DHYAN VISHV MA VIHAR books and stories free download online pdf in Gujarati

ધ્યાનવિશ્વમાં વિહાર - 3 (લેખાંક 3 - ધ્યાન - ભ્રામક માન્યતાઓ)

ધ્યાન - ભ્રામક માન્યતાઓ (3)
💜💜💜💜💜💜💜💜💜

🌈 લેખ 2/3માં નીચે દર્શાવેલ ભ્રામક માન્યતાઓ અને તેની સામેની હકીકત જાણી.

1) "ધ્યાન એ કોઈ વિશેષ ધર્મ સાથે જોડાયેલી વાત છે."
2) “ધ્યાન તો સાધુ કરે, જો ગૃહસ્થી કરે તો વહેલોમોડો સાધુ થઈ જાય (સંસારમાંથી રસ ઊડી જાય).”
3) “અરે ભાઈ, ધ્યાનના ફાયદા મેળવવા માટે તો વર્ષો વીતી જાય.”
4) "સમયનો વ્યર્થ બગાડ છે."
5) "ધ્યાન એ ભાગેડુ વૃત્તિ છે, શાહમૃગ વૃત્તિ છે, સમસ્યાઓથી ભાગવાનો પ્રયાસ છે."
6) "ધ્યાન મોટી ઉંમરની વ્યક્તિઓએ કરવાની વસ્તુ છે."

🌈 આ સિવાયની અનેક ભ્રામક માન્યતાઓ છે. થોડી તપાસીએ.

❎ 7) "પદ્માસનમાં બેસવું પડે, નીચે બેસવું પડે, ધ્યાનમાં હલનચલન ન કરાય. (મારે તો પગ ઊંચાનીચા કરવા પડે, નહીંતર જકડાય જાય.)" ❎

એમ લાગે છે કે કદાચ મહાત્માઓના ધ્યાન કરતા ફોટો/ચિત્ર જોઈ પદ્માસનનો ખ્યાલ ઉત્પન્ન થતો હશે. આપણે એ કેટેગરીમાં ન પહોંચીયે ત્યાં સુધી જરૂરી નહિ. પદ્માસન આદર્શ પરિસ્થિતિ છે પરંતુ પલાંઠી મારીને બેસી શકાય, કમરમાં દુ:ખતું હોય તો ભીંતને ટેકે બેસી શકાય, પગ દુ:ખતા હોય તો લાંબા કરીને બેસી શકાય, પગ વળતા ન હોય તો ખુરશી પર બેસીને ધ્યાન કરી શકાય, સોફા પર બેસીને પણ થઈ શકે અને સૂતા-સૂતા પણ કરી શકાય. એટલું ખરું કે સૂતા-સૂતા ધ્યાન કરવામાં ઊંઘ આવી જવાની શક્યતા રહે. અમુક પ્રકારના ધ્યાન, જેમ કે એક ચાઇનીસ પદ્ધતિ માઈક્રો-કોસ્મિક ઓર્બીટ નામની છે તેમાં તો ખરેખર સૂતા-સૂતા જ ધ્યાન કરવાનું હોય છે. રહી વાત હલનચલનની. જો ન કરીએ તો ઊર્જાનું ઉર્ધ્વગમન ઝડપી થાય, હલનચલન કરવું જ પડે તો થોડી ઝડપ ઘટે અને એ કારણસર ધ્યાન ન જ કરીએ તો તેના ફાયદા ભૂલી જવાના. બીજો એક સરળ નિયમ એ છે કે ધ્યાન દરમ્યાન આપણે જાતે કંઈ કરવું નહિ અને આપમેળે જે થાય તે થવા દેવું. અનેક લોકોને ધ્યાન દરમ્યાન સ્વયંભૂ યોગાસનો, પ્રાણાયામ અને બીજી અનેક ક્રિયાઓ થવા લાગે છે, તેને રોકવાની હોતી નથી.

❎ 8) “ધ્યાન કંટાળાજનક/બોરિંગ છે” ❎


આવું ત્યાં સુધી જ લાગી શકે કે જ્યાં સુધી ધ્યાનની અનુભૂતિઓ શરૂ ન થાય. થોડો સમય તો રાહ જોવી પડે ને ! ડોક્ટર પાસે જઈએ તો શું 1/2 દિવસમાં જ નક્કી કરી લઈએ છીએ કે આ ડોક્ટર અથવા આ ચિકિત્સા પદ્ધતિ નકામી છે, કંઈ ફેર પડ્યો નહિ. ડોક્ટર કહે 15 દિવસ લાગશે. આપણો જવાબ હોય છે "જી સાહેબ". ધ્યાન પણ શરીર, મન અને આત્મા - દરેકની ચિકિત્સા જ કરે છે ને! એક વખત અનુભૂતિઓ શરુ થાય ત્યાર બાદ તમામ બુદ્ધિ બાજુએ રહી જાય અને મન ચકરાઈ જાય કે આ શું થાય છે. કંઈ ને કંઈ નવું-નવું થયા કરે. શું થાય છે તે અનુભવવાની જિજ્ઞાસા જાગે અને કંટાળો તો ક્યાં ભાગી જાય તે ખબર પણ ન પડે. કોઈ નિયમિત ધ્યાન કરનાર વ્યક્તિને પૂછીએ તો જ ખ્યાલ આવે કે શા માટે કોઈ દિવસ ચૂક્યા વગર તે ધ્યાન કરે જ છે. ધ્યાનકેન્દ્રો પર પણ લોકોને સમય સાચવવા મારંમાર પહોંચતા હંમેશા જોયા છે. 'ધ્યાન' કંટાળાજનક હોય તો આ શક્ય બને ખરું? દરેક વસ્તુ પહેલી વાર કરીએ ત્યારે કંટાળાજનક લાગી શકે, પછી તે ધ્યાન હોય, જિમ હોય, જોગિંગ હોય, મોર્નિંગ વોક હોય કે અન્ય કંઈ પણ.

❎ 9) "ધ્યાન અને ઊંઘ બંને સરખા" ❎

ફક્ત એટલું જ સત્ય છે આ માન્યતામાં કે ધ્યાન અને ઊંઘ બંને દરમ્યાન વિશ્રાંતિ મળે, રિલેક્સ થઈ જવાય અને મેટાબોલિઝમ સંતુલિત થાય/ધીરું પડે અને પરિણામે હૃદયના ધબકારા, બ્લડ પ્રેસર, શ્વાચ્છોશ્વાસ, સ્નાયુઓ પરનું દબાણ વિગેરે પર સકારાત્મક અસર થાય. અહીં સમાનતા પૂરી, તફાવત શરુ. સૌથી મોટો તફાવત એ છે કે ધ્યાનમાં સંપૂર્ણ જાગૃતિ હોય છે, ઊંઘમાં નહિ. ધ્યાનમાં તો કદાચ એવું પણ બને કે વ્યક્તિ ચેતનાના ઉચ્ચ સ્તર એટલે કે Super Consciousness સુધી યાત્રા કરી આવે. ઊંઘ ભૂલવાની સ્થિતિ છે જયારે ધ્યાન તો સચેત જાગૃતિ છે; શાંત અને સંતુલિત. ધ્યાનમાં અનેક માહિતી એવી પણ મળે જે ઊંઘ દરમ્યાન કે જાગૃત અવસ્થામાં ન મળી શકે. ધ્યાન દરમ્યાન ચેતના દુનિયાના કોઈ પણ છેડે જઈ શકે અને કંઈ પણ માહિતી લાવી શકે - અલબત્ત એક આગળના તબક્કામાં. આગળનો તબક્કો ત્યારે જ આવે જયારે કોઈ દિવસ શરૂઆત કરી હોય.

🌈 આજની ચર્ચાને અહીં અટકાવીએ. અહીં એક લિંક મૂકેલી છે. https://www.youtube.com/watch?v=-ar9vsmFhJU&t=21s (Chakra Tune-up with Himalayan Singing Bowls) જેમ મોટરકારના પૈડાનું એલાઇન્મેન્ટ કરવાનું હોય તેમ શરીરનાં 7 ચક્રોનું પણ એલાઇન્મેન્ટ થવું જરૂરી. આ સાઉન્ડની અસરથી તે થઈ શકે તેમ છે. આંખ બંધ કરીને સાંભળવાથી ધ્યાનમાં ઊતરી જવાશે. પ્રયત્ન કરી શકો છો.

(ક્રમશઃ)

✍🏾 જીતેન્દ્ર પટવારી ✍🏾

FB: https://www.facebook.com/jitpatwari
FB Page: https://www.facebook.com/Self-Tune-In-274610603329454/
jitpatwari@rediffmail.com
Cell & W Up: 7984581614

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED