શાશ્વતની સફર – દિવ્યેશ ત્રિવેદી Smita Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શાશ્વતની સફર – દિવ્યેશ ત્રિવેદી

ટ્રેનને ઉપડવાની હજુ ખાસ્સી એક કલાકની વાર હતી. પરંતુ સ્ટેશન પર જાણે મેળો જામ્યો હતો. સૌથી વધુ ભીડ સૈનિકો માટેના ખાસ કમ્પાર્ટમેન્ટ પાસે હતી. કારગીલના મોરચે લડાઈમાં જઈ રહેલા સૈનિકોને વિદાય આપવા એમના સગા-સંબંધીઓ અને મિત્રો ઉમટી પડ્યા હતા. કોઈક સૈનિકોને હાર પહેરાવતું હતું, કોઈક તિલક કરતું હતું, કોઈક નાળિયેર આપતું હતું તો વળી કોઈ વારંવાર આંસુ લૂછતું હતું. બે-ત્રણ જણા તો ડૂસકે ચડી ગયા હતા. ટ્રેનના બીજા મુસાફરો પણ આ બધું જોવા વારંવાર ટોળે વળતા હતા. શાશ્વત બહાર આવીને ટ્રેનના દરવાજાનો સળિયો પકડીને ઊભો હતો. નંદિતા એની પાસે ઊભી હતી. નંદિતા પોતાની ગંભીરતા અને મનમાં ખળભળી રહેલા ઉચાટને છુપાવવા મથતી હતી. શાશ્વતને એ દેખાતું હતું. છતાં એ પણ હળવાશ જાળવી રાખવાનો પ્રયત્ન કરતો હતો. થોડી વાર એમ જ મૌન લટકતું રહ્યું. ધીમે રહીને શાશ્વતે નંદિતાના ખભે હાથ મૂકીને કહ્યું, “મમ્મા, આઈ એમ રિયલ્લી પ્રાઉડ ઓફ યુ!” પછી સહેજ સ્વસ્થ થઈને બોલ્યો, “આ તો કંઈ રડવાનો સમય છે? તારી સ્વસ્થતાથી મને કેટલી બધી હિંમત મળે છે એની તને ખબર છે? અને હા…. હું પાછો આવું ત્યાં સુધી તારે બિલકુલ ઉદાસ થવાનું નહીં. આઈ વિલ કમ બેક સૂન, હોપફુલ્લી વીથ એ વેરી ગુડ ન્યૂઝ …” નંદિતાએ અંદરને અંદર આંસુનો એક ઘૂંટડો પી લીધો. શાશ્વત કયા ‘ગુડ ન્યૂઝ’ની વાત કરતો હતો એની એને ખબર હતી.

નંદિતા પૂરાં ૨૭ વર્ષથી એ ‘ગુડ ન્યૂઝ’ની રાહ જોતી હતી. એનું મન કહેતું હતું કે આજે નહીં તો કાલે, એ ‘ગુડ ન્યૂઝ’ આવશે જ, એણે એથી જ પોતાનું હૈયું સાબૂત રાખ્યું હતું અને ભક્તિભાવ સાથે શાશ્વતને ઉછેર્યો હતો. ઘડીક વાર માટે એ ભૂતકાળમાં ખોવાઈ ગઈ. એણે સહેજ આંખ ઊંચી કરીને શાશ્વત તરફ જોયું. શાશ્વતના ચહેરા પર એને એવી જ પ્રચંડ ખુમારી, ઉછળતો આત્મવિશ્વાસ અને પ્રેમાળ સ્મિત દેખાયાં જે મલ્હારને વિદાય કરતી વખતે એના કાળજા પર કોતરાઈ ગયાં હતાં.

એ વખતે હજુ મલ્હાર સાથે લગ્ન થયાને માંડ છ મહિના થયા હતા. બન્ને કોલેજમાં સાથે ભણતાં હતાં ત્યારથી જ પ્રેમમાં પડ્યાં હતાં. પહેલી વાર મલ્હારે જ્યારે નંદિતાને પોતાનો લશ્કરમાં જોડાવાનો વિચાર જણાવ્યો ત્યારે નંદિતા મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી. પરંતુ નંદિતાના પિતા મેજર અનિરુદ્ધસિંહે નંદિતા માટે મલ્હારને કદાચ એ જ કારણે પસંદ કર્યો હતો કે, એ લશ્કરમાં જોડાવા માંગતો હતો. પોતાનો જમાઈ પણ લશ્કરી સંસ્કૃતિનો ચાહક હોય એ વાત એમના માટે ગૌરવની હતી. અનિરુદ્ધસિંહનો આગ્રહ હતો કે, લશ્કર સાથે જેણે જીવન-મરણનો સંબંધ રાખવો હોય એણે ભવિષ્યના લાંબા લાંબા આયોજનોમાં અટવાવું જોઈએ નહીં. તેઓ હંમેશાં કહેતા કે, લશ્કરી આદમી માટે તો આ ક્ષણ જ એનું જીવન છે. એક સાધુ-સંત અને બીજો લશ્કરી અફસર એ બે સદા વર્તમાનમાં જ જીવે છે. એ જ કારણે એમણે મલ્હાર અને નંદિતાનાં વહેલી તકે લગ્ન આટોપી લેવાનો આગ્રહ કર્યો. લગ્નને માંડ છ મહિના થયા હશે ત્યાં તો ભારત – પાકિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાઈ ગયું. મલ્હારને મોરચા પર જવાનું થયું. નંદિતાને મલ્હારથી છૂટા પડવું ગમતું નહોતું. એના પેટમાં બાળક હતું અને એ બાળકનું આગમન થાય ત્યારે મલ્હાર એની પાસે જ ઊભો હોય એવું એ ઈચ્છતી હતી. છતાં બીજી બાજુ પિતાના લશ્કરી સંસ્કાર હતા. એથી જ એણે રડતી આંખે મલ્હારને વિદાય આપી હતી.

વિદાય થતી વખતે મલ્હારના ચહેરા પર એણે ખુમારી, આત્મવિશ્વાસ અને પ્રેમાળ સ્મિત જોયું અને જાણે એના હૈયામાં મલ્હારની એ છબી કોતરાઈ ગઈ. જતાં જતાં મલ્હારે કહેલા શબ્દો હજુ આજે ય એવા ને એવા જ તાજાં રહીને પડાઘાતાં હતાં. મલ્હારે એના બન્ને ખભે હાથ મૂકીને એની આંખમાં આંખ પરોવતાં કહ્યું હતું, “સોલ્જરની પત્નીની આંખમાં આંસુ ન હોય! તારે તો ખુશ થવું જોઈએ કે, તું એક બહાદુર બાપની દીકરી છે અને બહાદુર પતિની પત્ની છે…. અને હા, મોરચા પર તો મારું શરીર જાય છે. મારી ધડકન, મારા શ્વાસ અને …. અને આ મારા આવનાર મેજર જનરલને હું તારી પાસે મૂકીને જાઉં છું.’’ પછી નંદિતાના પેટ પર માથું મૂકીને એણે પોતાના આવનાર બાળકને કહ્યું, “એ ભાઈ, બહુ ઉતાવળો ન થતો. હું આવું ત્યાં સુધી રાહ જોજે.” અને નંદિતા રડતાં રડતાં પણ હસી પડી હતી.

અચાનક કોઈનો ધક્કો વાગ્યો અને નંદિતા આકાશમાંથી બોમ્બ પડે એમ પ્લેટફોર્મ પર પાછી આવી ગઈ. શાશ્વત એને એકીટશે જોઈ રહ્યો હતો. નંદિતાએ સ્વસ્થતા જાળવતાં કહ્યું, “આમ તું મને શું જોયા કરે છે?” શાશ્વતે ઊંડો શ્વાસ લઈને કહ્યું, “મમ્મી, હું વિચારું છું કે પપ્પા કેટલા નસીબદાર હશે? તારા જેવી પ્રેમાળ અને સુંદર પત્ની …. આવી કોઈ છોકરી દેખાતી નથી એટલે જ હું પરણવાની ના પાડું છું અને તું મને પરણવાનો આગ્રહ કરે છે!”

“શાશ્વત, તારા પપ્પા નસીબદાર હતા નહીં, છે જ અને તું પરણીશ નહીં તો નહીં ચાલે. આ વખતે હવે હું કંઈ જ સાંભળવાની નથી….” નંદિતાએ કૃત્રિમ ગુસ્સો દર્શાવતાં કહ્યું.

“ઓ કે મમ્મી, ડન ! પણ મારી બે શરત છે!”

“શેની શરત છે? હવે મારે કોઈ શરત જોઈતી નથી. બસ, અહીં વાત પૂરી થાય છે!”

“પણ મમ્મી, સાંભળ તો ખરી. તારા જેવી જ છોકરી શોધી આપ તો હું તરત હા પાડીશ” શાશ્વતે આંખો મિચકારતાં કહ્યું પછી સહેજ ગંભીર થઈને બોલ્યો, “મમ્મા, તું તો જાણે જ છે કે, મારી લાઈફનું મિશન કંઈક જુદું જ છે. કોઈ એવું ન ઈચ્છે કે યુદ્ધ થાય અને મોરચા પર જવાની તક મળે. પરંતુ હું તો લશ્કરમાં જોડાયો ત્યારથી યુદ્ધ થાય અને મને મોરચા પર જવાની તક મળે તથા હું ગમે તેમ કારણે દુશ્મનના દેશમાં પહોંચી જાઉં એવી હું સતત પ્રાર્થના કરતો રહ્યો છું. આ વખતે હજુ યુદ્ધ થયું નથી, પણ યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે એય મારા માટે તો….” શાશ્વત આગળ બોલ્યો નહીં.

નંદિતા પણ ચૂપ રહી. એને લાગ્યું કે એની આંખોના બંધ હવે તૂટી જશે. છતાં એણે ખૂબ બળપૂર્વક આંસુ રોકી લીધાં. એની આંખો લાલ થઈ ગઈ અને ચહેરાનો રંગ પણ બદલાઈ ગયો અને કદાચ એ જ વાતનો સંતોષ અને સધિયારો હતો કે એ પોતે જે માનતી હતી એ જ શાશ્વત પણ માનતો હતો. બીજું કોઈ એની વાત સાથે સંમત નહોતું. ફરી પાછી એ છેક ૧૯૭૧ના ભૂતકાળમાં સરકી ગઈ. ભલે એ વાતને સત્તાવીસ વર્ષ થઈ ગયા. છતાં એને એ હજુ એટલી જ તાજી લાગતી હતી. મોરચા પર ગયા પછી મલ્હારના બે-ત્રણ સંદેશા આવ્યા હતાં. યુદ્ધ પૂરું થઈ ગયું અને બાંગલાદેશ આઝાદ થઈ ગયો ત્યારે કોલોનીમાં ફટાકડા ફૂટ્યા હતાં અને મીઠાઈ વહેંચાઈ હતી. એ ક્ષણથી જ નંદિતા બાલ્કનીમાં બેઠી બેઠી મલ્હારના પાછા આવવાની રાહ જોઈને બેસી રહેતી હતી. યુદ્ધ પૂરું થયાને ત્રણ દિવસ થઈ ગયા છતાં મલ્હાર આવ્યો નહીં. ચોથે દિવસે મલ્હારનો પત્ર આવ્યો. એ પત્રમાં એણે લખ્યું હતું કે, યુદ્ધ ક્યારે પૂરું થાય એ કહેવાય નહીં. પરંતુ આજની રાત અમારા માટે ખૂબ મહત્ત્વની છે. એ વિષે પત્રમાં કશું લખાય નહીં. એ બધું હું ત્યાં આવીશ ત્યારે તને રૂબરૂમાં કહીશ. એવી પણ એક વાત છે કે બે-ત્રણ દિવસમાં જ કદાચ યુદ્ધનો ફેંસલો આવી જશે. જો એવું થાય તો અઠવાડિયામાં જ હું ત્યાં આવી જઈશ. બિલકુલ ચિંતા ન કરીશ. પપ્પાના શબ્દો મને યાદ છે અને તું પણ યાદ રાખજે કે જીવવાના બે જ માર્ગ છે. એક નિર્ભય બનીને જીવવાનો અને એક ડરી જઈને મરવાનો અને મારે ખાસ તો તને એ કહેવાનું કે દુશ્મનો પાસે ગમે એટલી બુલેટો, બોમ્બ કે તોપગોળા ભલે હોય, પરંતુ મારા માટે એમની પાસે કોઈ જ હથિયાર હોય એમ હું માનતો નથી. મારા નાનકડા મેજર જનરલની કાળજી રાખજે અને એને મારી રાહ જોવાનું કહેજે. સદા તારા પર વરસતો રહેતો તારો જ મલ્હાર.”

બીજા ત્રણ ચાર દિવસ થઈ ગયા. પરંતુ મલ્હારના કોઈ જ સમાચાર ન આવ્યા. હવે નંદિતાની ચિંતા વધી ગઈ. હવે એને છેલ્લા દિવસો જતા હતા. એટલે બહાર નીકળવાનું મુશ્કેલ હતું. બીજી બાજુ અનિરુદ્ધસિંહ કોઈની મદદ વિના વ્હીલચેરમાંથી ઊભા થઈને આર્મી હેડકવાર્ટર સુધી જઈ શકે એમ નહોતા. ફોન પર એટલા જ સમાચાર મળતા હતા કે મલ્હારના કંઈ જ સમાચાર નથી. સમાચાર મળશે એટલે અમે જાણ કરીશું.

બીજે દિવસે અનિરુદ્ધસિંહની સાથે જ ૧૯૬૨ના ચીન સામેના યુદ્ધમાં લદ્દાખમાં મોરચો સંભાળનાર બ્રિગેડિયર કેલકર અનિરુદ્ધસિંહને મળવા આવ્યા. બન્નેએ ૧૯૬૨ના યુદ્ધનાં સંસ્મરણો તાજાં કર્યા અને ખૂબ વાતો કરી. કેલકરે અનિરુદ્ધસિંહને બહાદુરીની ભારોભાર પ્રશંસા કરી. એકલે હાથે દુશ્મનોનો સામનો કરીને અનિરુદ્ધસિંહે સાથીઓને પાછા વાળ્યા હતા અને પગમાં ચાર ગોળી વાગી હોવા છતાં અનિરુદ્ધસિંહ ત્રણ-ચાર દિવસ એક ખાડામાં બેભાન જેવી અવસ્થામાં પડી રહ્યા એ પછી ભારતીય લશ્કરે એમને શોધી કાઢ્યા એ બધી જ વાતોને આ જૂના દોસ્તોએ સહેજ પણ પીડાનો અહેસાસ કર્યા વિના આનંદથી યાદ કરી. એમની વાતો સાંભળીને એ વખતે નંદિતાને પણ જાણે કોઈક આશ્વાસન મળ્યું હતું. બ્રિગેડિયર કેલકરને જતી વખતે અનિરુદ્ધસિંહે મલ્હાર અંગે આર્મી હેડકવાર્ટરમાં ખબર રાખવાની વિનંતી કરી. બે દિવસ પછી કેલકરે આવીને અનિરુદ્ધસિંહને કહ્યું કે, ગયેલાઓમાં મલ્હારનું નામ નથી અને પાકિસ્તાનથી મળેલી યુદ્ધકેદીઓની યાદીમાં પણ નામ નથી. એટલે હેડક્વાર્ટરે એનું નામ ‘મિસિંગ’ની યાદીમાં મૂક્યું છે. અનિરુદ્ધસિંહે એક લશ્કરી અફસર તરીકે ‘મિસિંગ’નો સંભવિત અર્થ જાણતા હતા. પરંતુ આ તો એકની એક વહાલસોયી દીકરીના સુહાગની વાત હતી. એટલે એમણે એમ કહીને આશ્વાસન લીધું કે, કદાચ મલ્હાર દુશ્મનના હાથમાં આવી ગયો હોય અને એણે પોતાની ઓળખ ન આપી હોય એવું બને. પરંતુ થોડા સમયમાં યુદ્ધ કેદીઓનું આદાન-પ્રદાન થશે એટલે મલ્હાર પણ આવી જશે.

નંદિતાને એ આશ્વાસન ગમતું હતું. પરંતુ સ્ત્રી સહજ દહેશતનો કીડો વારે વારે ચટકા મારી જતો હતો. એ બેબાકળી બની જતી હતી. અનિરુદ્ધસિંહે નંદિતાની મનોદશાથી વ્યથિત હતા. એથી જ એને સતત આશ્વાસન આપતા હતા અને એના વિશ્વાસને ટકાવી રાખવાનો પ્રયત્ન કરતા હતા.

ત્રણ-ચાર દિવસ પછી એક રાત્રે અનિરુદ્ધસિંહને સુવાડીને નંદિતા પોતાના રૂમમાં સૂવા ગઈ. પરંતુ એને ઊંઘ ના આવી. પેટમાં સાધારણ દુઃખાવો થતો હોય એવું લાગ્યું. બારેક વાગ્યા સુધી તો એ પડી રહી. પછી એ ધીમે રહીને અનિરુદ્ધસિંહના કમરામાં જોવા ગઈ. એને એમ હતું કે પપ્પા જાગતા હોય તો થોડીવાર એમની પાસે બેસું. એણે જોયું તો અનિરુદ્ધસિંહ જેવો ભડ આદમી તકિયામાં મોં દબાવીને રડતો હતો. એણે પિતાના માથા પર હાથ મૂકીને કહ્યું, “પપ્પા? આ શું?”

અનિરુદ્ધસિંહે એકદમ સ્વસ્થ થઈ જવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું, “બેટા, મને તારી જ ચિંતા થાય છે!”

“મારી શા માટે ચિંતા કરો છે? તમે છો, મલ્હાર છે. એ હવે આવવો જ જોઈએ.”

અનિરુદ્ધસિંહને નંદિતાની શ્રદ્ધા પર આઘાત થઈ જવાનો ડર લાગ્યો. નંદિતાએ પિતાના માથા પર હાથ ફેરવતાં ફેરવતાં કહ્યું, “પપ્પા, ૧૯૬૨માં તમે લદ્દાખ મોરચે ગયા ત્યારે હું માંડ અગિયાર વર્ષની હતી. ચાર-પાંચ દિવસ તમારા કોઈ જ સમાચાર ન આવ્યા અને તમે જીવતા હશો કે નહીં એવી બધાં શંકા કરતાં હતાં ત્યારે મને યાદ છે કે મમ્મી એવું કહેનારને ધમકાવી નાખીને કહેતી હતી, “એમને કંઈ જ થવાનું નથી. એ ચોક્કસ પાછા આવશે.” મારું મન મને કહે એ ખોટું હોય જ નહીં ને! આજે તમે ખરેખર પાછા આવ્યા. હું તો કહું છું કે મમ્મીની એ શ્રદ્ધા જ તમને પાછા લાવી. હું એની જ દીકરી છું. હું મરતાં સુધી શ્રદ્ધા ગુમાવીશ નહીં. આટલું બોલતાં બોલતાં એ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. અનિરુદ્ધસિંહે એને શાંત રાખી.

દિવસો પર દિવસો વીતતા ગયા. ભારત-પાકિસ્તાન વચ્ચે સંધિ પણ થઈ અને યુદ્ધકેદીઓના વિનિમયની પ્રક્રિયા પણ પૂરી થઈ ગઈ. પરંતુ મલ્હાર અંગે કોઈ જ સમાચાર આવ્યા નહીં. દરમ્યાન મલ્હારના મેજર-જનરલ પણ લાંબી રાહ જોઈ શક્યા નહીં. નંદિતાનું ધ્યાન બે બાજુ વહેંચાઈ ગયું. એક બાજુ શાશ્વતનો ઉછેર અને બીજી બાજુ મલ્હારનો શાશ્વત ઇંતેજાર.

એ ઘણી વાર એકલી એકલી વિચારતી. શાશ્વતને જોશે ત્યારે મલ્હાર કેવો ખુશ થઈ જશે! મલ્હારની ઈચ્છા શાશ્વતને પણ લશ્કરી અફસર બનાવવાની જ હતી. એ જોશે ત્યારે …. પણ ક્યારે? એની પાસે ચોક્કસ જવાબ નહોતો. છતાં ‘ક્યારેક જોશે’ એવો જવાબ તો હતો જ. અનિરુદ્ધસિંહે કદાચ હવે આશા મૂકી દીધી હતી. નંદિતા કરતાં પણ એમની શ્રદ્ધા કાચી પડી ગઈ હતી અને એનો એમને તીવ્ર આઘાત લાગ્યો હતો. એ આઘાતમાં જ નંદિતા અને શાશ્વતને એકલો મૂકીને તેઓ અજાણ્યા મોરચે પ્રયાણ કરી ગયા. નંદિતાની શ્રદ્ધાને હવે શાશ્વતનો ટેકો હતો. શાશ્વતે સરહદી વિસ્તારોમાં જઈને ઘણી તપાસ કરી હતી. હવે એને એક જ ખેવના હતી કે યુદ્ધ થાય અને દુશ્મનના પ્રદેશમાં ઘૂસી જઈ શકાય અથવા યુદ્ધ કેદી તરીકે પકડાઈને પહોંચી જવાય તો પપ્પાજીની ભાળ મળે કદાચ. એણે નંદિતાને વારંવાર કહ્યું હતું કે, મારા પિતાને શોધી કાઢવા એ મારા જીવનનું એક મિશન છે.

શાશ્વતે જ્યારે નંદિતાને આમ ખોવાઈ ગયેલી જોઈ ત્યારે એનાથી ન રહેવાયું. એણે કહ્યું, “મમ્મી, આમ તું ખોવાઈ જશે તો કેમ ચાલશે? અને જો, હું આવું ત્યાં સુધીમાં તારા માટે વહુ શોધી રાખ… પણ હા, સ્ટ્રીકલી તારા જેવી જ! પછી તું દાદી બનશે અને તારા પૌત્રને પણ સોલ્જર બનાવજે….”

ત્યાં તો ટ્રેનની વ્હિસલ વાગી. બધા જ ધીમે ધીમે ખસવા લાગ્યા. શાશ્વત ત્યાં જ ઊભો રહ્યો. નંદિતાએ એને ઈશારાથી ગાડીમાં ચઢી જવા કહ્યું, “તો પણ એ ઊભો રહ્યો. ધીમે રહીને ગાડી ચાલવા માંડી. ભારે શોરબકોર હતો. જિંદાબાદના નારા બોલાતા હતા નંદિતાએ બૂમ પાડી, “જા હવે, ગાડી ઉપડી!”

શાશ્વત એકદમ નંદિતાને ભેટી પડ્યો અને એના કપાલને ચૂમી લીધું. ગાડી વેગ પકડે એ પહેલાં એ કૂદીને ડબ્બામાં ચઢી ગયો અને એક હાથે સળિયો પકડી બીજો હાથ નંદિતા તરફ હલાવતો રહ્યો. અચાનક નંદિતાને ખ્યાલ આવ્યો કે શાશ્વતે જ્યારે એના કપાળને ચૂમી લીધું ત્યારે એની બિંદી ઉખડીને શાશ્વતના ગાલ પર ચોંટી ગઈ હતી. નંદિતા પણ ક્યાંય સુધી હાથ હલાવતી રહી. હવે એની આંખમાં ઝળઝળિયાં ધસી આવ્યાં. દૂર સુધી એ જોતી રહી. ધીમે ધીમે ગાડી દેખાતી બંધ થઈ, શાશ્વત પણ દેખાતો બંધ થયો. પરંતુ એના ગાલ પર ચોંટી ગયેલી બિંદી હજુ એને લાલચટક આકાશ જેવી દેખાતી હતી!