશીકાંતની બધી ગર્લફ્રેન્ડોને ચેક કરવાનું કામ તને સોંપ્યું હતું એ યાદ છે?’

‘હા...પણ તમે એ કામ શા અંતે મને સોંપ્યું હતું?’

‘એટલા માટે કે જ્યારે શશીકાંતનું ખૂન થયું, ત્યારે તે બંગલામાં એકલો નહોતો. તેની સાથે કોઈક છોકરી જરૂર હતી.’

‘આવું માનવામાટે તમારી પાસે કોઈ પૂરાવો છે ખરો? કે પછી અનુમાનના આધારે જ કહો છો?’

‘પુરાવો છે દિલીપ...! ખૂનીએ ખૂન કર્યા પછી બધા ચિન્હોનો નાશ કરી નાખ્યો હતો. પણ તેm છતાં ય એનાથી ભૂલ થઈ જ ગઈ. શશીકાંતના પલંગ પર પડેલા કાચની બંગડીના બે-ચાર ટૂકડાનો નાશ કરવાનું તે ભૂલી ગયો હતો. વાસ્તવમાં પલંગની ચાદર લાલ રંગની હતી અને બંગડીનો કાચ પણ એ જ રંગનો હતો એટલે તેના પર પડેલા કાચના ટૂકડા કદાચ એને નહીં દેખાયા હોય!’

‘બરાબર છે પણ એથી શું થયું?’

‘થાય શું, તારું માથું? મારે શું તને નાના બાળકની જેમ બધુ સમજાવવું પડશે?’

‘હું ક્યાં કહું છું ક નાના બાળકની જેમ સમજાવો. તમે તમારી વૃદ્ધની જેમ સમજાવોને!’ દિલીપે ભોળાભટક અવાજે કહ્યું.

‘બંગડીના ટૂકડા પરથી હું એવા અનુમાન પર આવ્યો છું કે ખૂનની રાત્રે શશીકાંતની સાથે કોઈક ને કોઈક યુવતી જરૂર હતી. હવે એ યુવતી કોણ, હશે તે તપાસનો વિષય છે.’

‘એ ટૂકડાઓ અગાઉથી જ ત્યાં પડ્યા હોય એ પણ બની શકે છે.’ દિલીપે પોતાનું મંતવ્ય વ્યકત કર્યું.

‘ના દિલીપ! માળી દરરોજ બબ્બે વખત પલંગ પરની ચાદરને ઝાટકીને વ્યવસ્થિત કરે છે એટલે એ ટૂકડાઓ અગાઉથી જ ત્યાં પડ્યા હોવાની તારી વાત ઉડી જાય છે. એ ટૂકડા ખૂનની રાત્રે જ ત્યાં વિખેરાયા હતા એ વાત નક્કી જ છે અને હવે આપણે એ બંગડીના ટૂકડાવાળી છોકરીને શોધવાની છે સમજ્યો?’

‘કેમ...? એની સાથે કોઈનું સગપણ નક્કી કરવું છે કે શું?’

‘તું ગધેડો જ રહ્યો. એ છોકરી પાસેથી, શશીકાંતના ખૂનમાં આગળ વધવા માટે આપણને ઘણી બધી ઉપયોગી વાતો જાણવા મળી શકે તેમ છે એટલી વાત પણ તારા દિમાગમાં નથી ઉતરતી?’

‘ખૂન થયા પહેલાં જ એ શશીકાંતને ત્યાંથી ચાલી ગઈ હોય એવું બને?’

‘બરાબર છે...અને કદાચ એણે શશીકાંતનું ખૂન થતું જ્યું હોય એમ પણ બને કે નહિ?’

‘જો એણે ખૂન થતું જોયું હોય તો પછી પોલીસમાં શા માટે ખબર ન આપી?’

‘બનાવજોગ છે ખૂનીએ કદાચ તેને છોપ રહેવાની ધમકી આપી હોય અથવા તો પછી એ પોતે પણ ખૂની સાથે મળેલી હોય!’

‘આવડા મોટા શહેરમાં એ યુવતીને શોધવાનું કામ અશક્ય જ છે અંકલ!’

‘તું પણ બીમાર ગધેડાની જેમ બે ડગલાં આગળ વધીને અટકી જાય છે. વારુ, તું બહાર જા એટલે હું નિરાંતે મારું કામ કરી શકું, પણ જતાં પહેલાં કબાટમાંથી શશીકાંત મર્ડર કેસની ફાઈલ કાઢીને મને આપતો જજે.’

દિલીપ બબડતો બબડતો ઊભો થયો અને પછી કબાટ ઉઘાડી, તેમાંથી એક ફાઈલ કાઢીને નાગપાલની સામે મૂકી દીધી.

પછી તે બહાર નીકળી ગયો.

એના ગયા પછી નાગપાલ ફાઈલ ઉથલાવવા લાગ્યો.

એ ફાઈલમાં શશીકાંતના ખૂનની વિગતો હતી.

એ વિગતો આ પ્રમાણે હતી.

શશીકાંતનો મૃતદેહ તેના શયનખંડમાંથી ક્ષત-વિક્ષત હાલતમાં મળી આવ્યો.ખૂનીએ બેહદ ભયંકર રીતે ક્રૂરતાપૂર્વક ઠંડે કલેજે એનું ખૂન કર્યું છે, એ મૃતદેહ પરથી જ પ્રાથમિક નજરે સ્પષ્ટ રીતે જોઈ શકાતું હતું.

ખૂનીએ સૌથી પહેલાં શશીકાંતના બરાબર હૃદયના ભાગ પર ગોળી ઝીકી હતી. ત્યારબાદ કોઈક તિક્ષ્ણ હથિયાર વડે એના દેહ પર ઠેકાણેકાણે ઘા કર્યા હતા. એનો ચ્હેરો એસિડ જેવા જલદ અને ભયંકર પ્રવાહીથી સળગાવી નાખવામાં આવ્યો હતો. જેના કારણે એ મૃતદેહને શશીકાંતના મૃતદેહ તરીકે ઓળખવામાં ખૂબ જ તકલીફ પડી હતી.

પરંતુ તેના ત્રણ ભાગીદારો, નંબર એક લકવા જેવા વિચિત્ર રોગથી અપંગ થઈ ગયેલ અજય, નંબર બે અને ત્રણ સંતોષકુમાર તથા બિહારી ઉપરાંત શશીકાંતના બીજાં બે પરિચિતોએ તેને શશીકાંતના મૃતદેહ તરીકે જ ઓળખી બતાવ્યો હતો. પાછળથી એ લોકોના કથનની સચ્ચાઈની ખાતરી નાગપાલે પોતે પણ કરી હતી. પહેલાં તો નાગપાલ એમ જ માનતો હતો કે શશીકાંતે કોઈકનું ખૂન કરીને એના મૃતદેહને પોતાના મૃતદેહ તરીકે કોઈક અજ્ઞાત કારણસર ઠસાવી ડીશો છે, પણ પછી શશીકાંત પોતે જ મૃત્યુ પામ્યો છે અને એ મૃતદેહ તેનો પોતાનો જ છે એ વાતની તેને ખાતરી થઈ ગઈ હતી.

ખૂનની rate એ બંગલામાં શશીકાંત એકલો જ હતો.

(એ રાત્રે શશીકાંતની સાથે કોઈક યુવતી પણ હતી એવી નાગપાલની અંગત માન્યતા હતી.)

આમ તો એ બંગલામાં બે જણ રહેતા હતા, એક તો શશીકાંત અને બીજો બિહારી! બંને પરસ્પર માત્ર ભાગીદાર જ નહીં, સાથે સાથે ખાસ મિત્રો પણ હતા. તેના સિવાય બીજાં બે માણસો બીઝનેસમાં ભાગીદાર હતા. એક અજય અને બીજો સંતોષકુમાર...! અજય અપંગ હતો. ધંધાકીય કામ અંગે એક વાર તે કેનેડા ગયો હતો. ત્યાં કોઈક વિચિત્ર રોગ લાગુ પડવાને કારણે અચાનક તેના પગ તદ્દન સુકાઈ ગયા. ત્યારથી એનું આખું જીવન વ્હીલચેર પર જ મર્યાદિત થઈ ગયું હતું. એ નહોતો ચાલી શકતો.

ખૂનની રાત્રે બિહારી વિશાળગઢમાં હાજર નહોતો. એ કેટલાય દિવસોથી ધંધાકીય કામ અંગે બહારગામ ગયો હતો અને શશીકાંતના ખૂનના સમાચાર તેને તાર દ્વારા જ આપવામાં આવ્યા હતા.

સંતોષકુમાર એ રાત્રે પોતાના એક મિત્રને ત્યાં મધરાત સુધી પાર્ટીમાં હતો. પછી એ મિત્ર અને તેની પત્નીના આગ્રહથી તે થોડી આનાકાની બાદ ત્યાં જ રોકાઈ ગયો હતો.

રાત્રે તેને કોઈ પ્રકારની તકલીફ કે ચીજવસ્તુની જરૂર તો નથી ને એ જાણવા માટે તેનો મિત્ર બે-ત્રણ વખત, તે જે રૂમમાં સૂતો હતો, ત્યાં ગયો હતો. દરેક વખતે સંતોષકુમાર પોતાની રૂમમાં જ હાજર હતો.અને બીજે દિવસે સવારે એણે પોતાના મિત્ર અને તેની પત્ની સાથે ચા પણ પીધી હતી. આમ શંકાની પરિધિમાંથી સંતોષકુમાર તથા બિહારી નીકળી ગયા હતા જ્યારે અજય તો અપંગ હતો.

બિહારી તથા શશીકાંતને નોકરોની માથાકૂટ પસંદ નહોતી એટલે તેમણે માળી અને એક રસોયણ બાઈ સિવાય વધુ નોકરો નહોતા રાખ્યા. રસોયણ બાઈ જ્યારે એ બંને અથવા બેમાંથી એક હાજર હોય ત્યારે સવારે આવતી અને સાંજે જમવાનું બનાવીને ચાલી જતી. એ બંને હાજર જ હોય ત્યારે માળી નજીકની કોઈક હોટલમાં જઈને જમી આવતો હતો. તે બંગલાની પાછળના ભાગમાં આવલા એક ક્વાર્ટરમાં રહેતો હતો. રાત્રે તેનું કંઈ જ કામ નહોતું પડતું એટલે ખૂનની રાતે તેના બંગલામાં આવવાનો કોઈ સવાલ જ ઊભો નહોતો થતો.

ખૂનની રાતે એણે કોઈ પણ જાતનો અવાજ નહોતો સાંભળ્યો.

સવારે રસોયણ બાઈએ આવીને ડોરબેલ વગી હત અને ઘણી વાર સુધી કોઈએ બારણું ન ઉઘાડ્યું એટલે તે ચિંતામાં મૂકાઈ ગઈ હતી. એણે માળીને ઉઠાડ્યો હતો. પછી માળીએ વેન્ટીલેશનમાંથી સ્ટોપર ખોલીને બારણું ઉઘાડ્યું હતું.

સૌ પહેલાં શશીકાંતનો મૃતદેહ એ બંનેએ જ જોયો હતો.

આ ઉપરાંત શશીકાંતના શયનખંડમાં એના પલંગ પરથી લાલ રંગની બંગડીના કાચના ટૂકડા મળી આવ્યા હતા કે જેના પરથી એ સવાલ ઊભો થતો કે ખૂનની રારે શશીકાંતની સાથે કોઈ યુવતી હતી?

જો કોઈ યુવતી નહોતી તો પછી બંગડીના એ ટૂકડા પલંગ ક્પર ક્યાંથી આવ્યા?

બીજો સવાલ એ ઊભો થતો હતો કે કાચના એ ટૂકડા અગાઉથી જ એટલે કે ખૂનની રાત પહેલાંના તો નહોતા ને?

શશીકાંતનો કેસ ખરેખર ગુંચવાડાભર્યો હતો.

આ ખૂન પાછળનો હેતુ પૈસા જ છે એવી નાગપાલ ની માન્યતા હતી.

તરત જ સવાલ ઊભો થાય કે કેવી રીતે?

જવાબ હતો એ લોકોની ભાગીદારીની શરત...! જો કોઈ ભાગીદાર મૃત્યુ પામે તો એના ભાગની તમામ સ્થાવર કે જંગમ મિલકત બાકી બચેલા ત્રણ ભાગીદાર વચ્ચે વહેંચી દેવામાં આવે. ઉપરાંત ચારમાંથી એક ભાગીદાર ઓછો થાય એટલે બાકીના ત્રણેય નફાનું પ્રમાણ પણ વધી જાય!

ચારેય ભાગીદારો, ભાગીદાર હોવાની સાથે સાથે ગાઢ મિત્રો પણ હતા એ વાત આગળ થઈ ચૂકી છે.

હવે સવાલ એ ઊભો થતો હતો કે ભવોભવની દુશ્મનાવટ હોય એ રીતે શશીકાંતના ચહેરાને નિર્દય રીતે વિકૃત કરી, તિક્ષ્ણ હથિયારથી આખા દેહમાં ઠેકઠેકાણે ઘા ઝીંકી, ગોળી છોડીને એનું ખૂન કરનાર કોણ છે? બીજું, એનું ખૂન પૈસાની લાલચ ખાતર જ કરવામાં આવ્યું છે કે બીજાં કોઈ કારણસર?

આ હતો શશીકાંત મર્ડર કેસનો ટૂંક સાર! જેમાં અનેક જગ્યાએ લાલ પેન્સિલથી મોટી મોટી રેખાઓ દોરવામાં આવી હતી.

આ નિશાન નાગપાલે જ દોર્ય હતા. શશીકાંતના ખૂનીને શોધવા માટે અમુક પોઈન્ટ પણ એણે બનાવ્યા હતા. પોઈન્ટ નીચે પ્રમાણે હતા.

(૧)- ઓળખી ન શકાય એવી ક્રૂરતાથી શશીકાંતના મૃતદેહનો ચ્હેરો શા માટે સળગાવી નાંખવામાં આવ્યો હતો?

(૨)- માળી કોઈ જાતનો અવાજ કે બૂમ શા માટે નહોતો સાંભળી શક્યો? ખૂન ગોળી ઝીંકીને જ થયું હતું તો પછી એણે ગોળી છૂટવાનો અવાજ શા માટે નહોતો સાંભળ્યો?

(૩)- ખૂની બંગલામાં કેવી રીતે દાખલ થયો? બંગલાનું ફાટક તથા બારી-બારણાં બંધ હતાં.

(૪)- ખૂનનો હેતુ શો હતો?

(૫)- જે રિવોલ્વરથી ખૂન થયું હતું એ ક્યાં ગઈ?

શશીકાંતનો મૃતદેહ તેના શયનખંડમાંથી મળી આવ્યો હતો. રૂમમાંથી પુરાવા રૂપે બે ચીજો મળી આવી હતી એક તો લાલ રંગની તૂટેલી બંગડીના કાચના ટૂકડા કે જેનો ઉલ્લેખ જરૂરી હોવાથી બીજી વાર કર્યો છે. બીજું, લોહીના ડાઘવાળું ઓશીકું. આમાં બંગડીના ટૂકડા લાલ ચાદર પરથી મળ્યા હતા.

માળીએ કોઈ પ્રકારની ચીસ કે ગોળી છૂટવાનો અવાજ શા માટે નહોતો સાંભળ્યો એ સવાલ ખરેખર રહસ્યમાય અને મુંઝવણ ભર્યો હતો.

પરંતુ ઓશીકા પર પડેલા લોહીના ડાઘે આ સવાલનો જવાબ આપી દીધો હતો.

નાગપાલ જેવા બુધ્ધિશાળી અને કાબેલ જાસૂસને આ બાબતમાં વધુ વિચારવાની જરૂર જ નહોતી.

રિવોલ્વર પર સાઈલેન્સર ફીટ કરવામાં આવ્યું હશે એની તેને પૂરેપૂરી ખાતરી થઈ ગઈ હતી. સાઈલેન્સરફીટ કર્યું હોવાથી ગોળી છૂટવાનો અવાજ થવાની કોઈ શક્યતા જ નહોતી રહેતી.

ઉપરાંત શશીકાંત ચીસ ન પાડી શકે એટલા માટે ખૂનીએ કદાચ ગોળી છોડતાં પહેલાં બળપૂર્વક તેનું મોં ઓશીકાથી દબાવી દીધું હતું.

માળીએ ગોળી છૂટવાનો તથા કોઈ ચીસનો અવાજ શા માટે નહોતો સાંભળ્યો, તેનો જવાબ દીવા જેવો સ્પષ્ટ હતો.

ઉપરાંત એનું ક્વાર્ટર છેક બંગલાના પાછળના ભાગમાં આવેલું હતું.

હવે રહ્યો ખૂનીના અંદર દાખલ થવાનો સવાલ!

તો એની પાસે બંગલાની ડુપ્લીકેટ ચાવીઓ હોય એ બનવાજોગ હતું. ઉપરાંત એ ચોક્કસ જાણતો હોવો જોઈએ કે માળી બંગલાના પાછળના ભાગમાં આવેલા ક્વાર્ટરમાં એકલો જ રહે છે અને તે વગર બોલાવ્યે ક્યારેય રાત્રે બંગલામાં નથી જતો. એટલે જ એણે ખૂબ જ આરામથી નિરાંત જીવે પોતાની તરફ આંગળી ચીંધે એવા પુરાવાઓનો નાશ કર્યો.

જે રિવોલ્વરથી એણે શશીકાંતનું ખૂન કર્યું હતું, એ રિવોલ્વર તે પોતાની સાથે જ લઈ ગયો હતો. મૃતદેહની છાતીમાં થયેલા જખમ પરથી એ ગોળી બત્રીસ કેલીબરની રિવોલ્વરમાંથી છોડવામાં આવી હતી, તે સ્પષ્ટ રીતે પુરવાર થતું હતું.

આ ઉપરાંત બીજા બે સવાલો ખૂબ જ અગત્યના હતા. પણ એનો જવાબ નહોતો મળતો.

પહેલો સવાલ-શશીકાંતના ચહેરાને સળગાવીને વિકૃત શા માટે કરી નાખવામાં આવ્યો હતો?

બીજો સવાલ-આમ કરવા પાછળ ખૂનીનો હેતુ શો હતો?

પુષ્કળ વિચાર્યા પછી પણ આ સવાલોના જવાબ નહોતા સૂઝતા.

બંગડીના ટૂકડાને આધારે નાગપાલે શશિકાંતની બધી સ્ત્રી મિત્રોને ચેક કરાવી હતી. પરંતુ ખૂનની રાત્રે જે યુવતી શશીકાંતની સાથે હતી એનો ક્યાંયથી પત્તો નહોતો લાગ્યો.

એ તદ્દન અપરિચિત જ હોય એમ પણ બનવાજોગ હતું અને અપરિચિત યુવતીને શોધવાનું કામ અશક્ય નહી તો મુશ્કેલ તો જરૂર હતું જ!

અને એને શોધવામાં હજુ સુધી સફળતા નહોતી મળી.

જ્યારે જ્યારે ખૂનની શંકાનો સવાલ ઊભો થતો ત્યારે સૌ પહેલા ત્રણ ચહેરાઓ નાગપાલની આંખો સામે ઊપસી આવતા.

બિહારી, સંતોષકુમાર અને અજય!

શશીકાંતના ખૂનથી આ ત્રણેયને જ વધુ લાભ થતો હતો.

આ બનાવમાં જોકે માળી પર પણ શંકા આવે તેમ હતું, પરંતુ એની પાસે શશીકાંતનું ખૂન કરવાનું કોઈ જ કારણ નહોતું. એના ખૂનથી તેને કોઈ જ લાભ નહોતો થવાનો.

બાકી રહ્યો બિહારી...!

પરંતુ શશીકાંતના ખૂનની રાતે તો તે બહારગામ હતો એટલે એણે ખૂન કર્યું હોવાનો સવાલ જ ઊભો નહોતો થતો.

તો પછી શશીકાંતનું ખૂન કોણે કર્યું.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED