આમ વિરમન્યુ અને શિવમન્યુની વાતનો અંતિમ સૂત્ર પૂર્ણ થવા આવ્યો હતો. તેમની ગાથાના રહસ્યો જાણ્યા પછી હવે સમય પાંચ હજાર વર્ષ પછી એક નવા વળાંક તરફ આગળ વધી રહ્યો હતો. આકાશના અનંત વિસ્તારને ચીરીને સમુદ્રક અને ધરા પવનમહેલની સીમાઓથી ઘણાં દૂર નીકળી ચૂક્યાં હતાં. પવનમહેલની પારદર્શક દિવાલો, જે બહારથી અદૃશ્ય દેખાતી હતી પરંતુ અંદર કેદ થયેલા માટે અભેદ્ય કેદખાનું બની જતી હતી, તે હવે પાછળ રહી ગઈ હતી. સમુદ્રક પોતાના દિવ્ય સામર્થ્યથી ધરાને લઈને આકાશના માર્ગે સોમનાથ તરફ નીચે ઊતરી રહ્યો હતો.નીચે પૃથ્વીનો વિસ્તાર ધીમે ધીમે સ્પષ્ટ થતો જતો હતો.વિશાળ સમુદ્ર, દૂર સુધી ફેલાયેલાં વનો, નદીઓની ચમકતી રેખાઓ અને ક્ષિતિજ પર