૯૧૬૬ અપ: ગુજરાતી હોવાની શરમ - 14

(66)
  • 8.3k
  • 8
  • 3.5k

તા. ૧૧મી માર્ચ ૨૦૦૭ નો દિવસ હતો. મેં લગભગ દસ મહિના પહેલા પુસ્તક લખવાનું બંધ કર્યું હતું, કારણકે મારે કયાંક તો અટકવાનું જ હતું. લખવાનું બંધ કર્યા પછી પણ કંઈક ને કંઈક એવી ઘટનાઓ બનતી રહેતી હતી કે જેને મારે મારા પુસ્તકમાં સમાવી લેવી જોઈએ તેવું મને લાગતું હતું. જેમાં નરોડા પાટિયાના અસરગ્રસ્ત બાળકોની વાત હતી. આ બાળકોને મહારાષ્ટ્રના રાયગઢ ની એક શાળાને દત્તક લીધા હતા. જેમાંથી કેટલાક બાળકો અમદાવાદ પાછા ફર્યા હતા. આમ તો ઘટના સામાન્ય હતી પણ આ સ્ટોરી છપાયા પછી મને એક ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાનો પરિચય દારા મોદી તરીકે આપ્યો હતો. જોકે તરત મને ઝબકારો થયો નહીં કે કોણ છે આ દારા મોદી પરંતુ તેમણે પોતાનો પરિચય આપતા કહ્યું, મારા ગુમ થયેલા પુત્ર અઝહર ઉપર પરઝાનિયા ફિલ્મ બની છે. તે પોતાનું વાક્ય પૂરું કરે તે પહેલાં મને મારી જાત પર શરમ આવી હતી.