ઉમંગ ધોરણ ૫ માં અને સ્નેહા ધોરણ ૩ માં મોરબીની ભારતી વિદ્યાલયમાં ભણતા હતા. ઉમંગનું તો બહારના શિક્ષક પાસે ટ્યુશન રાખવામાં આવ્યું હતું. પણ સ્નેહાનું કોઈ ટ્યુશન રાખવામાં આવ્યું નહોતું. તેણે મમ્મીને આ બાબતે પૂછ્યું તો કહ્યું કે જયારે તું ૫ માં ધોરણમાં આવશે ત્યારે તારૂં પણ ટ્યુશન રાખીશું. પણ સ્નેહાને ખબર હતી કે મમ્મી જુઠું બોલે છે, કારણ કે ઉમંગ જયારે ત્રીજા ધોરણમાં હતો ત્યારે પણ તેનું ટ્યુશન તો ચાલુ જ હતું. વળી તેને તો નાની ઉમરમાં મમ્મીને રસોઈમાં પણ મદદ કરવાની, અને તે અને ઉમંગ પરિક્ષા માટે વાંચતા હોય અને ભાઈને તરસ લાગે તો પાણી આપવા પોતાને જ ઉભું થવું પડતું, ત્યારે તેને લાગી આવતું.