Featured Books
શ્રેણી
શેયર કરો

નસીબના ખેલ: એક સાચી કહાની - ભાગ 3

ચોમાસાની એ રાત ખૂબ જ ભયાનક હોય છે. બહાર ધોધમાર વરસાદ વરસી રહ્યો હોય અને અંદર કાચા છાપરામાંથી પાણી ટપકતું હોય ત્યારે દિલ ધ્રૂજી ઊઠે છે. ઘરમાં ઠેર-ઠેર તપેલાં અને વાસણો ગોઠવવા પડે છે જેથી પાણી આખા ઘરમાં ન ફેલાય, છતાં પથારી પલળી જ જાય છે. એવા સમયે મારા માસૂમ બાળકો દીવાલને અઢેલીને, ઠંડીથી ધ્રૂજતા બેસી રહે છે. તેમની આંખોમાં ઊંઘ નથી હોતી, બસ ભૂખ અને લાચારી સાફ દેખાય છે. બાળકોને ભૂખ્યા અને આ રીતે હેરાન થતા જોઈને મારું કાળજું ચિરાઈ જાય છે. રાત્રે ચોમાસામાં વરસાદનું પાણી પડે ત્યારે મારા છોકરાઓ સૂઈ પણ શકતા નથી. મારી આવી કપરી પરિસ્થિતિમાં પણ કોઈ સાથ આપવા વાળું નથી.સાંજે માંડ માંડ ગમે ત્યાંથી વહેવાર કરીને જે સૂકું-પાકું ભેગું થાય તે ખાઈને દિવસો કાપવા પડે છે. મારો ઘરવાળો આખો દિવસ કાળી મજૂરી કરીને મહિને માંડ ૧૦,૦૦૦ રૂપિયા કમાય છે. પણ આજના જમાનામાં ૧૦,૦૦૦ થી કાંઈ થતું નથી. એમાંય વળી અમે ગરીબ એટલે નાની-મોટી બધી જ વસ્તુ ઘરમાં અમારે જ લાવવાની હોય છે. કહેવા માટે તો અમારે કેટલું મોટું કુટુંબ છે, આખા મોટા કુટુંબમાં અમારો એક જ પરિવાર એવો છે જે ગરીબ છે. છતાં એટલા મોટા કુટુંબમાંથી કોઈને એમ નથી થતું કે લાવો થોડીક મદદ કરીએ. કુટુંબના લોકોને ખબર છે કે આ ગરીબ છે, એટલે અમારો સાથ કોઈ આપતું નથી. જ્યારે પોતાના જ લોહીના સંબંધો ગરીબી જોઈને મોં ફેરવી લે, ત્યારે એકલતા વધુ સાલે છે. કોઈ જ પોતાનું નથી લાગતું.રોઈ રોઈને મારા દિવસો પસાર થાય છે. મને કાંઈ કામ મળતું નથી, હું ખૂબ જ હેરાન છું. "એવું તો હું શું કરું કે મારા છોકરાઓને પણ શાંતિ મળે?" – બસ, આવું વિચારવામાં જ મારા દિવસ અને રાત નીકળી જાય છે. આવી કપરી પરિસ્થિતિમાં જ્યારે કોઈ સાથ આપવા વાળું ન હોય, ત્યારે માણસ સાવ એકલો પડી જાય છે. હવે તો બસ એવી આશા લઈને બેઠી છું કે ભગવાન કાંઈક ચમત્કાર કરે અને મારા આ દુઃખના દિવસોનો અંત આવે. પણ આ બધી તકલીફો વચ્ચે પણ, હું મારા બાળકો માટે અંદરથી તૂટીને પણ રોજ સવારે પાછી ઊભી થાઉં છું. ભલે દુનિયા કે કુટુંબ સાથ ન આપે, ભલે રાત રડવામાં નીકળી જાય, પણ સવાર પડતાં જ બાળકોના મોં જોઈને હિંમત ભેગી કરવી જ પડે છે.મારા મનમાં રોજ એક જ સવાલ થાય છે કે મારી ભૂલ ક્યાં થઈ? મેં કોઈનું શું બગાડ્યું છે કે મારે આટલું ભોગવવું પડે છે? જે સગાં-સંબંધીઓ સમાજમાં મોટા થઈને ફરે છે, તેઓ અમારી આ હાલત જોઈને પણ અજાણ બની જાય છે. ગરીબી માણસને જીવતેજીવ મારી નાખે છે. છતાં, હું હજી પણ હિંમત હારી નથી. મને વિશ્વાસ છે કે ક્યાંક તો ન્યાય હશે, ક્યારેક તો મારા બાળકોના દિવસો પણ બદલાશે. હું માત્ર મારા બાળકો માટે જીવી રહી છું, એમના હસતા ચહેરા જોવા માટે જ આ બધી પીડા સહન કરું છું. ભગવાન મારી પ્રાર્થના સાંભળે અને મને કોઈ કામ અપાવે જેથી હું મારા પગ પર ઊભી રહી શકું અને મારા બાળકોને ભૂખ્યા ન સૂવું પડે. અંદરથી તો મારું દિલ એમ કહે છે કે હે પ્રભુ આવા દિવસો કોઈને ન બતાવે, કારણ કે સહન કરવું એ બધાને બસની વાત નથી, અને હું તો એમ પણ કહીશ કે ભગવાન કુટુંબ આપો તો સારું આપજો  નહીં તો આમ જ બરાબર છે, ભગવાન....