અઢી અક્ષરનો વ્હેમ -ભાગ ૧૫

(37)
  • 4.4k
  • 3
  • 847

વાર્તાના પાછલા એપિસોડમાં નાયિકા પ્રણાલીએ એક બહાદુરીભર્યો નિર્ણય લીધો. એક એચઆઈવી પોઝીટીવ યુવાન સાથે શારીરિક સંસર્ગ કરવાથી આ રોગનો ચેપ પોતાને પણ લાગી ચક્યો હશે તેવી આશંકાથી તે ભાંગી ન પડી..તેણે હિંમત ન ખોઈ. ખુલ્લા મને આ વાત પોતાના માબાપને જણાવી દેવામાં તેણે બિલકુલ સંકોચ ન કર્યો, અને પરિણામસ્વરૂપે તેના પપ્પા ડો.અનિલે તરત જ એક બુદ્ધિશાળી નિર્ણય લીધો. તેમણે પણ પોતાના ખાસ મિત્ર એવા ડો.અનિરુદ્ધ દેસાઈને આ વાત ની:સંકોચ જણાવી દીધી, જેનાથી બધી શંકાઓના વાદળ દુર થઇ ગયા. વાર્તાનાયક અનિકેત એચઆઈવી નેગેટીવ છે, તે વાત કન્ફર્મ થઇ ગઈ અને સાથે સાથે નર્સ સ્ટેલા મેથ્યુ પણ ઉઘાડી પડી ગઈ, અને ડો.મિતુલનો દાવ પણ નિષ્ફળ ગયો. લેખિકા સરલાબેન આ દ્વારા એક સંદેશ મૂકી ગયા, કે ક્યારે પણ આવી અસમંજસભરી મન:સ્થિતિમાં માનવીએ શંકા અને વ્હેમના વમળમાં અટવાયા વગર, આવી પડેલી પરિસ્થિતિનો બહાદુરીપૂર્વક સામનો કરવો જોઈએ. અને તો જ આવી સમસ્યાઓ ઉકેલ કાઢી શકાય. આવો સરસ સંદેશ દેવા ઉપરાંત લેખિકાએ આ વાર્તાને ઝડપથી આગળ વધારી તેને એક નિર્ણાયક વળાંક પર લાવીને મૂકી દીધી, જે ચોક્કસ જ એક પ્રશંસનીય કાર્ય કહેવાય. આવા જ બહાદુરીભર્યા નિર્ણયો અને પગલા હવે વાર્તાના સહનાયક અશ્ફાકે પણ લેવાના છે, અને એટલે જ મારા ખાસ મિત્ર અને સિદ્ધહસ્ત લેખક શ્રી અજય પંચાલને મેં આ કાર્ય સોંપ્યું. આત્મવિશ્વાસ જેનામાં છલોછલ ભર્યો છે અને ઉમર જેને હાથ પણ નથી લગાવી શકી, તેવા શ્રી અજય પંચાલ એક રંગીન મિજાજના મજાના માણસ છે. યુએસએમાં વર્ષોથી સેટલ થવાને કારણે તેમની વિચારસરણી ઘણી જ બેધડક છે. શૃંગારિક લેખનશૈલી તેમની ખાસિયત છે, અને તેમના આ ગુણનો આસ્વાદ આપણે સહુ આ વાર્તાના પાંચમા પ્રકરણમાં માણી જ ચુક્યા છીએ. જી હા, બેડરૂમમાં અનિકેત અને પ્રણાલીની અંગત ક્ષણોને અમુક મર્યાદામાં રહીને પણ તેઓએ ખુબ જ સવિસ્તાર રસદાયક રીતે આપણી સમક્ષ વર્ણવી હતી. આસપાસના વાતાવરણનું, ઘરના રાચરચીલાનું, કે પછી પોશાક અને દેખાવનું આવું જ સુંદર વર્ણન કરવું, આ પણ તેમની એક બીજી ખાસિયત છે. અને આ ખાસિયત આપણે તેમના આ પ્રકરણમાં પણ માણી શકીશું. તદુપરાંત, સરલાબહેને પકડેલી વાર્તાની ઝડપ અને પકડને પણ તેમણે બિલકુલ જ ઢીલી પાડવા નથી દીધી. અનિકેતના ઇન્ટરનેશનલ લેવલ પરના કીડનેપીંગનો જે ઉલ્લેખ વાર્તાના પાછલા પ્રકરણોમાં થયો હતો, તેને અજયભાઈએ અંજામ આપવાનો સરસ પ્રયાસ કર્યો છે, ને સાથે સાથે વાર્તાના સહનાયક અશ્ફાક સામે એક નવો જ પડકાર તેમણે ફેંક્યો છે, જે આ નવયુવાન છોકરો ઝીલી શકશે કે નહીં, તેની ઉત્સુકતામાં તેમણે વાંચકોને લાવીને મૂકી દીધા છે. ખુબ જ રસમય રીતે વાર્તાને આગળ વધારી લેખકશ્રી તેને અંતિમ તબક્કે લઇ આવ્યા છે, જે તેમની લેખનશૈલીની ગજબની કાબેલિયત અને સફળતા ગણાય. તો આવો તમે પણ માણો આ વાર્તાનું એક ખુબ જ રોમાંચક અને રસપ્રદ પ્રકરણ, ભાઈશ્રી અજય પંચાલની કલમે.. શબ્દાવકાશ ટીમ વતી, અશ્વિન મજીઠિયા..