તે પછી મોટા શેઠ, નાના ભાઈની વહુએ લાજ કાઢીને પીરસેલી ગરમાગરમ રોટલીઓ જમી કરીને દાંત ખોતરતા ખોતરતા અને ઓડકાર ખાતા ખાતા બોલતા હતા કે “તમારેય વઢવું પડ્યું ના એ બેવકૂફને! માળો પલીત છે, પલીત! પડખે એવડો ભાઈ ઊભો હોય તો કેવું જોર રહે કાંડામાં પણ આ પલીતની અક્કલનો કાંઈ વિશ્વાસ રખાય છે?” એવું બોલતા બોલતા જેઠજી દીવાનખાનામાં પગ મૂકે ત્યાં તો ‘સાહેબજી!’ એવું સંબોધન કાને પડતાં ચમકી ઊઠ્યા. બાજુએ જોયું તો વિજયચંદ્રનું નખશિખ ઠાવકું, ફૂટડું, સ્વચ્છ, સ્ફૂર્તિમય, એક લટ અસ્તવ્યસ્ત નહીં, એવું રૂપ નિહાળ્યું.