નારદ પુરાણ - ભાગ 43

સૂત બોલ્યા, “દેવર્ષિ નારદ આ વાત સાંભળીને શુકદેવજીના પ્રસ્થાન વિષે ફરી તે મુનિ સનંદનને પૂછવા લાગ્યા.”         નારદ બોલ્યા, “હે ભગવન, આપે અત્યંત કરુણાથી સર્વ કંઈ કહ્યું અને તે સાંભળીને મારું મન શાંતિ પામ્યું. હે મહામુને, મને મોક્ષશાસ્ત્ર વિષે ફરીથી કહો; કારણ કે કૃષ્ણના અનંત ગુણો સાંભળીને મારી તૃષા પૂર્ણ થતી નથી. સંસારમાંથી મુક્ત થઈને મોક્ષશાસ્ત્રમાં મગ્ન થયેલા ક્યાં નિવાસ કરે છે? મારા મનમાં ઊભો થયેલો સંશય દૂર કરો.”         સનંદન બોલ્યા, “હે દેવર્ષે, કૈલાસ પર્વત પર ગયા પછી, સૂર્યોદય થતાં વિદ્વાન શુકદેવજી હાથ પગ ઉચિત રીતે ગોઠવી વિનમ્ર ભાવથી પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેઠા અને યોગમાં નિમગ્ન થયા.